ગુજરાતઃ ૨૦૭ જળાશયોમાં ૫૫ ટકા પાણીનો જથ્થો ઉપલબ્ધ,
(એજન્સી)ગાંધીનગર, ગુજરાતમાં કાળઝાળ ગરમીને લીધે જળાશયોમાં પાણીનું લેવલમાં ઘટોડો થયો છે. ચોમાસાના આગમનને હજુ એક મહિનાથી ઓછો સમય બાકી છે ત્યારે રાજ્યના કુલ ૨૦૭ જળાશયોમાં સરેરાશ જળસ્તર માત્ર ૫૫.૨૪ ટકા જ બચ્યું છે.
જ્યારે રાજ્યના ૮૮ જળાશયોમાં પાણીનું સ્તર ૨૦ ટકાથી પણ ઓછું છે, ૧૦ મોટા ડેમ તો સાવ તળિયાઝાટક થઈ ગયા છે. જો વરસાદ ખેંચાશે તો પાણીની સમસ્યા ઊભી થશે. જોકે સરદાર સરોવર નર્મદા ડેમમાં પુરતી જળરાશી હોવાથી સિચાઈ અને પીવાના પાણી માટે વધુ સમસ્યા સર્જાશે નહીં. સિંચાઈ વિભાગના સૂત્રોના કહેવા મુજબ રાજ્યમાં ૯૦ ટકાથી વધુ જળસ્તર ધરાવતો રાજકોટનો આજી-૨ ડેમ છે.
આ સિવાય અન્ય નોંધપાત્ર જળસ્તર ધરાવતા જળાશયોમાં ભાવનગરના હાનોલમાં ૮૮.૯૩ ટકા, સુરેન્દ્રનગરના વાંસોલમાં ૮૭.૧૫ ટકા, મહીસાગરના વણાકબોરીમાં ૮૬.૮૯ ટકા, ભાવનગરના રંઘોળામાં ૮૩.૭૫ ટકા સાથે સૌથી વધુ જળસ્તર છે. આ ઉપરાંત રાજ્યની જીવાદોરી સમાન ગણાતા સરદાર સરોવર નર્મદા ડેમમાં હાલ ૭૦.૯૨ ટકા જળસ્તર છે,
જે આગામી ચોમાસા સુધી પાણીની જરૂરિયાત પૂરી કરવા માટે મહત્વનો સ્ત્રોત બની રહેશે. ગુજરાતના જુદા-જુદા જિલ્લાના ૧૦ જળાશયોના તળિયા દેખાયા છે. જેમાં મુખ્યત્વે પોરબંદરમાં સારણ, જૂનાગઢમાં પ્રેમપરા, કચ્છમાં કૈલા, પોરબંદરમાં અમીપુર, દેવભૂમિ દ્વારકામાં ગઢકી, સુરેન્દ્રનગરમાં નિમ્બાણી જેવા જળાશય તળિયાઝાટક છે.

