અમદાવાદ, અમદાવાદ શહેરના સતત વિસ્તરી રહેલા વ્યાપ અને વસ્તીને ધ્યાનમાં રાખીને શહેર પોલીસના માળખામાં મહત્વનો ફેરફાર કરવામાં આવ્યો છે. રાજ્યના ગૃહ વિભાગ દ્વારા બહાર પાડવામાં આવેલા નોટિફિકેશન અનુસાર, અમદાવાદમાં હવે ૩ નવા પોલીસ ડિવિઝન અસ્તિત્વમાં આવ્યા છે.
જેમાં પી, આર અને જી ડિવિઝનનો સમાવેશ થાય છે. આ સાથે જ શહેરમાં ૩ નવા પોલીસ સ્ટેશનો પણ કાર્યરત થશે, જેનાથી કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ વધુ મજબૂત બનશે.
ગૃહ વિભાગની સૂચના મુજબ, નવા પોલીસ સ્ટેશનોમાં વસ્ત્રાલ, મોટેરા અને સાબરમતી ઇસ્ટનો સમાવેશ થાય છે. આ નવા વિભાગોના નિર્માણ બાદ પોલીસ સ્ટેશનોની ફાળવણીમાં પણ ફેરફાર કરવામાં આવ્યો છે. પી ડિવિઝનમાં કુલ ૩ પોલીસ સ્ટેશનોનો સમાવેશ કરવામાં આવ્યો છે. જ્યારે નવા બનેલા ઇ ડિવિઝનમાં ઓઢવ, નિકોલ અને નવનિર્મિત વસ્ત્રાલ પોલીસ સ્ટેશનનો સમાવેશ થાય છે.
વધુમાં, અમદાવાદના ઝોન-૮ હેઠળ હવે ઇ અને જી ડિવિઝનનો સમાવેશ કરવામાં આવ્યો છે. જેમાં જી ડિવિઝન હેઠળ વટવા, વટવા જીઆઈડીસી અને રામોલ પોલીસ સ્ટેશનની જવાબદારી સોંપવામાં આવી છે. આ નવા માળખાને કારણે પોલીસની કામગીરી વધુ ઝડપી બનશે અને ગુનાખોરી પર નિયંત્રણ લાવવામાં સરળતા રહેશે.
ખાસ કરીને પૂર્વ અમદાવાદના વિસ્તારોમાં વધતા ટ્રાફિક અને ગુનાહિત પ્રવૃત્તિઓ પર આ નવા ડિવિઝનની રચનાથી સીધી નજર રાખી શકાશે. દરમિયાન ગુજરાતની મુલાકાતે આવતા દેશ-વિદેશના પર્યટકોને સુરક્ષિત અને સુખદ અનુભવ આપવા માટે રાજ્ય સરકાર દ્વારા એક મહત્વપૂર્ણ નિર્ણય લેવામાં આવ્યો છે.
રાજ્યના પોલીસ વડા ડૉ. કે.એલ.એન. રાવની અધ્યક્ષતામાં યોજાયેલી ઉચ્ચ સ્તરીય બેઠકમાં રાજ્યના મહત્વના પ્રવાસન સ્થળોએ અત્યાધુનિક ‘ટુરિસ્ટ ફ્રેન્ડલી પોલીસ સ્ટેશન’ સ્થાપવાની મંજૂરી આપવામાં આવી છે.
નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીના માર્ગદર્શન હેઠળ, પ્રથમ તબક્કે રાજ્યના ત્રણ મુખ્ય પ્રવાસન કેન્દ્રો— ગીર સોમનાથ, દેવભૂમિ દ્વારકા અને ડાંગમાં આ વિશેષ પોલીસ સ્ટેશનો કાર્યરત કરવામાં આવશે. આ પહેલનો મુખ્ય હેતુ પ્રવાસીઓને કાયદો અને વ્યવસ્થાની સાથે-સાથે મિત્રતાભર્યું વાતાવરણ પૂરું પાડવાનો છે.

