૨.૧૩ કરોડના ખર્ચે મહિસાગર જીલ્લાના વિરપુર ખાતે બનેલા નવા બસ સ્ટેન્ડમાં એન્જિનીયર વિભાગે ભોપાળુ વાળતાં હાસ્યાસ્પદ સ્થિતિ સર્જાઇ છે.
બસની રાહ જોઇ રહેલા મુસાફરો કોઇ પણ ખૂણામાં ઉભા રહે તો પણ શૌચાલયના અંદરના દ્રશ્યો તેને દેખાય તે રીતે બાંધકામ કરવામાં આવ્યું છે.
(તસ્વીરઃ પૂનમ પગી, વિરપુર), મહિસાગર જીલ્લાના વિરપુર ખાતે ૨.૧૩ કરોડના ખર્ચે બનેલા નવા બસ સ્ટેન્ડમાં એન્જિનીયર વિભાગે ભોપાળુ વાળતાં હાસ્યાસ્પદ સ્થિતિ સર્જાઇ છે. બસ સ્ટેન્ડની બિલ્ડીંગની વચ્ચે જ પુરૂષ માટે શૌચાલય બનાવ્યું છે. જેમાં કોઇ દરવાજો કે આડસ ન રાખતાં બહારથી જાહેર જનતાને અંદરના દ્રશ્ય સ્પષ્ટ દેખાય છે. જેના કારણે મહિલાઓ ક્ષોભજનક સ્થિતિમાં મુકાય જાય છે. જ્યારે શૌચાલયમાં જતાં પુરૂષો માટે પણ શરમજનક સ્થિતિ જોવા મળે છે.
વિરપુરમાં રૂ.૨.૧૩ કરોડના ખર્ચે નિર્માણ પામેલા નવીન એસ.ટી. બસ સ્ટેશનનું ૧૬મી એપ્રિલના રોજ લોકાર્પણ પંચમહાલના સાંસદ રાજપાલસિંહ જાદવના હસ્તે કરવામાં આવ્યું હતું. આ અવસરે જિલ્લાના મહાનુભાવો મોટી સંખ્યામાં હાજર રહ્યાં હતાં.
આ નવનિર્મિત બસ સ્ટેશનમાં ૫ પ્લેટફોર્મ, મુસાફરો માટે બેઠક વ્યવસ્થા સાથે વેઇટિંગ હોલ, કંટ્રોલ રૂમ, કેન્ટીન (કિચન સાથે), પાણી માટેનો રૂમ, ઇલેક્ટ્રિક રૂમ, વિવિધ સ્ટોલ, ડ્રાઈવર-કંડક્ટર માટે રેસ્ટ રૂમ તથા લેડીઝ કંડક્ટર માટે અલગ રૂમ અને મુસાફરો માટે શૌચાલય જેવી આધુનિક સુવિધાઓ ઉપલબ્ધ કરાવવામાં આવી હોવાનો દાવો કરાયો હતો.
પરંતુ થોડા દિવસમાં જ સમગ્ર બસ સ્ટેન્ડની પોલ ખુલી પડી ગઇ હતી વિરપુરના નવીન બસ સ્ટેન્ડમાં એન્જિનીયરની મોટી ભુલ બહાર આવી છે. આ બસ સ્ટેન્ડના બિલ્ડીંગમાં વચ્ચો વચ્ચ જ પુરૂષો માટે શૌચાલય બનાવવામાં આવ્યું છે. આ શૌચાલય તદ્દન ખુલ્લુ છે.
કોઇ આડસ કે દરવાજો મુકવામાં આવ્યો નથી. આ ઉપરાંત બસની રાહ જોઇ રહેલા મુસાફરો કોઇ પણ ખૂણામાં ઉભા રહે તો પણ શૌચાલયના અંદરના દ્રશ્યો તેને દેખાય તે રીતે બાંધકામ કરવામાં આવ્યું છે. જે ગંભીર ક્ષતિને કારણે મહિલા મુસાફર માટે બસ સ્ટેન્ડમાં ઊભા રહેવું પણ મુશ્કેલ બને છે. જ્યારે શૌચાલયમાં જતા પુરૂષ મુસાફરો પણ ભારે શરમની લાગણી અનુભવતાં હોય છે.

