ઉત્તમ વિચારો જ વ્યક્તિ અને સમાજને ઉંચાઈ પર લઈ જાય
જૂનાગઢ, શહેરના સમસ્ત હિન્દુ ધોબી સમાજ યુવક મંડળ દ્વારા ધોબી સમાજના તેજસ્વી વિદ્યાર્થી ભાઈઓ અને બહેનો માટે ર૪મો સરસ્વતી સન્માન સમારોહ યોજાયો હતો.
સમારોહનો મુખ્ય હેતુ વિદ્યાર્થીઓમાં શિક્ષણ પ્રત્યે જાગૃતિ લાવવાનો, તેમને પ્રોત્સાહન આપવાનો અને સમાજમાં શૈક્ષણિક ક્ષેત્રે નવી ક્રાંતિ સર્જવાનો હતો. છેલ્લા ર૪ વર્ષથી સતત આ સંસ્થા દ્વારા વિદ્યાર્થીઓને પ્રોત્સાહિત કરવામાં આવી રહ્યા છે જેના પરિણામે આજે સમાજના અનેક યુવાનો ડૉક્ટર, સીએ, એન્જિનિયર, સરકારી તેમજ કોર્પોરેટ ક્ષેત્રોમાં તેમજ વિદેશમાં પણ નોંધપાત્ર સફળતા મેળવી સમાજનું ગૌરવ વધારી રહ્યા છે.
આ વર્ષે યોજાયેલા સમારોહમાં જૂનાગઢ શહેર ઉપરાંત સૌરાષ્ટ્ર અને સમગ્ર ગુજરાતમાંથી ધો.૧૦ અને ૧રમાં ઉત્તમ પ્રદર્શન કરનાર વિદ્યાર્થીઓને સન્માનિત કરવામાં આવ્યા હતા.
કાર્યક્રમની શરૂઆત વૃંદાવનના મહંત તુલસીદાસ બાપુ, જયેશભાઈ વાજા (આસી. કમિશનર), ડૉ.ચંદ્રિકાબેન ચુડાસમા, ધવલભાઈ પરમાર, અરૂણ બાપુ, રમેશભાઈ ગોહેલ (જેતપુર), કેવલભાઈ વાજા અને મનસુખભાઈ સોલંકીના હસ્તે દીપ પ્રગટાવી કરવામાં આવી.
આ પ્રસંગે વૃંદાવનના મહંત તુલસીદાસ બાપુએ આશીર્વચનમાં જણાવ્યું કે, સમાજસેવા કરવી ખૂબ જ અઘરી છે. આવા સત્કાર્યો સમાજના હિત માટે સતત કરતા રહો, તેવા આશીર્વાદ આપ્યા હતા. શિક્ષણવિદ ડૉ.ચંદ્રિકાબેન ચુડાસમાએ જણાવ્યું કે, જીવનમાં નિરાશા અને હતાશાને દૂર રાખીને સકારાત્મક અને શુભ ચિંતન કરવું જોઈએ, કારણ કે ઉત્તમ વિચારો જ વ્યક્તિ અને સમાજને ઊંચાઈ પર લઈ જાય છે.
આ પ્રસંગે જાણીતા હાસ્ય કલાકાર વિજયભાઈ રાવલે પોતાની અનોખી શૈલીમાં હાસ્ય રજૂ કરતા કાર્યક્રમમાં આનંદ અને ઉત્સાહનો માહોલ છવાઈ ગયો. સંસ્થાના પ્રમુખ મનસુખભાઈ વાજાએ વિદ્યાર્થીઓને વ્યસનમુક્ત જીવન જીવવા, નિયમિત અભ્યાસ કરવા અને સમાજના વિકાસમાં સક્રિય યોગદાન આપવા અનુરોધ કર્યાે.
તેમણે જણાવ્યું કે, શિક્ષણ એ જીવનનો મજબૂત આધાર છે અને યુવાનો જ સમાજના ભવિષ્ય છે. આ પ્રસંગે હિતેશભાઈ વાજા, મનસુખભાઈ વાઘેલા (માંગરોળ) નરોતમભાઈ પરમાર (કેશોદ), મનોજભાઈ ચાવડા (બગસરા), રમેશભાઈ વાળા (ધોરાજી), દિનેશભાઈ વાજા (રાજકોટ), ભીખુભાઈ ગોહેલ (જેતપુર) સહિત અનેક આગેવાનો અને સમાજના પ્રતિનિધિઓ વિશેષ ઉપસ્થિત રહ્યા હતા.
દાતાઓના સહકારથી વિદ્યાર્થીઓને મેડલ, શિલ્ડ, પ્રમાણપત્ર તેમજ અભ્યાસ માટે ઉપયોગી લગભગ ૧૭ જેટલી શૈક્ષણિક સામગ્રી અર્પણ કરવામાં આવી.

