ગીર સોમનાથ બાદ ગુજરાતમાં વધુ 7 સ્થળોએ STATCOMની સ્થાપના થશે-GETCO ભારતમાં STATCOM ટેક્નોલૉજીનો ઉપયોગ કરનારી પ્રથમ સ્ટેટ ટ્રાન્સમિશન યુટિલિટી
STATCOMથી કૃષિ ક્ષેત્રમાં વોલ્ટેજ સ્થિરતા અને સતત વીજ પ્રવાહ સુનિશ્ચિત થયા
ગાંધીનગર, એક સમયે વીજ અછત ધરાવતું ગુજરાત રાજ્ય આજે દેશમાં ઊર્જા ક્ષેત્રે અગ્રેસર અને આત્મનિર્ભર રાજ્ય બન્યું છે. તત્કાલીન મુખ્યમંત્રી અને વર્તમાન વડાપ્રધાન શ્રી નરેન્દ્ર મોદીના નેતૃત્વમાં વીજ ક્ષેત્રમાં વ્યાપક સુધારા કરવામાં આવ્યા, જેના પરિણામે રાજ્યમાં 24 કલાક વીજ પુરવઠો સુનિશ્ચિત થયો. તેમના નેતૃત્વમાં જ ગામડાઓમાં 24 કલાક વીજ પુરવઠો ઉપલબ્ધ બને એ માટે જ્યોતિગ્રામ યોજના શરૂ કરવામાં આવી હતી, જે અન્ય રાજ્યો માટે પણ ઉદાહરણરૂપ બની. આજે મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલના નેતૃત્વ હેઠળ ગુજરાત વીજ ક્ષેત્રમાં નવા માપદંડ સ્થાપિત કરી રહ્યું છે.
ઉલ્લેખનીય છે કે, ગુજરાત સરકારે ગીર સોમનાથના ટીંબડી સબસ્ટેશન ખાતે રાજ્યનું પ્રથમ અદ્યતન STATCOM સ્થાપિત કરીને પાવર ગ્રીડને વધુ મજબૂત બનાવવાની દિશામાં મહત્વપૂર્ણ પગલું ભર્યું હતું. આવનારા સમયમાં રાજ્યના અન્ય 7 મહત્વપૂર્ણ સબસ્ટેશનો ખાતે પણ STATCOM સ્થાપિત કરવાની યોજના છે.

ગીર સોમનાથ જિલ્લામાં છે ગુજરાતનું પ્રથમ STATCOM
ગુજરાત સરકારના ઊર્જા અને પેટ્રોકેમિકલ્સ વિભાગ હેઠળ કાર્યરત ગુજરાત એનર્જી ટ્રાન્સમિશન કોર્પોરેશન લિમિટેડ (GETCO) દ્વારા અદ્યતન સ્ટેટિક સિન્ક્રોનસ કમ્પેન્સેટર (STATCOM) સ્થાપિત કરવામાં આવ્યું છે. ‘સ્માર્ટ વોલ્ટેજ સ્ટેબિલાઇઝર’ તરીકે ઓળખાતી આ સિસ્ટમ ગ્રીડમાં વોલ્ટેજ સ્થિરતા, સતત વીજ પ્રવાહ સુનિશ્ચિત કરે છે અને ગ્રીડમાં કોઈ ફેરફાર થાય તો તરત જ પ્રતિક્રિયા આપે છે.
5 માર્ચ 2019ના રોજ ગીર સોમનાથ જિલ્લાના 220 kV ટીંબડી સબસ્ટેશન ખાતે ±120 MVAR ક્ષમતા ધરાવતું STATCOM કાર્યરત થયું હતું. આ સાથે, ગુજરાત એનર્જી ટ્રાન્સમિશન કોર્પોરેશન લિમિટેડ (GETCO) ભારતમાં STATCOM ટેક્નોલૉજીનો ઉપયોગ કરનારી પ્રથમ સ્ટેટ ટ્રાન્સમિશન યુટિલિટી બની ગઈ.

STATCOMની જરૂરિયાત શા માટે ઊભી થઈ?
ગુજરાતમાં વિવિધ ક્ષેત્રોમાં, ખાસ કરીને કૃષિ ક્ષેત્રમાં વીજળીની માંગ વધુ રહે છે, જેથી ગ્રીડમાં વોલ્ટેજની સ્થિરતા અને વીજળીની ગુણવત્તા જાળવવી પડકારજનક બની જાય છે. પરંપરાગત કેપેસિટર અને રિએક્ટર જેવી વ્યવસ્થાઓ સ્થિર સપોર્ટ આપે છે, પરંતુ માંગમાં થતા ઉતાર-ચઢાવ સામે એક વિશેષ સિસ્ટમની આવશ્યકતા હતી.

