શહેરના ઘુમા સહિત ૩ વિસ્તારમાં ઉત્તમ આરોગ્ય સેવા પૂરી પાડવા નવા સીએચસી બનશે -બે વોર્ડ દીઠ એક સીએચસીની જરૂરિયાત
(એજન્સી)અમદાવાદ, શહેરીજનોનો ઘરઆંગણે ઉત્તમ આરોગ્ય સેવાઓ પુરી પાડવા માટે મ્યુનિ.હેલ્થ ખાતા દ્વારા ૪૮ વોર્ડમાં ૯૦ અર્બન હેલ્થ સેન્ટર બનાવાયા છે. પરંતુ મીની હોસ્પિટલની ગરજ સારતા કોમ્યુનીટી હેલ્થ સેન્ટર ફકત ૧૩ જ હોવાથી બે વોર્ડ વચ્ચે એક સીએચસી બનાવવાના આયોજનમાં ભાગરૂપે ઘુમા, માધુપુરા અને સૈજપુરમાં નવા સીએચસી બનાવવામાં આવનાર છે.
મ્યુનિ.હેલ્થ ઓફીસર ડો.ભાવીન સોલંકીએ જણાવ્યું હતુંકે, તમામ વોર્ડમાં એક એક હેલ્થ સેન્ટર લેખે ૪૮ યુએચસી હોય પરંતુ કેટલાક વોર્ડ મોટા હોવાથી ત્યાં બે હેલ્થ સેન્ટર બનાવવામાં આવ્યા છે. જોકે હેલ્થ સેન્ટરમાં ઝાડાઉલટી તાવ જેવા રોગચાળાની પ્રાથમીક સારવાર અપાય છે.
અને ખાસ કરીને બાળકોના રસીકરણ ઉપર ખાસ ધ્યાન આપવામાં આવે છે. બીજી બાજુ, મ્યુનિ.ની એલ.જી.શારદાબેન વી.એસ. હોસ્પિટલ વગેરે ઉપર દર્દીઓનું ભારણ ઘટાડવા તેમજ નાગરીકોને ઘરઆંગણે જ વધુમાં વધુ સારી સારવાર મળી રહે તે માટે કોમ્યુનીટી હેલ્થ સેન્ટર શરૂ કરવામાં આવ્યા છે.
ડો. ભાવીન સોલંકીએ જણાવ્યું હતું કે, હેલ્થ ખાતા દ્વારા સૌ પ્રથમ સીએચસી સાબરમતી રામનગર ખાતે બનાવવામાં આવ્યું હતું. ત્યારબાદ જુદાજુદા વિસ્તારોમાં મળીને કુલ ૧૩ સીએચસી કાર્યરત કરી દેવાયા છે. આ કોમ્યુનીટી હેલ્થ સેન્ટરોમાં ખાસ કરીને બાળકોના જન્મ સિઝેરીયનના ઓપરેશન નાની મોટી સર્જરી, આંખ, કાન ગળાના દર્દીની સારવાર એકસ-રે તમામ પ્રકારના ટેસ્ટ સહીતની આધુનીક અને ઉત્તમ પ્રકારની સારવાર આપવામાં આવે છે.
તેમણે વધુ માહિતી આપતાં કહયું કે, સીએચસીમાં મળતી સારવારને પગલે તમામ વોર્ડમાંથી સીએચસી બનાવવા માંગણી થઈ રહી છે. પરંતુ તેટલું ઈન્ફાસ્ટ્રકચર ઉભું કરવું મુશ્કેલ હોવાથી બે વોર્ડ વચ્ચે એક સીએચસી બનાવી શકાય તેમ છે. હાલ ૧૩ કાર્યરત છે. અને બીજા ત્રણ નવા બનશે તેમજ બેને તોડીને નવા બનાવવામાં આવશે તે સાથે શહેરમાં કુલ ૧૮ જેટલા સીએચસી ત્રણથી ચાર ઓપરેશન થીયેટર પણ બનાવવામાં આવશે.
તમામ સીએચસીમાં નિષ્ણાત ડોકટરોને કોન્ટ્રાકટરથી રોકવામાં આવ્યા છે. તેમજ નર્સગ સહીતનો સ્ટાફ પણ પુરતા પ્રમાણમાં છે. તેમણે કહયું કે, દક્ષીણ ઝોનમાં સીએચસી કાર્યરત થઈ ગયા બાદ એલ.જી. હોસ્પિટલ ઉપરનું ભારણ ઘટયું છે.
દરમ્યાનમાં કોગ્રેસના પુર્વ કોર્પોરેટર નિરવ બક્ષીએ ૯૦ અર્બન હેલ્થ સેન્ટરમાં લાખો રૂપિયાના ખર્ચા પછી પણ ફકત પ્રાથમીક સારવાર મળે છે. અને તેમાંય કેટલીય જગ્યાએ કોન્ટ્રાકટરથી ફરજ બજાવતા ડોકટરો સારવાર આપવામાં ધાંધીયા અને સમયસર હાજર રહેતા નથી અને વહેલાં જતા રહેતાં હોવાનો આક્ષેપ કરતાં કહયું કે અર્બન હેલ્થ સેન્ટરોમાં મોટાભાગને સ્ટાફ આઉટસોસીગ એજન્સીનો છે. તે જોતાં અર્બન હેલ્થ સેન્ટરોમાં મેડીકલ અને નોન મેડીકલ જગ્યાઓ ભરવી જોઈએ તેના બદલે વગદાર કોન્ટ્રાકટરોને આઉટ સોસીગના નામે ખટાવવામાં આવી રહયાં છે.

