અંતિમ સંસ્કાર પણ કરી દેવાયા હતા
પોલીસે ફરિયાદના આધારે તાત્કાલિક કાર્યવાહી કરીને આરોપી પિતા અને કાકા ધરપકડ કરી વધુ કાર્યવાહી હાથધરી
પાલનપુર, હડાદ તાલુકાના બામણોજ ગામે માનસિક અસ્થિર પુત્ર વારંવાર પરિવારજનો તેમજ ગ્રામજનો સાથે ઝઘડા કરતો હોઈ અને ખેતરમાં પણ પિતા તેમજ કાકા સાથે ઝઘડો કરતાં પિતા તેમજ કાકાએ માથાના ભાગે હથોડીના ફટકા મારતાં તેનું મોત થયું હતું. જેના અંતિમ સંસ્કાર પણ કરી દેવામાં આવ્યા હતા. પાંચેક દિવસ બાદ મૃતકની માતાએ પુત્રની હત્યા કરનાર પતિ તેમજ દિયર સામે ગુનો નોધાવતાં પોલીસે બંનેની અટકાયત કરી વધુ તપાસ હાથ ધરી હતી.હડાદ પોલીસે જણાવ્યા મુજબ, મૃતક વિજય પ્રજાપતિ (ઉં.વં.૨૫) ત્રણ-ચાર વર્ષથી માનસિક રીતે અસ્થિર હતો.
તે પરિવારજનો અને ગ્રામજનો સાથે અવારનવાર ઝઘડા કરતો હતો અને પથ્થરો કે લાકડી વડે હુમલો પણ કરતો હતો. તેના ત્રાસથી પરિવારજનો કંટાળી ગયા હતા અને તેની માનસિક સારવાર પણ કરાવી હતી. ગત ૩ મેએ વિજય પરિવારના સભ્યો પર હુમલો કર્યા બાદ ખેતરે ગયો હતો. ત્યાં તેના પિતા હરિભાઈ રેવાભાઈ પ્રજાપતિ અને કાકા પંકજભાઈ રેવાભાઈ પ્રજાપતિ સાથે પણ ઝઘડો થયો હતો.
આવેશમાં આવીને પિતા-કાકાએ વિજયના માથાના ભાગે હથોડીના ઘા ઝીંકી દેતાં ઘટનાસ્થળે જ તેનું મોત થયું હતું. હત્યા બાદ આરોપીઓએ પુરાવા નષ્ટ કરવાના ઇરાદે મૃતદેહની અંતિમવિધિ પણ કરી દીધી હતી. જો કે, મૃતકની માતા ગીતાબેન હરિભાઈ પ્રજાપતિએ હડાદ પોલીસ સ્ટેશનમાં પોતાના પતિ અને અન્ય આરોપીઓ વિરુદ્ધ ફરિયાદ નોંધાવી હતી. ડીવાયએસપી જણાવ્યું હતું કે, ૮ મેના રોજ હડાદ પોલીસ સ્ટેશનમાં હત્યાનો ગુનો નોંધવામાં આવ્યો છે. પોલીસે ફરિયાદના આધારે તાત્કાલિક કાર્યવાહી કરીને આરોપીઓની ધરપકડ કરી છે અને તેમના રિમાન્ડ મેળવવાની તજવીજ સાથે વધુ તપાસ હાથ ધરાઈ છે.ss1

