વડોદરામાં પણ સરદારધામનું વડાપ્રધાનના હસ્તે લોકાર્પણ કરાશે
PM મોદી સોમનાથ વિરાસતના ૭૫ વર્ષની ઉજવણીમાં સહભાગી થશે
અમદાવાદ, વડાપ્રધાન નરેન્દ્ર મોદીનું રવિવારે રાત્રિના સમયે હવામાર્ગે ગુજરાતના જામનગરમાં આગમન થયું હતું. દરમિયાન વડાપ્રધાન નરેન્દ્ર મોદીનું એરપોર્ટ ઉપર ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું હતું. ગુજરાત પ્રવાસ દરમિયાન વડાપ્રધાન નરેન્દ્ર જામનગર ઉપરાંત વડોદરા અને સોમનાથની પણ મુલાકાત લેશે.
પશ્ચિમ બંગાળ, આસામ અને પુડુચેરીમાં લોકશાહીના મહાપર્વમાં ભવ્ય વિજય પ્રાપ્ત કર્યા બાદ, છોટી કાશી જામનગરના આંગણે પધારેલા પ્રધાનમંત્રીનું જામનગરવાસીઓ દ્વારા અદકેરું સ્વાગત કરવામાં આવ્યું.
પાંચ રાજ્યોની વિધાનસભાની ચૂંટણીના પરિણામો જાહેર થયા બાદ વડાપ્રધાન નરેન્દ્ર મોદી ગુજરાતની મુલાકાતે આવી પહોંચ્યાં છે. જામનગર આજે રાત્રે વડાપ્રધાન મોદી હવાઈ માર્ગે આવ્યાં હતા. તેઓ સોમનાથ વિરાસતના ૭૫ વર્ષની ઉજવણીમાં સહભાગી થશે. ત્યાર બાદ તેઓ વડોદરા ખાતે સરદાર ધામનું લોકાર્પણ કરશે.
તેઓ સોમનાથ મંદિરના પુનઃસ્થાપનની ૭૫મી વર્ષગાંઠ નિમિત્તે આયોજિત સોમનાથ અમૃત મહોત્સવમાં ભાગ લેશે. પ્રધાનમંત્રી અનેક શુભ ધાર્મિક અને સાંસ્કૃતિક કાર્યક્રમોમાં ભાગ લેશે. તેઓ કુંભ અભિષેક અને ધ્વજવંદન સમારોહમાં હાજરી આપશે, ત્યારબાદ એક ખાસ મહાપૂજા થશે. આ પ્રસંગે, પ્રધાનમંત્રી સોમનાથના સમૃદ્ધ વારસા અને આધ્યાત્મિક મહત્વ પર એક સ્મારક ટપાલ ટિકિટ અને સિક્કો પણ બહાર પાડશે.
પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી ૧૧ મેના રોજ સોમનાથ અમૃત પર્વ નિમિત્તે ઐતિહાસિક સોમનાથ મંદિરમાં મહાપૂજા કરશે. મંદિરના ઇતિહાસમાં પહેલી વાર કુંભ અભિષેક કરવામાં આવશે અને નવો શિખર કળશ સ્થાપિત કરવામાં આવશે. સોમનાથ મહાદેવ મંદિર, પ્રથમ જ્યોર્તિલિંગમાં ઉજવાતા સોમનાથ અમૃત પર્વ દરમિયાન, પુનઃનિર્મિત શિખર કળશને ૯૦ મીટર ઉંચી ક્રેનનો ઉપયોગ કરીને મંદિરની ટોચ પર લગાવવામાં આવશે
અને વૈદિક મંત્રોચ્ચાર સાથે ૧૧ તીર્થસ્થળોના જળથી અભિષેક કરવામાં આવશે. તીર્થ પુરોહિત સોમપુરા બ્રાહ્મણ સમાજના વડા હેમલભાઈ ભટ્ટે જણાવ્યું હતું કે, સોમનાથ મંદિરના ઇતિહાસમાં પ્રથમ વખત કુંભ અભિષેક થશે. તેમણે સમજાવ્યું કે, કુંભ અભિષેક દક્ષિણના મંદિરોમાં એક પરંપરા છે, પરંતુ સોમનાથ મંદિરમાં આ પહેલી વાર થશે. વાયુસેનાનું સૂર્ય કિરણ વિમાન અમૃત પર્વ દરમિયાન એર શો કરશે.
દરમિયાન, મોદીની ગુજરાત મુલાકાત માટે સોમનાથ, જામનગર અને વડોદરામાં તડામાર તૈયારીઓ કરવામાં આવી છે. અમૃત પર્વ દરમિયાન ભવ્ય પૂજા (મહાપૂજા) પહેલા પીએમ મોદી રોડ શો પણ યોજાશે. પ્રધાનમંત્રી વડોદરાની પણ મુલાકાત લેશે, જ્યાં તેઓ સરદારધામ છાત્રાલયનું ઉદ્ઘાટન કરશે અને એક સભાને સંબોધિત કરશે. પ્રધાનમંત્રી સરદારધામ સંકુલની પણ મુલાકાત લેશે.
દરમિયાન કેન્દ્રીય ગૃહ અને સહકારિતા મંત્રી અમિત શાહ ૧૫ મેથી બે દિવસ માટે અમદાવાદની મુલાકાતે આવી રહ્યા છે. મંત્રીની આ મુલાકાત ખાસ કરીને અમદાવાદ મહાનગરપાલિકાના નવનિયુક્ત કાઉન્સિલરો અને સ્થાનિક સંગઠન માટે અત્યંત મહત્વની માનવામાં આવી રહી છે. પોતાના પ્રવાસ દરમિયાન અમિત શાહ અમદાવાદ શહેરના નવનિયુક્ત કાઉન્સિલરો સાથે ખાસ મુલાકાત કરશે.
આ બેઠકમાં તેઓ સ્થાનિક સ્તરે જનહિતના કાર્યોને વેગ આપવા અને વહીવટી પારદર્શિતા વધારવા અંગે જરૂરી માર્ગદર્શન પૂરું પાડી શકે છે. ખાસ કરીને આગામી સમયના રાજકીય લક્ષ્યાંકો અને સંગઠનની મજબૂતી પર ભાર મૂકવામાં આવશે.

