ખડોલ ગામના બે કિશોર ખેતરમાં જવા નીકળ્યા હતા ત્યારે સર્જાયેલી કરુણાંતિકા
પોલીસે બંને કિશોરોના મૃતદેહને આંકલાવ સરકારી હોસ્પિટલ ખાતે પોસ્ટમોર્ટમ કરાવી અકસ્માતે મોતનો ગુનો નોંધી આગળની તપાસ હાથ ધરી
આણંદ,આંકલાવ તાલુકાના કંથારિયા માર્ગ પર મંગળવારે સાંજના સુમારે અકસ્માતની ગોઝારી ઘટના સામે આવી છે, જેમાં બે આશાસ્પદ કિશોરોએ મોપેડ સ્લીપ થઈ જતાં ગંભીર ઈજાથી પોતાનો જીવ ગુમાવતાં ગામમાં શોકનું મોજું ફરી વળ્યું છે. આ અંગે આંકલાવ પોલીસે ગુનો દાખલ કરી કાર્યવાહી હાથ ધરી છે.આંકલાવ તાલુકાના ખડોલ(હ) ગામના સુથારી વગો વિસ્તારમાં રહેતા ૧૭ વર્ષીય સોહિલભાઈ સમસુદીન પરમાર અને ૧૩ વર્ષીય આરીફ રણજિત પરમાર પોતાનું એક્ટિવા લઈને ખડોલ ગામથી છબજીપુરા ખાતે આવેલા ખેતરમાં જવા માટે નીકળ્યા હતા. તે દરમિયાન કંથારિયા ગામ પાસેથી પસાર થતી વખતે અચાનક એક્ટિવા સ્લીપ ખાઈ ગયું હતું.
અકસ્માત એટલો ગંભીર હતો કે એક્ટિવા પરથી નીચે પછાડાતાં બંને કિશોરોને માથાના ભાગે જીવલેણ ઈજાઓ પહોંચી હતી, જેના કારણે બંનેના ઘટનાસ્થળે જ કમકમાટીભર્યા મોત નીપજ્યાં હતાં. એક જ ગામના બે માસૂમ બાળકોના અકાળે અવસાનના સમાચાર વાયુવેગે પ્રસરતાં ખડોલ પંથકમાં ભારે અરેરાટી વ્યાપી ગઈ છે અને પરિવારોમાં આક્રંદ છવાયો છે. ઘટનાની જાણ થતાં જ આંકલાવ પોલીસ તાત્કાલિક સ્થળ પર પહોંચી ગઈ હતીબંને કિશોરોના મૃતદેહને આંકલાવ સરકારી હોસ્પિટલ ખાતે પોસ્ટમોર્ટમ કરાવી અકસ્માતે મોતનો ગુનો નોંધી આગળની તપાસ હાથ ધરી છે.

