આઇવેર રિટેલર બ્રાન્ડ લેન્સકાર્ટ આ દિવસોમાં સોશિયલ મીડિયા પર લોકોના ગુસ્સાનો સામનો કરી રહી છે. તેનું કારણ કંપનીનો નવો નિયમ છે. આ નિયમ હેઠળ, અહીં કર્મચારીઓને હિજાબ અથવા નકાબ પહેરવાની મંજૂરી છે, પરંતુ બિંદી અને તિલક જેવા અન્ય પ્રતીકો પર પ્રતિબંધ છે. જેના કારણે લોકોમાં ભારે રોષ ફેલાયો છે. લોકો કહે છે કે આ ધાર્મિક ભેદભાવ છે અને તેને કોઈ પણ સંજોગોમાં સ્વીકારી શકાય નહીં. લોકોએ ફાઉન્ડર પિયુષ બંસલ પર પણ જુઠ્ઠુ બોલવાનો આરોપ લગાવ્યો હતો.
વાસ્તવમાં, આ વિવાદ ત્યારે શરૂ થયો જ્યારે “લેન્સકાર્ટ સ્ટાફ યુનિફોર્મ એન્ડ ગ્રુમિંગ ગાઈડ” નામનો એક દસ્તાવેજ સોશિયલ મીડિયા પર વાયરલ થયો. વાયરલ થયેલા આ નિયમો અનુસાર લેન્સકાર્ટ સ્ટોર્સમાં કામ કરતા કર્મચારીઓ ફરજ પર હોય ત્યારે કાળા રંગનો હિજાબ પહેરી શકે છે. આ સાથે કાળી પાઘડી પહેરવાની પણ પરવાનગી આપવામાં આવી છે. પરંતુ આ માર્ગદર્શિકામાં બિંદી અને તિલક પર પ્રતિબંધ મૂકવાની વાત કહેવામાં આવી હતી. માર્ગદર્શિકામાં લખ્યું છે કે “ધાર્મિક તિલક/તિલક અને બિંદી/સ્ટીકરની મંજૂરી નથી.” આ નિયમોને કારણે લોકો ગુસ્સે થયા હતા.
પીયૂષ બંસલે સ્પષ્ટતા કરી હતી
આ પછી પીયૂષ બંસલે પોતાને આ દસ્તાવેજથી દૂર રાખ્યા અને કહ્યું કે તે જૂનો છે અને કંપનીની વર્તમાન નીતિને પ્રતિબિંબિત કરતું નથી. તેમણે આ સમગ્ર મામલે સર્જાયેલી મૂંઝવણ બદલ માફી પણ માંગી હતી. પીયૂષ બંસલે સોશિયલ મીડિયા પ્લેટફોર્મ X પર લખ્યું હતું કે, “હું જોઉં છું કે લેન્સકાર્ટ સંબંધિત એક ખોટો પોલિસી દસ્તાવેજ વાયરલ થઈ રહ્યો છે.
તેમણે કહ્યું કે આ દસ્તાવેજ કંપનીના વર્તમાન નિયમોનો ભાગ નથી અને હવે કર્મચારીઓને બિંદી અથવા તિલક પહેરવાની સંપૂર્ણ સ્વતંત્રતા છે. તેમણે ઉમેર્યું, “અમારી નીતિ બિંદી અને તિલક સહિત કોઈપણ પ્રકારના ધાર્મિક પ્રતીકોને પ્રતિબંધિત કરતી નથી. અમે સમયાંતરે અમારા નિયમોની સમીક્ષા કરીએ છીએ. … આના કારણે થયેલી મૂંઝવણ અને ચિંતા માટે અમે માફી માંગીએ છીએ.”

