ત્રણ ચોર પકડાયા
નારોલમાં મકાનનો દરવાજો તોડીને રોકડ અને દાગીના ચોરી જનાર મુદ્દામાલ સાથે પકડાયા
અમદાવાદ, અમદાવાદમાં હત્યા ઉપરાંત ચોરી અને લૂંટના બનાવો સતત વધી રહ્યા છે ત્યારે ક્રાઇમ બ્રાન્ચની ટીમને એક્ટિવ થવું પડ્યું છે. ક્રાઇમ બ્રાન્ચે વટવાના ૩૫ વર્ષ જૂના હત્યા કેસનો પર્દાફાશ કર્યા બાદ નારોલના મકાનમાં થયેલી ચોરીનો ભેદ ઉકેલી બે યુવકોને ચોરીના મુદ્દામાલ સાથે ઝડપી લીધા છે. આ બંને યુવાનોએ શહેરમાં અન્ય કોઈ સ્થળે કોઈ કારીગરી કરી હતી કે કેમ તેની તપાસ ચાલી રહી છે. બીજી તરફ ઓઢવમાંથી ચોરીના કલરના જથ્થા સાથે યુવકને ઝડપી લેવામાં આવ્યો છે.બે દિવસ પહેલા નારોલના ગેબનશા વિસ્તારમાં આવેલી પુષ્પકુંજ સોસાયટીમાં ત્રાટકેલા તસ્કરો મકાનમાંથી સોના-ચાંદીના દાગીના અને રોકડ મળી ૧.૧૧ લાખનો મુદ્દામાલ ચોરી ગયા હતા.
જે અંગે નારોલ પોલીસે ફરિયાદ નોંધી તપાસ શરૂ કરી હતી. બીજી તરફ ક્રાઇમ બ્રાન્ચે પણ આ તપાસ શરૂ કરી હતી. ત્યારે આઈ.એન. ઘાસુરાને બાતમી મળી હતી કે નારોલમાંથી ચોરી કરનાર બે યુવાનો દાણીલીમડા ધોબીઘાટ પાસે ફરી રહ્યા છે. તરત જ પોલીસે તેમને ઝડપી લીધા હતા. પૂછપરછમાં તેમના નામ મોહંમદ ફૈઝ સાકીરહુશૈન લુહાર (ઉવ. ૨૬, રહે. તસ્લીમનગર, બીબી તળાવ પાસે, વટવા) તથા મો. ઇર્શાદ ઉર્ફે ખત્રી રાયબીરાદર (ઉવ. ૨૨, રહે. એજાજનગર, સૈયદવાડી, વટવા) હોવાનું જાણવા મળ્યું હતું.પોલીસે તેમની પાસેથી સોના-ચાંદીના દાગીના સહિતનો મુદ્દામાલ ઉપરાંત ચોરી માટે ઉપયોગમાં લીધેલું બાઈક અને મકાનનું તાળું કે ગ્રીલ તોડવા માટે ઉપયોગમાં લેવાયેલું ખાતરિયું અને પકડ સહિતની વસ્તુઓ કબજે લીધી હતી. આ ઉપરાંત તેમણે શહેરમાં અન્ય કોઈ સ્થળે ચોરી કરી હતી કે કેમ તેની પણ તપાસ શરૂ કરવામાં આવી છે.
બીજી તરફ, ક્રાઇમ બ્રાન્ચના ભરત પટેલની ટીમે ઓઢવમાંથી ચોરાયેલી કલરની સાત બાલટી સાથે એક યુવકને ઝડપી લીધો હતો. ઓઢવમાં કલરની બાલટી ચોરનાર આદિત્ય ઉર્ફે આદી રામરાજસિંહ બાબુસિંહ રાજપૂત (ઉવ. ૨૧, રહે. કવલરામ પાર્ક, બંગલા એરિયા, કુબેરનગર)ને ચોરીના કલર સાથે ઝડપી લઈ ઓઢવ પોલીસને સોંપવાની કવાયત કરવામાં આવી છે. ઉલ્લેખનીય છે કે શહેરમાં ગુનાખોરી વધતાં તમામ એજન્સીઓ ઉપરાંત સ્થાનિક પોલીસને પણ એલર્ટ રહેવા માટે કમિશનર દ્વારા ખાસ તાકીદ કરવામાં આવી છે. ss1

