સબ રજિસ્ટ્રારની ફરિયાદના આધારે મહુધા પોલીસે તપાસ શરૂ કરી: ત્રણ સામે ગુનો દાખલ
(પ્રતિનિધિ) નડિયાદ, મહુધા સબ રજિસ્ટ્રાર કચેરીમાં વર્ષ ૨૦૦૮માં થયેલા એક જમીન દસ્તાવેજમાં મોટું કૌભાંડ સામે આવ્યું છે. વર્ષો પહેલાં મૃત્યુ પામેલા ખેડૂતને જીવિત દર્શાવી, તેમના નામે ખોટું પાવર ઓફ એટર્ની બનાવી કિંમતી જમીન અન્ય વ્યક્તિને વેચી દેવાના ગુનામાં ત્રણ શખ્સો સામે પોલીસ ફરિયાદ નોંધવામાં આવી છે.
ખેડા જિલ્લા જમીન તકેદારી સમિતિ (સીટ) ની તપાસ બાદ આ કૌભાંડનો પર્દાફાશ થયો છે.
મળતી માહિતી મુજબ નડિયાદના સબ રજિસ્ટ્રાર સુરેશભાઈ ચૌધરીએ મહુધા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે.તે મુજબ અમરતભાઈ બીપીનભાઈ અંબાલાલ હરીજન રહે. હરીજનવાસ બલોલ તા. મહુધા વાળાએ તેઓની વડીલોપાર્જીત બલોલ ગામની સીમમાં આવેલ સર્વે નંબર ૨૮૩ જેનો નવો સર્વે નંબર ૪૦૧ વાળી ૧-૦૮-૨૫ હૈ,આર,એ .ચો.મી વાળી જમીન આવેલ છે.
આ જમીનના અસલ માલિક રામાભાઈ ભગાભાઈ હરીજનનું અવસાન ૧૮ જુલાઈ ૧૯૯૬ના રોજ થયું હતું. આમ છતાં, આ હકીકત છુપાવીને આરોપીઓએ ૨૬ એપ્રિલ ૨૦૦૭ના રોજ એક નોટરાઈઝ્ડ પાવર ઓફ એટર્ની તૈયાર કરાવ્યું હતું.
આ ખોટા દસ્તાવેજમાં કલ્પેશકુમાર કાન્તિભાઈ પટેલે પોતાને પાવર ઓફ એટર્ની ધારક તરીકે દર્શાવ્યો હતો. આ પ્રક્રિયામાં સંજયકુમાર ચિમનલાલ મિસ્ત્રી અને કમલેશકુમાર પુરષોત્તમભાઈ વાઘેલાએ સાક્ષી તરીકે સહીઓ કરી હતી અને મૃતક રામાભાઈની ખોટી ઓળખ આપી ગુનાહિત કાવતરું રચ્યું હતું. આ પાવર ઓફ એટર્નીના આધારે કલ્પેશકુમાર પટેલે ૩૧ માર્ચ ૨૦૦૮ના રોજ સબ રજિસ્ટ્રાર કચેરીમાં અલ્પેશભાઈ ગીરીશભાઈ પટેલને જમીન વેચાણ કરી દસ્તાવેજ નોંધણી કરાવી દીધી હતી.
જમીનના અસલ વારસદારોને આ બાબતની જાણ થતા તેઓએ જિલ્લા જમીન તકેદારી સમિતિમાં અરજી કરી હતી. કલેક્ટરની અધ્યક્ષતામાં મળેલી સમિતિની તપાસમાં બહાર આવ્યું હતું કે, જ્યારે દસ્તાવેજ અને પાવર ઓફ એટર્ની બનાવવામાં આવ્યા ત્યારે રામાભાઈ હરીજનનું મૃત્યુ થઈ ચૂક્યું હતું.
આ રિપોર્ટના આધારે સબ રજિસ્ટ્રારને ફરિયાદ કરવા આદેશ અપાયો હતો. મહુધા પોલીસે કલ્પેશકુમાર કાન્તિભાઈ પટેલ,રહે ડુમરાલ તાલુકો નડિયાદ સંજયકુમાર ચિમનલાલ મિસ્ત્રી અને કમલેશકુમાર પુરષોત્તમભાઈ વાઘેલા વિરુદ્ધ છેતરપિંડી અને વિશ્વાસઘાત સહિતની કલમો હેઠળ ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.

