ઈન્ડોનેશિયાના અનાક ક્રાકાટોઆ જ્વાળામુખી રવિવારે વહેલી સવારે ફાટી નીકળ્યો હતો, જેણે પશ્ચિમ ઈન્ડોનેશિયાના ભાગોમાં જ્વાળામુખીની રાખ મોકલી હતી, જેના કારણે જકાર્તાના સુકર્નો-હટ્ટા ઈન્ટરનેશનલ એરપોર્ટ પરથી તમામ ફ્લાઈટ્સ રદ કરવામાં આવી હતી. ઈન્ડોનેશિયાની ભૂસ્તરશાસ્ત્રીય એજન્સીના જણાવ્યા અનુસાર, જાવા અને સુમાત્રાના મુખ્ય ટાપુઓની વચ્ચે સુંડા સ્ટ્રેટમાં સ્થિત આ જ્વાળામુખી દ્વીપમાં શનિવારે પ્રવૃત્તિમાં વધારો થવાના સંકેતો મળ્યા હતા. રવિવારે સવારે 3:53 કલાકે લગભગ 30 સેકન્ડ માટે જ્વાળામુખી ફાટ્યો હતો.
આ ઘટનામાં કોઈ જાનહાનિના સમાચાર નથી અને ન તો લોકોને ત્યાંથી હટાવવાનો કોઈ આદેશ જારી કરવામાં આવ્યો છે. જ્વાળામુખીની સૌથી નજીકની વસાહત લગભગ 16 કિલોમીટર દૂર છે. જોકે, એજન્સીએ સ્થાનિકો અને પ્રવાસીઓને જ્વાળામુખીની સક્રિય જગ્યાથી ઓછામાં ઓછા ત્રણ કિલોમીટર દૂર રહેવાની ચેતવણી આપી છે. ઇન્ડોનેશિયાના સેન્ટર ફોર વોલ્કેનોલોજી એન્ડ જીઓલોજિકલ ડિઝાસ્ટર મિટિગેશનએ જણાવ્યું હતું કે જ્વાળામુખીની રાખ રાજધાની જકાર્તા અને સુમાત્રા ટાપુના કેટલાક ભાગો તેમજ દક્ષિણ છેડે આવેલા લેમ્પુંગ પ્રાંતમાં ફેલાયેલી છે.
સુકર્નો-હટ્ટા ઇન્ટરનેશનલ એરપોર્ટ પર ફ્લાઇટ ઑપરેશન સવારે 5:30 થી સવારે 9:30 વાગ્યા સુધી અસ્થાયી રૂપે સ્થગિત કરવામાં આવ્યું હતું કારણ કે માઉન્ટ એનાક ક્રાકાટોઆની વધેલી જ્વાળામુખી પ્રવૃત્તિને કારણે, એરપોર્ટે રવિવારે સવારે જારી કરેલી એડવાઈઝરીમાં જણાવ્યું હતું. દેશના સૌથી વ્યસ્ત એરપોર્ટ પર મુસાફરોએ ‘રિફંડ’ અને તેમના ચેક-ઇન કરેલા સામાનને પાછા આપવાની માગણી કરી હતી, જ્યારે ડિપાર્ચર બોર્ડ પર રદ કરાયેલી ફ્લાઈટ્સની સંખ્યા સતત વધી રહી હતી.
ઇન્ડોનેશિયાના ડિરેક્ટોરેટ જનરલ ઓફ સિવિલ એવિએશનએ જણાવ્યું હતું કે તે હવાઈ મુસાફરી પર જ્વાળામુખી વિસ્ફોટની અસર પર નજીકથી નજર રાખી રહ્યું છે. આ સાથે તેઓ એરપોર્ટ, એરપોર્ટ ઓપરેટર્સ, એર સર્વિસ અને હવામાન એજન્સી સાથે સંકલન કરી રહ્યા છે. વિભાગે કહ્યું કે સુકર્નો-હટ્ટા એરપોર્ટ પર રાતોરાત પાર્ક કરાયેલા 170 વિમાન હજુ પણ ત્યાં છે.
