(એજન્સી)અમદાવાદ, ગુજરાતમાં હાલ કાળઝાળ ગરમીથી લોકો ત્રાહીમામ પોકારી ગયા છે. ચોમાસાના આગમન પહેલા ગરમીનો આ છેલ્લો તબક્કો છે, ત્યારે પંજાબથી પાકિસ્તાન થઈને ગુજરાત નજીકના ઉત્તર-પૂર્વ અરબી સમુદ્ર સુધી ટ્રફ સર્જાતા અને તા. ૨૮ મેના રોજ વધુ એક વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ સર્જાશે તેના લીધે તા ૩૦, ૩૧ મે અને તા ૧ જૂન એમ ત્રણ દિવસ રાજ્યમાં આંધી અને ગાજવીજ સાથે માવઠુ પડવાની આગાહી કરવામાં આવી છે.
રાજ્યના હવામાન વિભાગના સૂત્રોના કહેવા મુજબ આજે બુધવારથી બે દિવસ સૌરાષ્ટ્ર-કચ્છના કાંઠા વિસ્તારોમાં હવામાં ભેજનું પ્રમાણ વધતા અસહ્ય બફારો અનુભવાશે. જ્યારે તા ૩૦ મેથી તા ૧ જૂન સુધી ઉત્તર ગુજરાત અને છેલ્લે સૌરાષ્ટ્ર કચ્છના અમરેલી, ભાવનગર સહિત જિલ્લામાં વિજળીના કડાકા ભડાકા અને કલાકના ૫૦ કિ.મી.ની ઝડપે આંધી સાથે માવઠું પડવાની શક્યતા છે.
નૈઋત્યનું ચોમાસુ હજુ દક્ષિણ ભારતમાં કેરલમાં પ્રવેશ્યું નથી, કેરલ પાસે દરિયામાં ચાર દિવસથી સ્થિર છે. ત્યારે દેશની પશ્ચિમે વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ, ટ્રફ, સાયક્લોનિક સર્ક્યુલેશન સહિત સીસ્ટમથી પ્રબળ બની છે. તેના લીધે ગુજરાતના કેટલાક વિસ્તારોમાં આંધી સાથે માવઠુ પડી શકે છે.
હવામાન વિભાગ અને અંબાલાલ પટેલની આગાહી મુજબ, મે મહિનાના અંતમાં અને જૂનની શરૂઆતમાં ગુજરાતના વાતાવરણમાં પણ મોટો પલટો જોવા મળશે. પાકિસ્તાનથી પંજાબ થઈને ઉત્તર-પૂર્વ અરબી સમુદ્ર સુધી લંબાયેલું ટ્રફ અને વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ સક્રિય થતાં દેશના ૧૭ રાજ્યોમાં હવામાન પલટાવાની પૂરેપૂરી શક્યતા છે.
અરબ સાગર અને બંગાળની ખાડીમાં સિસ્ટમ સક્રિય થવાને કારણે આગામી દિવસોમાં ધૂળની ડમરીઓ, તીવ્ર પવન અને ગાજવીજ સાથે મૂશળધાર વરસાદ પડી શકે છે.

