સોમનાથ આપણને યાદ અપાવે છે કે કોઈપણ રાષ્ટ્ર લાંબા સમય સુધી મજબૂત ત્યારે જ રહી શકે જ્યારે તે તેના મૂળ સાથે જોડાયેલું રહેઃ PM
સોમનાથ અમૃત મહોત્સવ એ આવનારા એક હજાર વર્ષ માટે ભારતની પ્રેરણા છે: PM
સોમનાથ સહિતની સાંસ્કૃતિક વિરાસતોની જાળવણી અને હજારો વર્ષની આ પરંપરાને આગળ ધપાવવાની જવાબદારી નવી પેઢીને સોંપીએ: PM
વેરાવળ, વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીએ આજે સોમનાથ ખાતે કહ્યું હતું કે, ‘સોમનાથ અમૃત મહોત્સવ’ એ માત્ર અતીતનો ઉત્સવ નહીં પણ આવનારા ૧૦૦૦ વર્ષ સુધી ભારતની પ્રેરણાનો મહોત્સવ છે.
વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદી સોમનાથ મંદિરના પુનનિર્માણના ૭૫ વર્ષની ઉજવણીના અવસર ‘સોમનાથ અમૃતપર્વ- ૨૦૨૬’માં આજે સહભાગી થયા હતા.
આ તકે સદભાવના મેદાન ખાતે વિશાળ જનમેદનીને સંબોધતા તેમણે કહ્યું હતું કે, સૃષ્ટિનું જેનાથી સર્જન થાય છે અને જેનામાં લય થાય છે, આજે આપણે તેના ધામના પુન:નિર્માણનો ઉત્સવ મનાવી રહ્યા છીએ. હળાહળનું પાન કરીને જે નીલકંઠ કહેવાયાં, આજે આપણે તેમના શરણમાં સોમનાથ અમૃત મહોત્સવ મનાવી રહ્યા છીએ તે ભગવાન સદાશિવની જ લીલા છે.
આ તકે સદભાવના મેદાન ખાતે વિશાળ જનમેદનીને સંબોધતા તેમણે કહ્યું હતું કે, સૃષ્ટિનું જેનાથી સર્જન થાય છે અને જેનામાં લય થાય છે, આજે આપણે તેના ધામના પુન:નિર્માણનો ઉત્સવ મનાવી રહ્યા છીએ. હળાહળનું પાન કરીને જે નીલકંઠ કહેવાયાં, આજે આપણે તેમના શરણમાં સોમનાથ અમૃત મહોત્સવ મનાવી રહ્યા છીએ તે ભગવાન સદાશિવની જ લીલા છે.
તેમણે કહ્યું હતું કે, ૭૫ વર્ષ પહેલા આજના દિવસે થયેલી સોમનાથની પુન: સ્થાપના એ સાધારણ અવસર ન હતો. ૧૯૪૭માં દેશ આઝાદ થયો પણ ૧૯૫૧માં સોમનાથ મંદિરની પ્રાણ પ્રતિષ્ઠા એ ભારતની સ્વતંત્ર ચેતનાનો ઉદઘોષ હતો. સરદાર વલ્લભભાઈ પટેલે ૫૦૦થી વધુ રજવાડાઓને એક કરીને આધુનિક ભારતનું સ્વરૂપ આપ્યું અને સોમનાથ ધામનું પુન: નિર્માણ કરાવીને તેમણે દુનિયાને બતાવ્યું હતું કે, ભારત માત્ર આઝાદ જ નથી થયું પણ પ્રાચીન ગૌરવને પુન: હાંસલ કરવાના માર્ગે પણ આગળ વધી ચૂક્યું છે.
વડાપ્રધાનશ્રીએ કહ્યું હતું કે, આજે ૭૫ વર્ષની ઉજવણીના આ અવસરે જોવા મળે છે કે, વિનાશમાં સર્જનનો સંકલ્પ સોમનાથ મંદિરે ચરિતાર્થ કર્યો છે. અસત પર સતનો વિજય પ્રભાસ ક્ષેત્રે વારંવાર કર્યો છે. મંદિર પુન: નિર્માણની હજારો વર્ષોની આ આધ્યાત્મિક ચેતના માનવ માત્રના કલ્યાણની શીખ વિશ્વને આપી રહી છે. સોમનાથનો અર્થ આપતા તેમણે કહ્યું હતું કે, જેના નામમાં જ સોમ એટલે કે અમૃત છે, તેને કોણ નષ્ટ કરી શકે. આ ભારતનું એવું અવિનાશી સ્વરૂપ છે, જેને સદીઓના કુત્સિત પ્રયાસો હરાવી, મિટાવી શક્યા નથી.
સોમનાથ સ્વાભિમાન પર્વનો ઉલ્લેખ કરતા વડાપ્રધાનશ્રીએ કહ્યું હતું કે, સોમનાથ અમૃત મહોત્સવ એ માત્ર અતીતનો ઉત્સવ નહીં પણ આવનારા ૧૦૦૦ વર્ષ સુધી ભારતની પ્રેરણાનો મહોત્સવ બની રહેશે.
પોખરણ પરીક્ષણ અને ઓપરેશન શિવ શક્તિનો ઉલ્લેખ કરતાં વડાપ્રધાનશ્રીએ કહ્યું હતું કે, ૧૧ મે ૧૯૯૮ના રોજ પોખરણ ખાતે પરમાણુ પરીક્ષણ કરીને ભારતના વૈજ્ઞાનિકોએ દેશના સામર્થ્ય અને ક્ષમતાને દુનિયા સમક્ષ ઉજાગર કરી હતી. એ સમયે દુનિયાભરની શક્તિઓ ભારતને હરાવવા મેદાનમાં ઉતરી હતી અને અનેક આર્થિક પ્રતિબંધો લગાવ્યા હતા
પરંતુ એ સમયે વડાપ્રધાન અટલજીના નેતૃત્વ હેઠળ ભારત દેશ ઝૂક્યો નહતો અને દુનિયાને બતાવ્યું હતું કે ભારતીયો નોખી માટીના બનેલા છે.૧૧ મે ૧૯૯૮ના પરીક્ષણના બે દિવસ પછી ૧૩ મેના રોજ ભારતે ફરી બે પરમાણુ પરીક્ષણ કર્યા, ત્યારે દુનિયાને સમજાઈ ગયું હતું કે, ભારતની રાજશક્તિ કેટલી અટલ છે. અટલજીના નેતૃત્વમાં ભારતે બતાવ્યું કે, દુનિયાની કોઈ શક્તિ ભારતને ઝુકાવી કે દબાણ હેઠળ લાવી નહીં શકે.
આ પરમાણુ પરીક્ષણને ઓપરેશન શક્તિ નામ આપવામાં આવ્યું હતું. શિવ સાથે શક્તિની આરાધના એ આપણી પરંપરા છે. દેશમાં ચંદ્રયાન મિશન વખતે જ્યાં રોવર લેન્ડ થયું ત્યાં તેને આપણે શિવશક્તિ પોઇન્ટ નામ આપ્યું છે. આ તકે તેમણે ઓપરેશન શક્તિની વર્ષગાંઠની શુભકામનાઓ પાઠવી હતી.

