રાજકોટ, જસદણ શહેરને પીવાનું પાણી પૂરું પાડતા આલણ સાગર ડેમમાં ન્હાવા પડેલા ચાર માસૂમ બાળકોના ડૂબી જવાથી મોત નીપજ્યા છે. ૧૨ થી ૧૪ વર્ષની વયના ચાર-ચાર બાળકોના અકાળે અવસાનથી સમગ્ર જસદણ પંથકમાં અરેરાટી વ્યાપી ગઈ છે.
ગત બપોરે ઘરેથી નીકળેલા બાળકો મોડી સાંજ સુધી પરત ન ફરતા પરિવારે શોધખોળ હાથ ધરી હતી, જે દરમિયાન ડેમની પાળ પરથી કપડાં અને સાયકલ મળી આવતા આ દુર્ઘટનાનો ખુલાસો થયો હતો.જસદણ તાલુકા પંચાયત પાછળ રહેતા કાંગસિયા મલ પરિવારના કાળુ ભરતભાઈ રાઠોડ, કિશન મનસુખભાઈ રાઠોડ, રાજવીર સામતભાઈ રાઠોડ અને ગાડલીયા લુહાર પરિવારના રામુ ભાયાભાઈ રાઠોડ રવિવારે બપોરે ૨ વાગ્યાના અરસામાં બાખલવડ ગામે આવેલા આલણ સાગર ડેમમાં ન્હાવા ગયા હતા.
સાંજ સુધી બાળકો ઘરે ન પહોંચતા ચિંતાતુર પરિવારજનોએ શોધખોળ શરૂ કરી હતી. તપાસ દરમિયાન એક બાળકના પિતાને ડેમ પરથી બાળકોની સાયકલ, કપડાં અને ચપ્પલ મળી આવ્યા હતા. ફાયર બ્રિગેડના જવાનો અને સ્થાનિક તરવૈયાઓએ ભારે જહેમત બાદ એક પછી એક ચારેય બાળકોના મૃતદેહ બહાર કાઢ્યા હતા.SS1MS

