એવી ચર્ચા પણ ચાલી રહી હતી કે કેટલીક મહત્વપુર્ણ ફાઈલો પર સહીઓ ન થવાને કારણે દેસાઈ સામે આંગળીઓ ઉઠાવવામાં આવી હતી.
ઔડાના સીઈઓ ડી.પી.દેસાઈનું રાજીનામું મંજૂર, ૧ મેથી નવા આવશે-ઓલિમ્પિકની તૈયારી માટે ટીપી રિઝર્વેશન રિવરફ્રન્ટ ગાંધીનગર સુધી લઈ જવામાં મહત્વનો ફાળો
(એજન્સી)અમદાવાદ, અમદાવાદ અર્બન ડેવલપમેન્ટ ઓથોરીટી ઔડાના મુખ્ય કાર્યકારી અધિકારી સીઈઓ ડી.પી. દેસાઈનું રાજીનામું મંજુર કરવામાં આવ્યું છે. હવે તેઓ ૩૦ એપ્રીલે તેઓ પોતાના પદ પરથી વિદાય લેશે. તેમના રાજીનામા બાદ ૧ મેથી નવા સીઈઓની નિમણુંક થવાની શકયતા વ્યકત કરાઈ રહી છે.
ત્યાં સુધી તાત્કાલીક રીતે કોઈ વરીષ્ઠ અધિકારીને ચાર્જ સોપાય તેવી પણ ચર્ચા છે. ડી.પી. દેસાઈએ પોતાના વ્યકિતગત કારણોસર રાજીનામું આપ્યું છે. તેમની પુત્રી અમેરીકા સ્થાયી હોવાથી તેઓ પણ ત્યાં જ શીફટ થવાના હોઈ આ નિર્ણય લેવાયાનું કહેવાય છે.
જોકે, તેમના અચાનક રાજીનામાને પગલે પ્રશાસિનક વર્તુળોમાં અનેક પ્રકારની ચર્ચાઓ શરૂ થઈ ગઈ છે. કેટલાક વર્તુળોમાં એવી ચર્ચા પણ ચાલી રહી હતી કે કેટલીક મહત્વપુર્ણ ફાઈલો પર સહીઓ ન થવાને કારણે દેસાઈ સામે આંગળીઓ ઉઠાવવામાં આવી હતી. પરંતુ પ્રાથમીક તપાસમાં આ આક્ષેપોમાં કોઈ તથ્ય ન હોવાનું સામે આવ્યું છે. અધિકૃત રીતે આ મામલે કોઈ સ્પષ્ટતા કરવામાં આવી નથી. છતાં આ મુદે ચર્ચાઓ યથાવત છે.
ડી.પી. દેસાઈએ ઔડાના સીઈઓ તરીકેના પોતાના કાર્યકાળ દરમ્યાન અનેક મહત્વપુર્ણ પ્રોજેકટોને ગતી આપી હતી. ખાસ કરીને ઓલીમ્પીક જેવી આંતરરાષ્ટટ્રીય કક્ષાની સ્પર્ધાઓને ધ્યાનમાં રાખીને ટાઉન પ્લાનીગ સ્કીમોમાં વિવિધ રીઝર્વેશન મુકવાની પહેલ તેમના સમયગાળાની વિશેષતાઓ રહી છે. શહેરના ઈન્ફ્રાસ્ટ્રકચર વિકાસ માટે લેવાયેલા આવા નિર્ણયો લાંબા ગાળે અસરકારક સાબીત થાય તેવી શકયતા છે.
આ ઉપરાંત, અમદાવાદની ઓળખ બની ગયેલી રીવરફ્રન્ટ યોજનાને ગાંધીનગર સુધી વિસ્તૃત કરવાની પ્રક્રિયામાં પણ દેસાઈનો નોધપાત્ર ફાળો રહયો છે. તેમણે રાજય સરકારમાંથી અનુભવી અધિકારીઓને લાવીને ટીપી સંબંધીત કામોને ઝડપી બનાવવાનો પ્રયાસ કર્યો હતો. જેનાથી અનેક પ્રોજેકટોમાં ઝડપ આવી હતી. સરકારી વતુળોમાં ડી.પી. દેસાઈને ખાસ મહત્વ આપવામાં આવતું હતું.
અને તેઓ સરકારના વિશ્વાસપાત્ર અધિકારી તરીકે ઓળખાતા હતા. તેમના રાજીનામા તરીકે ઓળખાતા હતા. તેમના રાજીનમાં બાદ હવે ઔડાના આગામી સીઈઓ તરીકે કોણની નિમણુંક થશે તે મુદે રસ જાગ્યો છે. હાલમાં તો તેમનો ચાર્જ કોને સોપવો તે અંગે કોઈ સત્તાવાર જાહેરાત કરાઈ નથી. પરંતુ આગામી એક-બે દિવસમાં આ અંગેની જાહેરાત થવાની શકયતા છે.

