કામાખ્યા મંદિર, આસામની નીલાંચલ પહાડીઓ પર આવેલું, ભારતની સૌથી રહસ્યમય શક્તિપીઠમાંથી એક છે. દર વર્ષે જૂન મહિનામાં આર્દ્રા નક્ષત્રની શરૂઆત સાથે અહીં અંબુબાચી મેળાનું આયોજન કરવામાં આવે છે. આ વર્ષે અંબુબાચી મેળો 22મી જૂન 2026થી શરૂ થશે અને 25મી જૂન સુધી ચાલશે. આ સમયગાળા દરમિયાન, મંદિરના દરવાજા ત્રણ દિવસ સુધી બંધ રહે છે, કારણ કે દેવી કામાખ્યા માસિક સ્રાવની સ્થિતિમાં માનવામાં આવે છે. આ મેળો માત્ર ભક્તોની વિશાળ ભીડ માટે જ જાણીતો નથી, પરંતુ તેની અનન્ય પરંપરાઓ અને રહસ્યો માટે પણ પ્રખ્યાત છે.
અંબુબાચીનો મેળો શા માટે ઉજવવામાં આવે છે?
અંબુબાચી મેળો દેવી કામાખ્યાના માસિક ધર્મનું પ્રતીક છે. પૌરાણિક માન્યતા અનુસાર, આ સમય દરમિયાન માતાની યોનિ સાથે સંબંધિત ઊર્જા સક્રિય થાય છે, જે સૃષ્ટિની ઉત્પત્તિ અને ફળદ્રુપ શક્તિનું પ્રતીક માનવામાં આવે છે. આ ત્રણ દિવસો દરમિયાન મંદિર બંધ રહે છે, જેથી દેવીને આરામ મળે. 25મી જૂને મંદિરના દરવાજા ખુલતાની સાથે જ લાખો ભક્તો દર્શન માટે ઉમટી પડે છે. આ મેળો તંત્ર સાધના માટે પણ પ્રખ્યાત છે.
મંદિરના દરવાજા ત્રણ દિવસ સુધી કેમ બંધ રહે છે?
ધાર્મિક પરંપરા અનુસાર આ ત્રણ દિવસોમાં દેવી કામાખ્યા માસિક સ્રાવની સ્થિતિમાં હોય છે. આ સમયે પૂજા અને દર્શન બંધ રાખવામાં આવે છે. એવું માનવામાં આવે છે કે આ સમય દરમિયાન દેવી આરામ કરે છે અને બ્રહ્માંડની નવી ઊર્જાને શોષી લે છે. જ્યારે દરવાજા બંધ કર્યા પછી ખોલવામાં આવે છે, ત્યારે સમગ્ર મંદિરમાં નવી ઉર્જા અને પવિત્રતાનો સંચાર થાય છે. આ પરંપરા દેવીની કુદરતી સ્થિતિનું સન્માન કરે છે.
ગર્ભગૃહમાં કોઈ મૂર્તિ નથી
કામાખ્યા મંદિરનું સૌથી મોટું રહસ્ય એ છે કે તેના ગર્ભગૃહમાં કોઈ દેવીની મૂર્તિ નથી. અહીં એક કુદરતી ખડક છે, જેમાંથી સતત પાણીનો પ્રવાહ વહે છે. આને યોનિ કહેવામાં આવે છે. ભક્તો અંધારી ગુફામાં ઉતરીને આ શિલાને સ્પર્શ કરે છે અને દેવીના આશીર્વાદ લે છે. આ સ્થાનને સર્જનાત્મક શક્તિનું પ્રતિક માનવામાં આવે છે.
બ્રહ્મપુત્રા નદીનું લાલ પાણી
અંબુબાચીના ત્રણ દિવસ દરમિયાન ગુવાહાટી નજીક વહેતી બ્રહ્મપુત્રા નદીનું પાણી લાલ થઈ જાય છે. આ ઘટના ભક્તોને ચમત્કારિક લાગે છે. એવું માનવામાં આવે છે કે દેવીની માસિક સ્રાવની સ્થિતિને કારણે નદીનું પાણી લાલ થઈ જાય છે. જો કે, વૈજ્ઞાનિક રીતે આ લાલ રંગ આયર્નની માત્રામાં વધારો થવાને કારણે છે, પરંતુ આસ્થાની દૃષ્ટિએ તેને દેવીનો ચમત્કાર માનવામાં આવે છે.

