મહાન વૈજ્ઞાનિક આલ્બર્ટ આઈન્સ્ટાઈનના પુસ્તકે પ્રગતિશીલ ખેડૂતને મધમાખી પાલન તરફ વાળ્યા
મધ-ક્રાંતિના મશાલચી શ્રી હરસુખભાઈ ભીમાણી દર વર્ષે ૨૦,૦૦૦ કિલો મધના ઉત્પાદન દ્વારા મેળવે છે વાર્ષિક રૂ. ૧૦ લાખની ચોખ્ખી આવક
શ્રી હરસુખભાઈ મધમાખી વ્યવસ્થાપનની નિપુણતાના કારણે અંબાણી પરિવારના‘વનતારા‘ખાતે મધમાખી ઉછેર પ્રકલ્પમાં સહયોગ આપી રહ્યા છે
જામનગરના જોડિયા તાલુકાના પ્રગતિશીલ ખેડૂત શ્રી હરસુખભાઈ ભીમાણી આજે ગુજરાતમાં મધક્રાંતિના મશાલચી બન્યા છે. એક સમયે જામનગરની આયુર્વેદ યુનિવર્સિટીમાં નોકરી કરતા શ્રી હરસુખભાઈ આજે વર્ષે ૨૦ હજાર કિલો મધનું ઉત્પાદન કરે છે અને તેમાંથી રૂ. ૧૦ લાખની ચોખ્ખી આવક મેળવે છે.
આયુર્વેદ યુનિવર્સિટી સાથે લાંબા સમય સુધી જોડાયેલા રહેલા શ્રી હરસુખભાઈને એ સમજાઈ ગયું હતું કે મધ એ પૃથ્વી પરનું‘સુપર ફૂડ‘છે,તેથી તેઓ મધમાખી પાલન તરફ વળ્યા. તેમના આ વ્યવસાય તરફ વળવાનું નિમિત્ત પ્રસિદ્ધ વૈજ્ઞાનિક આલ્બર્ટ આઈન્સ્ટાઈનનું એક પુસ્તક બન્યું. આઈન્સ્ટાઈને એ પુસ્તકમાં લખ્યું હતું કે, “જે દિવસે પૃથ્વી પરથી મધમાખી નાશ પામશે,તેના માત્ર ચાર જ વર્ષમાં માનવ સૃષ્ટિનો અંત આવી જશે.” આ વાક્ય શ્રી હરસુખભાઈને સ્પર્શી ગયું અને તેમણે મધમાખી પાલનનો વ્યવસાય કરવાનું નક્કી કરી લીધું.
આ વૈજ્ઞાનિક સત્ય વાંચ્યા બાદ ખેડૂતપુત્ર શ્રી હરસુખભાઈએ વધુ સંશોધન કર્યું. તેમને ખ્યાલ આવ્યો કે,કુદરતે મધમાખીની રચના માત્ર મધ આપવા માટે નહીં,પણ પૃથ્વી પરની ૯૦% વનસ્પતિમાં પરાગ-નયનની પ્રક્રિયા ચાલુ રાખવા માટે કરી છે. બસ,આ જીવને બચાવવો એ જ પરમ ધર્મ સમજીને તેમણે મધમાખી પાલનના આ અજાણ્યા પંથ પર ડગ માંડ્યા.
શ્રી હરસુખભાઈ માટે આરંભમાં આ માર્ગ આસાન ન હતો. ગ્રામ્ય વિસ્તારના ખેડૂતોમાં એવો ડર હતો કે,જો મધમાખીઓ તેમના પાકના ફૂલોનો રસ ચૂસી લેશે તો પાકનું ઉત્પાદન ઘટી જશે. ખેડૂતોના આ ભ્રમને ભાંગવા માટે ગુજરાત સરકારનો બાગાયત વિભાગ હરસુખભાઈની વહારે આવ્યો. બાગાયત વિભાગના અધિકારીઓએ ખેડૂતોને સમજાવ્યા કે,મધમાખીના કારણે ઉત્પાદન ઘટતું નથી પણ વધે છે;અને જો ઉત્પાદન ઘટશે તો તેનું નુકસાન સરકાર ભોગવશે.
ગુજરાત સરકારના બાગાયત વિભાગે હરસુખભાઈના આ સાહસને બળ પૂરું પાડ્યું. વિભાગે ૫૦ બોક્સ ખરીદવા માટે અંદાજે રૂ. ૧.૨૫ લાખની સબસિડી આપી. હરસુખભાઈએ પણ વૈજ્ઞાનિક પદ્ધતિથી સાબિત કરી આપ્યું કે મધમાખીથી ઉત્પાદન ઘટતું નથી,પરંતુ પાક વધુ પરિપક્વ બને છે અને ખેડૂતને આર્થિક ફાયદો થાય છે. તેમની આ અસાધારણ સફળતાને બિરદાવીને રાજ્ય સરકારે તેમને સત્તાવાર રીતે ‘બી બ્રીડર’ તરીકે રજિસ્ટર કર્યા અને વ્યવસાયના વિસ્તરણ માટે વધુ રૂ. ૫ લાખની સહાય પણ મંજૂર કરી.
માત્ર ૫૦ બોક્સથી શરૂ થયેલી હરસુખભાઈની સફર આજે ૨,૧૦૦ બોક્સે પહોંચી છે. તેમની આ વિશિષ્ટ સૂઝબૂઝ અને મધમાખી વ્યવસ્થાપનની નિપુણતાને કારણે આજે તેઓ જામનગર ખાતે અંબાણી પરિવારના ડ્રીમ પ્રોજેક્ટ ‘વનતારા’ ખાતે પણ મધમાખીઓના મેનેજમેન્ટમાં સહયોગ આપી રહ્યા છે.
શ્રી હરસુખભાઈના કાર્યની સૌથી મોટી વિશેષતા એ છે કે તેઓ સંપૂર્ણપણે ‘અહિંસક’ પદ્ધતિથી મધ એકત્ર કરે છે. મધમાખીને સહેજ પણ ઈજા પહોંચાડ્યા કે સ્પર્શ કર્યા વિના વૈજ્ઞાનિક ઢબે મધ કાઢવામાં આવે છે. તેમની બ્રાન્ડ ‘સન કૃપા હની બી ફાર્મ’ હેઠળ મળતું મધ ૧૦૦ ટકા શુદ્ધ હોય છે,કારણ કે તેઓ મધમાખીઓને ઋતુ પ્રમાણે દેશના જુદા-જુદા રાજ્યોમાં સ્થળાંતર કરાવે છે. ડિસેમ્બરથી ફેબ્રુઆરી દરમિયાન જ્યારે રાજસ્થાનના ભરતપુર અને કોટામાં સરસવનો પાક ખીલે છે ત્યારે,અને ક્યારેક ઝારખંડના રાંચી સુધી તેઓ પોતાના મધમાખીના બોક્સને વાહનો દ્વારા લઈ જાય છે,જેથી માખીઓને ઉત્તમ વાતાવરણ મળી રહે.
એવું નથી કે મધમાખી પાલનના વ્યવસાયમાં શ્રી હરસુખભાઈને કોઈ અવરોધ નડ્યા નથી. થોડા વર્ષો પહેલાં વાવાઝોડાની વિપરીત પરિસ્થિતિમાં એક જ રાતમાં તેમના ૩૦૦ જેટલા બોક્સ નષ્ટ થઈ ગયા હતા,પણ હરસુખભાઈ હિંમત હાર્યા વિના ફરી બેઠા થયા.

