મહેસાણા, કહેવાય છે કે રામ રાખે તેને કોણ ચાખે. મહેસાણાના પાંચોટ વિસ્તારમાં એક એવી ઘટના બની જ્યાં કુદરતે જ જાણે વ્યક્તિને મરતા બચાવ્યો અને ત્યારબાદ ૧૦૮ તથા પોલીસની ટીમે કાઉન્સેલિંગ દ્વારા તેને જીવનનું મહત્વ સમજાવ્યું.
પુત્ર નાપાસ થવાના આઘાતમાં આત્મહત્યા કરવા નીકળેલા પિતાનું બાઈક સ્લિપ થઈ જતાં તેઓ ઈજાગ્રસ્ત થયા હતા, જેના કારણે તેઓ રેલવે ટ્રેક સુધી પહોંચી શક્યા નહીં અને આખરે એક અમૂલ્ય જિંદગી બચી ગઈ.
બુધવાર બપોરે ૧રઃપ૮ કલાકે પાંચોટ ૧૦૮ એમ્બ્યુલન્સને એક ગંભીર ઈમરજન્સી કોલ મળ્યો હતો. કોલ કરનાર વ્યક્તિએ જણાવ્યું કે, એક ૪૦ વર્ષીય પુરુષ મહેસાણા- પાંચોટ લાઈન પર અલોડા રેલ્વે ટ્રેક પાસે આત્મહત્યા કરવા જઈ રહ્યા છે.
માહિતી મળતાની સાથે જ ૧૦૮ની ટીમ અને પોલીસની ૧૧ર ટીમ તાત્કાલિક લોકેશન પર પહોંચી. જોકે રેલવે ટ્રેક પર કોઈ મળ્યું નહી. ટીમે આસપાસ તપાસ કરતા રેલવે અંડરપાસ પાસે એક વ્યક્તિ ઈજાગ્રસ્ત હાલતમાં મળી. તપાસમાં બહાર આવ્યું કે, આ એ જ વ્યક્તિ હતી જે આત્મહત્યા કરવા નીકળી હતી. પરંતુ રસ્તામાં બાઈક સ્લીપ ખાઈ જતાં ઘાયલ થતાં આગળ વધી શક્યા નહોતા.

