આસ્થા અને અસ્મિતાના પ્રતીક સમા શ્રદ્ધાના કેન્દ્ર સમા દ્વાદશ જ્યોતિર્લિંગ એવા સોમનાથ પર અનેક આક્રમણો થવા છતાં,આસ્થા અને અસ્મિતાને ડગાવી શક્યા નથી અને તે અડિખમ અને અવિચલ રહ્યું છે.
એવા સોમનાથ ભગવાનના સાન્નિધ્યમાં આગામી તા.૧૧ મેના રોજ વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદી પધારી રહ્યાં છે. જેના ઉપલક્ષમાં કૃષિ અને પ્રવક્તામંત્રી શ્રી જીતુભાઈ વાઘાણીએ એક પ્રેસ કોન્ફરન્સ સોમનાથ સાગરદર્શન ખાતે આવેલા મિટિંગ હોલમાં યોજી હતી.
આ અવસરે શિક્ષણ મંત્રી શ્રી ડો. પ્રદ્યુમનભાઈ વાજા,વન અને પર્યાવરણ મંત્રી શ્રી અર્જૂનભાઈ મોઢવાડિયા,સાંસદ શ્રી રાજેશભાઈ ચુડાસમા,ધારાસભ્ય શ્રી અનિરૂદ્ધભાઈ દવે સહિતના પદાધિકારીઓ ઉપસ્થિત રહ્યાં હતાં.
કૃષિમંત્રીશ્રીએ વિગતો આપતાં જણાવ્યું હતું કે,પ્રથમ જ્યોતિર્લિંગ સોમનાથ પર અનેક આક્રાંતાઓએ હુમલો કર્યાં છતાં આજે પણ સોમનાથ મંદિર સનાતન ધર્મની અડગ શ્રદ્ધા અને વધુ ભવ્યતા સાથે અડિખમ
ઉભું છે.
ઉભું છે.
ત્યારે આ મંદિરના પુન:નિર્માણના ૭૫ વર્ષના અવસરે વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદી પધારી રહ્યાં છે,ત્યારે સમગ્ર ગુજરાતવાસીઓ તેમને આવકારવા ઉત્સુક છે અને આનંદની લાગણી અનુભવી રહ્યાં છે.
મંત્રીશ્રીએ જણાવ્યું કે,સરકારના શાસનમાં વિશ્વાસ દર્શાવતાં દેશના ત્રણ રાજ્યોમાં ભાજપે જીત મેળવી છે,ખાસ કરીને,પશ્ચિમ બંગાળમાં મેળવેલી ઐતિહાસિક જીત એ ભારતની આઝાદી બાદની બીજી આઝાદી સમાન છે. વડાપ્રધાનશ્રીના નેતૃત્વમાં થયેલા વિકાસકાર્યોને લોકોએ આ જીત દ્વારા સ્વીકૃતિ આપી છે.
સરદાર વલ્લભભાઇ પટેલનો ઉલ્લેખ કરતાં કૃષિમંત્રીશ્રીએ જણાવ્યું હતું કે,જ્યારે સરદાર સાહેબે સોમનાથની મુલાકાત કરી એ સમયે સોમનાથ મંદિરનાં જીર્ણશીર્ણ અવશેષો જોઈ સરદાર દ્રવિત થઈ ઉઠ્યા અને સમુદ્ર જળ હાથમાં લઇ સોમનાથનાં પુન: નિર્માણ માટે સંકલ્પ કર્યો હતો અને ૧૧ મે ૧૯૫૧ ના રોજ ભારતના પ્રથમ રાષ્ટ્રપતિ શ્રી ડૉ. રાજેન્દ્રપ્રસાદજીના કરકમળો દ્વારા સોમનાથ મહાદેવની પ્રાણ પ્રતિષ્ઠા વિધિ સંપન્ન થઇ હતી. જેને તા.૧૧ મેના રોજ ૭૫ વર્ષ પૂર્ણ થઈ રહ્યાં છે. તેના ઉપલક્ષમાં આ‘અમૃત પર્વ‘ની ઉજવણી કરવામાં આવી રહી છે.
વડાપ્રધાનશ્રીને આવકારવા માટે સોમનાથમાં અનેકવિધ આયોજનો કરવામાં આવ્યા છે તેની વિગતો તેમણે પત્રકારશ્રીઓને આપી હતી.
મંત્રીશ્રીએ વધુમાં જણાવ્યું હતું કે,વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદી આગામી તા. ૧૧ મેના રોજ જામનગરથી સવારે સોમનાથ પધારશે. અહીં હેલિપેડથી વીર હમીરજી સર્કલ સુધી રોડ શો યોજીને જનતાનું અભિવાદન ઝીલશે. માર્ગમાં વિવિધ કલાકારો દ્વારા સાંસ્કૃતિક કૃતિઓ પણ રજૂ કરવામાં આવશે.
રોડ શો અંગે વધુ વિગતો આપતા મંત્રીશ્રીએ જણાવ્યું હતું કે,વડાપ્રધાનશ્રી ત્રિવેણી હેલિપેડ થી વીર હમિરજી ગોહિલની પ્રતિમા સુધી ૧ કિલોમીટરનો રોડ શો કરશે. જેમાં ૧૨ જ્યોતિર્લિંગ બેકડ્રોપ સહિત વિવિધ રાજ્યોની સંસ્કૃતિને રજૂ કરતાં નૃત્યો પણ દર્શાવવામાં આવશે.
મંદિર પરિસરના કાર્યક્રમો અંગે મંત્રીશ્રીએ જણાવ્યું હતું કે,ઋષિકુમારો અને આહિર બહેનો પરંપરાગત પહેરવેશમાં વડાપ્રધાનશ્રીનું મંદિર પરિસરમાં રંગેચંગે સ્વાગત કરશે. બંગાળી પરિવારો પણ પરંપરાગત પરિવેશમાં આ અવસરે વડાપ્રધાનશ્રીનું સ્વાગત કરશે. મંદિરમાં વડાપ્રધાનશ્રી દ્વારા કુંભાભિષેક,ધ્વજ પૂજા,મહાપુજા કરવામાં આવશે. આ દરમિયાન સૂર્યકિરણ વિમાનનો એર-શૉ અને મંદિર પર હેલિકોપ્ટરથી પુષ્પવર્ષા કરવામાં આવશે.

