US-ઈરાન યુદ્ધ: ઈરાન અને અમેરિકા-ઈઝરાયલ વચ્ચે ચાલી રહેલા યુદ્ધમાં યુદ્ધવિરામની શક્યતા ઓછી થતી જણાઈ રહી છે. ઈરાને અમેરિકી રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પના તે દાવાને સંપૂર્ણપણે ફગાવી દીધા છે જેમાં ટ્રમ્પે કહ્યું હતું કે ઈરાન સાથે શાંતિ મંત્રણા ચાલુ છે અને ઈરાન સમજૂતી માટે તૈયાર છે. ઈરાને કહ્યું છે કે યુદ્ધ ઈરાનની શરતો પર જ સમાપ્ત થશે. આ દરમિયાન ઈરાને હવે અમેરિકનો માટે નવી ચેતવણી જાહેર કરી છે.
ઈરાનના ઈસ્લામિક રિવોલ્યુશન ગાર્ડ્સ કોર્પ્સ (આઈઆરજીસી) એ ઈરાની ક્ષેત્રમાં સંભવિત ગ્રાઉન્ડ ઓપરેશનને લઈને યુએસ અને ઈઝરાયલી દળોને આ ચેતવણી આપી છે. “નેતન્યાહુ અને ટ્રમ્પની છેતરપિંડીથી તમારા બાળકોને નરકમાં ન મોકલો. હુમલો કરનારા સૈનિકો ઈરાનના સમુદ્રમાં ડૂબી જશે અને કાયમ માટે ગાયબ થઈ જશે,” નિવેદનમાં ચેતવણી આપવામાં આવી છે.
આ દરમિયાન IRGCએ અમેરિકન લોકોને સીધું સંબોધન કર્યું અને ચેતવણી આપી કે ટ્રમ્પ અને નેતન્યાહુ જેવા યુદ્ધ ભડકાવનારા લોકો જૂઠ બોલીને અને યુદ્ધના મેદાનની વાસ્તવિકતાને વિકૃત કરીને તેમને ગેરમાર્ગે દોરી રહ્યા છે. “તમારે અમેરિકન ગેસ સ્ટેશનોમાં, ઈરાનની શેરીઓમાં અને તેલ અવીવ અને હાઈફાના આકાશમાં યુદ્ધનું સત્ય જોવું જોઈએ,” નિવેદનમાં કહેવામાં આવ્યું છે.
અમેરિકા સૈનિકો તૈનાત કરવાની તૈયારી કરી રહ્યું છે
આ ચેતવણી એવા સમયે આવી છે જ્યારે અહેવાલો સામે આવ્યા હતા કે અમેરિકા ટૂંક સમયમાં મધ્ય પૂર્વમાં હજારો અમેરિકન સૈનિકો તૈનાત કરી શકે છે. યુએસ આર્મી 82મા ‘એરબોર્ન ડિવિઝન’માંથી ઓછામાં ઓછા 1,000 વધુ સૈનિકો તૈનાત કરવાની તૈયારી કરી રહી છે જેથી આ વિસ્તારમાં પહેલાથી જ હાજર અંદાજે 50,000 સૈનિકોને મજબૂત કરી શકાય. અમેરિકી સંરક્ષણ મંત્રાલયનું મુખ્યાલય પેન્ટાગોન પણ બે ‘મરીન એક્સપિડિશનરી યુનિટ’ તૈનાત કરવાની પ્રક્રિયામાં છે, જે હેઠળ લગભગ 5,000 મરીન અને હજારો અન્ય નૌકાદળના કર્મચારીઓને આ ક્ષેત્રમાં તૈનાત કરવામાં આવશે.

