AIMIM દ્વારા ગુજરાતમાં નવા પ્રમુખ લાવવાની તૈયારીઓ કરવામાં આવી છે?
(એજન્સી)અમદાવાદ, ગુજરાતની સ્થાનીક સ્વરાજયની ચુંટણીમાં ઓલ ઈન્ડીયા મંજલીએ ઈતિહાદુલ મુસ્લીમની એઆઈએમઆઈએમ માટે નિરાશાજનક પરીણામો આવ્યા છે. ખાસ કરીને અમદાવાદ મ્યુનિ. કોર્પોરેશનની ચુંટણીમાં પક્ષે પોતાની તમામ ૭ બેઠકો ગુમાવી દીધી છે.
જે પક્ષ માટે મોટો ઝટકો માનવામાં આવી છે. આ ઉપરાંત નગરપાલિકાની ચુંટણીમાં પણ પક્ષનું ધોવાણ થયું છે. જેની ગાજ હવે પક્ષના પ્રમુખ સાબીર કાબલીવાલા પર પડી શકે છે. એઆઈએમઆઈએમનું દ્વારા ગુજરાતમાં નવા પ્રમુખ લાવવાની તૈયારીઓ કરવામાં આવી છે.
અને તેના માટે સુરત અમદાવાદમાંથી લોબીગ પણ શરૂ થયું હોવાનું જાણવા મળે છે. બીજી બાજુ પ્રમુખ પોતાની પ્રતીષ્ઠા બચાવવા માટે રાજીનમાં આપે તેવી શકયતા પણ પક્ષના સુત્રોએ વ્યકત કરી છે.
વર્ષે ર૦ર૧ની સ્થાનીક ચુંટણીમાં એઆઈએમઆઈએમને મહાનગરપાલિકામાં ૭ અને નગરપાલિકામાં ૧૭ બેઠકો મળી કુલ ર૪ બેઠકો મળી હતી. આ જીતનો તમામ શ્રેય પ્રમુખ સાબીર કાબલીવાલાએ લીધો હતો. પરંતુ આ વખતની ચુંટણીમાં પક્ષને નગરપાલિકામાં માત્ર ૧૪ અને તાલુકા પંચાયતમાં ૧ બેઠક મળતા કુલ સંખ્યા ૧પ પર સીમીત રહી ગઈ છે.
જયારે અમદાવાદ મ્યુનિ. કોર્પોરેશનની ચુંટણીમાં તો પ્રમુખ પોતાનો ગઢ ગણાતા જમાલપુરને પણ સાચવી શકયા ન હતા. અને એક પણ બેઠક જીતી ન હતી. ચુંટણી પરીણામોની અસર હવે પક્ષના નેતૃત્વ પર પણ જોવા મળી રહી છે. ગુજરાત પ્રમુખ સાબીર કાબલીવાલા પોતાના વિસ્તારમાં પણ પક્ષને એકપણ બેઠક અપાવી શકયા નથી. જેને લઈને પક્ષના આંતરીક વતુળોમાં અસંતોષ ફાટી નીકળ્યો છે.
સુત્રોના જણાવ્યા મુજબ હવે તેમની સામે કાર્યવાહી થવાની શકયતા વધી ગઈ છે. અને તેમનું પ્રમુખ પદ છીનવાઈ શકે છે. આ પરીસ્થિતી વચ્ચે પક્ષના સુપ્રીમો ઓવેસીની અમદાવાદના ખાનપુર ખાતે યોજાયેલી સભામાં અપેક્ષીત ભીડ ભેગી ન થતાં પણ ગુજરાતના નેતૃત્વ સામે નારાજગી વ્યકત કરવામાં આવી હતી. ત્યારબાદ નબળા પરીણામોના પગલે પ્રમુખની નિષ્ફળતા ખુલી છે.
આંતરીક સુત્રો અનુસાર પક્ષ પ્રમુખ તરીકે આ ચુંટણીમાં સાબીર કાબલીવાલા નિષ્ફળ રહેતા હવે નવા પ્રમુખ માટેની ગતીવીધીઓ શરૂ થઈ છે. અને અમદાવાદ અને સુરતના કેટલાક નેતાઓએ આ પદ માટે લોબીગ શરૂ કરી દીધું છે.

