ધો.૧૦માં સૌથી વધુ ર૩૦ સામે તવાઈ, સાયન્સ કોમર્સમાં અનેકના પરિણામ રદ -ધો.૧૦-૧રમાં ચોરી કરનારા ૩૬૦ વિધાર્થીઓ સામે શિક્ષાત્મક પગલાં, ૯૦ને કલીનચીટ મળી
(એજન્સી)અમદાવાદ, ગુજરાત માધ્યમીક અને ઉચ્ચતર માધ્યમીક શિક્ષણ બોર્ડ દ્વારા લેવાયેલી ધોરણ ૧૦ અને ૧રની પરીક્ષામાં ગેરરીતી આચરનારા વિધાર્થીઓ સામે બોર્ડ લાલ આંખ કરી છે.
પરીક્ષા દરમ્યાન અને સીસીટીવી ફુટેજની ચકાસણીમાં ઝડપાયેલા વિધાર્થીઓ પૈકી દોષીત કરેલા ઉમેદવારોને વિવિધ કેટેગરી મુજબ આકરી શિક્ષા ફટકારવામાં આવી છે. જેમાં ૧૦ જેટલા વિધાર્થીઓનું સમગ્ર પરીણામ રદ કરવા ઉપરાંત તેમને વર્ષ ર૦ર૯ સુધી બોર્ડની પરીક્ષા આપવા પર રોક લગાવી દેવામાં આવી છે.
ગુજરાત શિક્ષણ બોર્ડ દ્વારા જાહેર કરવામાં આવેલી વિગતો અનુસાર માર્ચ મહીનામાં લેવાયેલી ધોરણ ૧૦ ધોરણ ૧ર વિજ્ઞાન પ્રવાહ અને સામાન્ય પ્રવાહની પરીક્ષામાં ગેરરીતિના અનેક કિસ્સાઓ નોધાયા હતા. આ કિસ્સાઓમાં જે તે સમયે સ્થળ પર પકડાયેલા અને ત્યારબાદ સીસીટીવી ફુટેજના આધારે શંકાસ્પદ જણાયેલા ઉમેદવારોને ૧૬થી૧૮ એપ્રિલ દરમ્યાન રૂબરૂ સુનાવણી માટે બોલાવવામાં આવ્યા હતા.
આંકડાકીય વિગતો મુજબ ધો.૧૦ અને ૧રમાં કુલ ૪પ૦ કેસોની તપાસ કરવામાં આવી હતી. જેમાંથી ૯૦ વિધાર્થીઓને પુરાવાઓના અભાવે અથવા બચાવ પક્ષની દલીલો ગ્રાહ્ય રાખીને દોશમુકત જાહેર કરવામાં આવ્યા છે.
સૌથી વધુ અસર ધોરણ ૧૦ના વિધાર્થીઓ પર જોવા મળી છે. જયાં ર૩૦ જેટલા વિધાર્થીઓ સામે કાર્યવાહી થઈ છે. તેમાંથી ૧૮૦ વિધાર્થીઓના જે-તે વિષયના પરીણામ રદ કરવામાં આવ્યા છે. આ ઉપરાંત ર વિધાર્થીઓનું પરીણામ રદ કરીને તેમને માર્ચ-ર૦ર૭ ની પરીક્ષા માટે પાત્ર ગણવામાં આવ્યા છે.
ધોરણ ૧ર સામાન્ય પ્રવાહમાં પણ ગેરરીતિનું પ્રમાણ વધુ રહયું છે. અહી કુલ ૧૯૦ જેટલા વિધાર્થીઓ સામે કાર્યવાહી કરવામાં આવી હતી. જેમાંથી ૧પપ વિધાર્થીઓનું જે તે વિષયનું પરીણામ રદ કરવામાં આવ્યું છે. જયારે ૬ વિધાર્થીઓનું પરીણામ રદ કરવા સાથે તેમને આગામી વર્ષ ર૦ર૯ સુધી પરીક્ષા આપવા પર પ્રતીબંધ લાદવામાં આવ્યો છે.
ધોરણ ૧ર વિજ્ઞાન પ્રવાહમાં ૩૦ જેટલા વિધાર્થીઓ ઝડપાયા હતા. જેમાંથી ૧ર વિધાથીઓ સામે વિવિધ કેટેગરીની સજા કરવામાં આવી છે. સમગ્રતઃ જોઈએ તો સૌથી કડક કાર્યવાહી ૧૦ વિધાર્થીઓ સામે થઈ છે. ધોરણ ૧૦ ના વિજ્ઞાન પ્રવાહના ર અને સામાન્ય પ્રવાહના ૬ જેમને માર્ચ-ર૦ર૯ સુધી પરીક્ષા આપવા પર પ્રતીબંધીત કરાયા છે.

