હવામાનશાસ્ત્રીઓ કહે છે કે આ વખતે ચોમાસુ વહેલું આવી શકે છે*-આ વખતે તે ૨૬ મે, ૨૦૨૬ સુધીમાં કેરળના કિનારે થોડો વહેલો પહોંચવાની ધારણા
(એજન્સી)અમદાવાદ, રાજ્યમાં ગરમીનો પ્રકોપ યથાવત જોવા મળી રહ્યો છે. આગામી એક સપ્તાહ સુધી લોકો અંગ દઝાડતી ગરમીનો સામનો કરશે તેવી આગાહી હવામાન વિભાગે વ્યક્ત કરી છે. પશ્ચિમ અને ઉત્તર-પશ્ચિમ તરફથી ફૂંકાતા ગરમ પવનોને કારણે તાપમાનમાં સતત વધારો થઈ રહ્યો છે અને લોકો ગરમીથી ત્રાહિમામ પોકારી રહ્યા છે.
અમદાવાદમાં આજે તાપમાન ૪૪ ડિગ્રી સુધી પહોંચવાની શક્્યતા વ્યક્ત કરવામાં આવી છે. બુધવારે અમદાવાદ રાજ્યનું સૌથી ગરમ શહેર બન્યું હતું, જ્યાં મહત્તમ તાપમાન ૪૩.૭ ડિગ્રી નોંધાયું હતું. ગરમીના કારણે બપોરના સમયે રસ્તાઓ સૂમસામ જોવા મળી રહ્યા છે અને લોકો ઘર બહાર નીકળવાનું ટાળી રહ્યા છે. એક તરફ ગરમીનો કહેર યથાવત છે તો બીજી તરફ હવામાન વિભાગે વરસાદની આગાહી પણ કરી છે.
રાજ્યના કેટલાક વિસ્તારોમાં વાતાવરણમાં પલટો આવવાની શક્્યતા છે. કાલે ગીર સોમનાથ, અમરેલી, નવસારી, ડાંગ અને કેન્દ્રશાસિત પ્રદેશ દમણમાં હળવાથી મધ્યમ વરસાદની આગાહી કરવામાં આવી છે. જ્યારે ૨૩ મેના રોજ ગીર સોમનાથ, અમરેલી અને ભાવનગર જિલ્લામાં વરસાદ વરસી શકે છે.આ ઉપરાંત નવસારી, તાપી, ડાંગ, વલસાડ અને દાદરા નગર હવેલી વિસ્તારમાં પણ વાદળછાયું વાતાવરણ રહેશે અને છુટછવાયા વરસાદનું અનુમાન વ્યક્ત કરવામાં આવ્યું છે.
ગરમી વચ્ચે વરસાદની આગાહીને કારણે લોકોને થોડોક રાહતનો અનુભવ થઈ શકે છે. સામાન્ય રીતે ચોમાસુ ૧ જૂનની આસપાસ કેરળ પહોંચે છે, પરંતુ આ વખતે તે ૨૬ મે, ૨૦૨૬ સુધીમાં કેરળના કિનારે થોડો વહેલો પહોંચવાની ધારણા છે. આઈએમડી અનુસાર, આ તારીખ ૨૨ મે અને ૨૬ મે વચ્ચેની આવી શકે છે, કારણ કે આ આગાહીઓ ૪ દિવસમાં ફેરફાર થઇ શકે છે.
૨૦૨૫ માં, ચોમાસુ ૨૪ મે ના રોજ કેરળ પહોંચ્યું હતું, જે તાજેતરના વર્ષોમાં સૌથી વહેલા આગમનમાંનું એક છે. હાલમાં, ચોમાસુ આંદામાન અને નિકોબાર ટાપુઓ અને બંગાળની ખાડીના કેટલાક ભાગોને પાર કરી ગયું છે.
હવામાનશાસ્ત્રીઓ કહે છે કે આ વખતે ચોમાસુ વહેલું આવી શકે છે, પરંતુ તેની શરૂઆત ખૂબ મજબૂત અને વ્યવસ્થિત હોવાની અપેક્ષા નથી. સ્કાયમેટ વેધરના સ્થાપક અને અધ્યક્ષ જતીન સિંહના જણાવ્યા અનુસાર, ચોમાસાની શરૂઆત નબળી અને અસંગઠિત હોવાની શક્્યતા છે.

