સુરતVGRCમાં આવેલા મુલાકાતીઓ માટે નિ:શુલ્ક ધ્યાન સત્રનું આયોજન, અત્યારસુધી200થી વધુ મહેમાનો સામેલ થયાં
સુરત, સુરત હજીરા સ્થિત ઓરો યુનિવર્સિટી ખાતે આયોજિત વાયબ્રન્ટ ગુજરાત સમિટ અંતર્ગત મુલાકાતીઓ માટે ખાસ ધ્યાન સત્રની વ્યવસ્થા કરવામાં આવી છે. અત્યાર સુધી200જેટલા મહેમાનોએ આ ધ્યાન સત્રની મુલાકાત લીધી છે. સમિટના પ્રથમ દિવસે યુક્રેન તેમજ બીજા દિવસે રશિયન એમ્બેસીના ડેલિગેટ્સે આ ધ્યાનસત્રનો લાભ લઇને પ્રસન્નતા વ્યક્ત કરી હતી.
સમિટ અંતર્ગત શ્રી અરુબિંદો ઇન્ટિગ્રલ લાઈફ સેન્ટર દ્વારા સવારે 9થી સાંજે6વાગ્યા સુધી અલગ અલગ બેચમાં મુલાકાતીઓ માટે નિ:શુલ્ક ધ્યાન સત્રનું આયોજન કરવામાં આવ્યું છે. આ કેમ્પસમાં ધ્યાનશાળા અને સાઉન્ડ ગાર્ડનમાં (સેન્સોરિયમ) મુલાકાતીઓને ધ્યાન કરાવવામાં આવે છે. આ સત્રમાં પ્રથમ દિવસે ભારતમાં યુક્રેનના રાજદૂત ડૉ. ઓલેક્ઝાન્ડર પોલિશુક,તેમના પત્ની સુશ્રી કાટેર્યના બિલા તેમજ યુક્રેન એમ્બેસીના કોન્સ્યુલેટ જનરલ સુશ્રી એના ઝૈચેન્કોએ ધ્યાન સત્રમાં સામેલ થયા હતાં.
સમિટના બીજા દિવસે રશિયન એમ્બેસી તરફથી જીઆર અને ફાયનાન્સ સેક્ટરના વડા શ્રી ઝ્લાટા એન્ટુશેવા અને ઇન્ટરરિજિયોનલ રિલેશન્સના વડા શ્રી અલ્બર્ટ સેફિયુલિને ધ્યાન સત્રનો લાભ લીધો હતો. તે સિવાય જાપાનના પ્રતિનિધિઓ પણ આ ધ્યાન સત્રમાં સામેલ થયા હતા.
આ ખાસ સત્રમાં સામેલ થવા બહોળી સંખ્યામાં મહેમાનો આવી રહ્યા છે. વિદેશથી આવેલા પ્રતિનિધિઓ,ડેલિગેટ્સ સહિત રાજ્યના પોલીસ વિભાગના અધિકારીઓ,રાજ્ય સરકારના અન્ય અધિકારીશ્રીઓએ પણ ધ્યાન સત્રનો લાભ લીધો છે.VGRCદરમિયાન આગામી પાંચ તારીખ સુધી સૌ કોઈ માટે અલગ અલગ બેચમાં ધ્યાન કરવા માટેની વ્યવસ્થા કરવામાં આવી છે.

