(એજન્સી)અમદાવાદ, બળબળતી ગરમી અને અસહ્ય ઉકળાટ વચ્ચે ઝઝૂમી રહેલા ગુજરાતના નાગરિકો અને ખાસ કરીને ખેડૂતો માટે હવામાન વિભાગ તરફથી ખુબ જ રાહતના અને મોટા સમાચાર સામે આવ્યા છે. આ વર્ષે ચોમાસું સમયસર અને ધમાકેદાર રહેવાના મજબૂત સંકેતો મળી રહ્યા છે. હવામાન વિભાગના પૂર્વાનુમાન મુજબ, આ વર્ષે દેશ અને રાજ્યમાં ચોમાસું સાનુકૂળ રહેશે અને સારો વરસાદ થવાની શકયતા છે.
સામાન્ય રીતે ભારતમાં ચોમાસાની શરૂઆત કેરળથી થતી હોય છે. આ વર્ષે ચોમાસું નિયત સમય કરતાં વહેલું બેસે તેવી શક્યતા છે. હવામાન વિભાગના અંદાજ પ્રમાણે, આગામી ૨૬ મેની આસપાસ ચોમાસું કેરળના દરિયાકાંઠે દસ્તક આપી શકે છે. કેરળમાં સમયસર આગમન થવાના કારણે ગુજરાતમાં પણ જૂન મહિનાના મધ્ય સુધીમાં નિયમિત ચોમાસું શરૂ થઈ જવાની સંભાવના વધી ગઈ છે.
હવામાન નિષ્ણાતોના જણાવ્યા અનુસાર, આ વર્ષે વાતાવરણમાં દરિયાઈ પ્રવાહોની મોટી અસર જોવા મળશે. થોડા દિવસોમાં ‘અલ નીનો’ સક્રિય થવાની શક્યતા છે, પરંતુ તેની સાથે જ ‘લા નીના’ની અસર પણ જોવા મળશે. લા નીનાની સ્થિતિ ભારતમાં ચોમાસા માટે હંમેશા આશીર્વાદરૂપ સાબિત થાય છે. આ બંને ગતિવિધિઓની સંયુક્ત અસરને કારણે ચોમાસું અનુકૂળ રહેશે, અને સરેરાશ કરતાં વધુ કે સારો વરસાદ લાવવામાં મદદરૂપ બનશે.

