પાકિસ્તાનમાં મંત્રણાની નિષ્ફળતા બાદ અમેરિકા હવે ઈરાન સાથે વાતચીતમાં વધુ રસ દાખવી રહ્યું નથી. રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે સ્પષ્ટ કર્યું છે કે ઈરાન વાતચીત માટે ન આવે તો તેમને કોઈ પરવા નથી. અહીં ઈરાનનો આરોપ છે કે અમેરિકા તેના અધિકારોનું સન્માન નથી કરી રહ્યું. ટ્રમ્પે કહ્યું હતું કે દરેક મુદ્દા પર સહમતિ સધાઈ હતી, પરંતુ પરમાણુ મુદ્દે વાતચીત થઈ શકી નથી.
મેરીલેન્ડમાં જોઈન્ટ બેઝ એન્ડ્રુઝ ખાતે ફ્લોરિડાથી પરત ફર્યા બાદ ટ્રમ્પે પત્રકારોને જણાવ્યું હતું કે મંત્રણા થઈ કે નહીં તેની તેમને કોઈ પરવા નથી. અમેરિકી રાષ્ટ્રપતિએ કહ્યું, ‘મને તેની પરવા નથી કે તેઓ પાછા આવે કે ન આવે. જો તેઓ પાછા ન આવે તો પણ મને કોઈ સમસ્યા નથી.
નાકાબંધીની જાહેરાત
ખાસ વાત એ છે કે પાકિસ્તાનમાં મીટિંગમાં કોઈ ઉકેલ ન આવ્યા બાદ ટ્રમ્પે ઈરાનના બંદરો પરથી જતા જહાજો સામે કાર્યવાહી કરવાની જાહેરાત કરી હતી. તેણે કહ્યું હતું કે યુએસ નેવી નાકાબંધી લાદશે.
ટ્રમ્પે કહ્યું કે શાંતિ મંત્રણા કોઈપણ સમજૂતી વિના સમાપ્ત થઈ ગઈ છે. તેમણે કહ્યું કે આ સંબંધમાં તેમણે યુએસ નેવીને આંતરરાષ્ટ્રીય જળસીમામાં એવા દરેક જહાજને રોકવાનો નિર્દેશ આપ્યો છે જેણે ઈરાનને ત્યાંથી પસાર થવા માટે કોઈપણ ફી ચૂકવી હોય.
તેમણે સ્પષ્ટ કહ્યું હતું કે જે કોઈ ગેરકાયદેસર ફી ભરશે તેને દરિયામાં સુરક્ષિત પેસેજ નહીં મળે. ટ્રમ્પે એમ પણ કહ્યું કે અમેરિકા યોગ્ય સમયે ઈરાન વિરુદ્ધ કાર્યવાહી સમાપ્ત કરવા માટે તૈયાર છે. તેમણે પુનરોચ્ચાર કર્યો હતો કે તેહરાનની પરમાણુ ઇચ્છાઓ યુદ્ધ સમાપ્ત ન થવાનું મુખ્ય કારણ છે. વિશ્વનું 20 ટકા તેલ હોર્મુઝમાંથી પસાર થાય છે.

