(એજન્સી)અમદાવાદ, ગુજરાતમાં ઉનાળાનો અસલી મિજાજ જોવા મળી રહ્યો છે. હવામાન વિભાગની આગાહી અનુસાર, આગામી ચાર દિવસ રાજ્યમાં કાળઝાળ ગરમીનો પ્રકોપ યથાવત રહેશે. પશ્ચિમી પવનો ફૂંકાવાને કારણે રાજ્યના અનેક શહેરોમાં પારો ૪૧થી ૪૫ ડિગ્રી સુધી પહોંચવાની સંભાવના છે, જેને પગલે વહીવટીતંત્ર દ્વારા સાવચેતીના ભાગરૂપે વિવિધ જિલ્લાઓમાં ઍલર્ટ જાહેર કરવામાં આવ્યું છે.
આ અંગે અમદાવાદ હવામાન વિભાગના ડાયરેક્ટર એ. કે. દાસે જણાવ્યું કે, ‘૧૧મીથી ૧૭મી મે સુધીની હવામાનની આગાહી જણાવી રહ્યો છું, જેમાં આ સમયગાળા દરમિયાન હવામાન મોટાભાગે સૂકું રહેશે અને આવતા ચાર દિવસ સુધી મહત્તમ તાપમાનમાં કોઈ મોટો ફેરફાર જોવા મળશે નહીં. કેટલાક વિસ્તારોમાં મહત્તમ તાપમાન ૪૧થી ૪૫ ડિગ્રી સેલ્સિયસની વચ્ચે રહેવાની સંભાવના છે, જોકે ત્યારબાદ તાપમાનમાં ૨થી ૩ ડિગ્રી સેલ્સિયસનો ઘટાડો થશે.
૧૧થી ૧૪ મે એમ ચાર દિવસ માટે હીટવેવની ચેતવણી છે. સૌરાષ્ટ્ર-કચ્છ વિસ્તારમાં આગામી ૩ દિવસ માટે કચ્છ અને સુરેન્દ્રનગર જિલ્લામાં ઓરેન્જ ઍલર્ટ છે. આ ઉપરાંત, બાકીના વિસ્તારો જેવા કે દ્વારકા, રાજકોટ, બોટાદ, જૂનાગઢ, અમરેલી તેમજ ગુજરાત રિજિયનમાં બનાસકાંઠા, પાટણ, ગાંધીનગર, આણંદ, બરડા, સુરત અને અમદાવાદ માટે યલો ઍલર્ટ જાહેર કરવામાં આવ્યું છે.
બીજી તરફ ઉત્તર ગુજરાતના દરિયાકાંઠાના વિસ્તારોમાં પશ્ચિમથી ઉત્તર-પશ્ચિમ દિશા તરફ અને દક્ષિણ ગુજરાતમાં ઉત્તર-પશ્ચિમથી ઉત્તર દિશા તરફ પવન ફૂંકાવાની સ્થિતિ રહેશે. પવનની ઝડપ ૧૫થી ૨૦ નોટ રહેશે અને તે વધીને ૨૫ નોટ સુધી પણ પહોંચી શકે છે. દરમિયાન આજે સૌથી વધુ સુરેન્દ્રનગરમાં ૪પ.પ અને કંડલા એરપોર્ટ ખાતે ૪પ.૪ ડિગ્રી તાપમાન નોંધાયું છે.
આવી જ રીતે અમદાવાદમાં ૪૪.૩, અમરેલીમાં ૪૪.૩, ગાંધીનગરમાં ૪૪, વલ્લભવિદ્યાનગરમાં ૪૩.પ, ડીસામાં ૪૩.પ, વડોદરામાં ૪૩.૬, સુરતમાં ૪ર.ર, ભૂજમાં ૪ર, ભાવનગરમાં ૪૧.૯, રાજકોટમાં ૪૩.૩ અને કેશોદમાં ૪૧.૪ ડિગ્રી ગરમી નોંધાઈ હતી.
રાજ્યમાં કાળઝાળ ગરમીને પગલે બપોરના સમયે માર્ગો સૂમસામ બની ગયા છે. સવારે ૧૦ વાગ્યાથી સૂર્યદેવતા અગ્ન વર્ષા વરસાવતા હોય તેમ આકરો તાપ પડવાનો શરૂ થઈ જાય છે જેના કારણે બપોરના સમયે લોકો ઓફિસ, ઘરની બહાર નીકળવાનું ટાળે છે.

