પશુપાલકોનું રપ માર્ચ સુધી અલ્ટીમેટમ, ઉકેલ નહીં આવે તો આંદોલનની ચીમકી
દહેગામ, દહેગામ તાલુકાના પશુપાલકોએ દૂધ લેવડદેવડની માંગ સાથે શરૂ કરેલું આંદોલન હવે ઉગ્ર સ્વરૂપ લઈ રહ્યું છે. ઉત્તમ ડેરીને બદલે મધુર ડેરીમાં દૂધ સ્વીકારવાની માંગ સાથે ગુરૂવારે પશુપાલકોએ આપેલુ બંધનું એલાન શાંતિપૂર્ણ રહ્યુ હતું. શહેરના મુખ્ય બજારો સુમસામ રહ્યા હતા અને વેપાર- ધંધા સંપૂર્ણપણે ઠપ થઈ ગયા હતા.
તેમજ ઉત્તમ ડેરીની ગાડી આવતા પશુપાલકોએ દૂધ ઢોળી વિરોધ વ્યકત કર્યો હતો અને રપ માર્ચ સુધી અલ્ટીમેટમ આપી ઉકેલ નહી આવે તો ઉગ્ર આંદોલનની ચીમકી આપી છે.
પશુપાલકો છેલ્લા કેટલાક દિવસથી વિવિધ સ્તરે રજૂઆતો, મિટિંગો, આવેદનો અને કાર્યક્રમો યોજી રહ્યા હતા, પરંતુ તંત્ર તરફથી કોઈ સ્પષ્ટ અને હકારાત્મક નિર્ણય ન આવતા તેમનો આક્રોશ દિવસેને દિવસે વધી રહ્યો હતો. ગત તા.૧પમીએ દહેગામ પાલિકાના કાર્યક્રમમાં સાંસદ સમક્ષ પોતાનો પ્રશ્ન કરવાનો પ્રયાસો કરાયો ત્યારે પોલીસે અનેક પશુપાલકોને ડિટેઈન કર્યા હતા. આ ઘટનાએ પશુપાલકોમાં રોષની લાગણી વધુ તીવ્ર બનતા આંદોલન વેગ પકડી રહ્યું છે.
દહેગામ વેપારી મહામંડળ, એપીએમસી, માર્કેટયાર્ડ, શાકભાજી એસોસિએશન સહિત વિવિધ વેપારી સંસ્થાઓએ આ બંધને ખુલ્લું સમર્થન આપ્યું હતું. સાથે સાથે કોંગ્રેસ અને આમ આદમી પાર્ટી જેવા રાજકીય પક્ષોએ પણ જાહેરમાં પશુપાલકોના પક્ષમાં અવાજ ઉઠાવ્યો હતો, જેના કારણે આંદોલનને વધુ બળ મળ્યું છે અને તેનો વ્યાપ વિસ્તર્યો છે.
પશુપાલકોની સંકલન સમિતિના પ્રતિનિધિ રામજીભાઈ દેસાઈએ જણાવ્યું હતું કે, “આજનો બંધ માત્ર ચેતવણી સ્વરૂપ છે. જો તંત્ર દ્વારા તાત્કાલિક અને હકારાત્મક નિર્ણય લેવામાં નહીં આવે તો આગામી દિવસોમાં વધુ ઉગ્ર અને ઝડપી કાર્યક્રમો આપવામાં આવશે.” તેમણે ઉત્તમ ડેરી દ્વારા જાહેર કરાયેલા ૮પ૦ રૂપિયાના ભાવને ભ્રામક જાહેરાત ગણાવી કહ્યું કે, “૧૦૦૦ રૂપિયા આપે તો પણ દહેગામનો પશુપાલક મધુર ડેરીમાં જ દૂધ આપવાના નિર્ણય પર અડગ રહેશે.”

