નાંદેજ ગ્રામ પંચાયતના સરાહનીય પ્રયોગ હેઠળ એક જ દિવસમાં 300 વડીલો અને વિધવા બહેનોના eKYC કરાયા
ગ્રામ્ય સ્તરે સરકારી યોજનાઓનો લાભ સરળતાથી મળી રહે અને વહીવટી પ્રક્રિયા ઝડપી બને તેવા હેતુ સાથે દસ્ક્રોઈ તાલુકાના નાંદેજ ગામે એક વિશેષ eKYC કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું.
નાંદેજ ગ્રામ પંચાયત કચેરી ખાતે યોજાયેલા આ કેમ્પમાં સરકારની કલ્યાણકારી યોજનાઓ અંતર્ગત eKYC ની કામગીરી હાથ ધરવામાં આવી હતી. આ કેમ્પ મુખ્યત્વે ‘વિધવા સહાય યોજના‘ અને ‘નિરાધાર વૃદ્ધ સહાય યોજના‘ના લાભાર્થીઓ માટે રાખવામાં આવ્યો હતો.
વર્તમાન સમયમાં સરકારી સહાય સીધી બેંક ખાતામાં મેળવવા માટે eKYC કરાવવું ફરજિયાત હોવાથી, ગ્રામજનોને તાલુકા મથકે ધક્કા ન ખાવા પડે તે માટે ગામમાં જ આ વ્યવસ્થા ઊભી કરવામાં આવી હતી.
નાંદેજ ગ્રામ પંચાયતના આ સરાહનીય પ્રયાસને ગ્રામજનો તરફથી ઉત્સાહજનક પ્રતિસાદ મળ્યો હતો. દિવસ દરમિયાન યોજાયેલા આ કેમ્પમાં આશરે 300 જેટલા જરૂરિયાતમંદ અને વૃદ્ધ લાભાર્થીઓના સફળતાપૂર્વક eKYC કરવામાં આવ્યા હતા.
સ્થાનિક આગેવાનો અને પંચાયતના કર્મચારીઓના સહયોગથી આ સમગ્ર કેમ્પનું આયોજન સુચારુ રૂપે પાર પડ્યું હતું, જેમાં ગામના વડીલો અને વિધવા બહેનોએ ઉત્સાહભેર ભાગ લીધો હતો.

