અમદાવાદમાં જમીન વિવાદમાં નિવૃત્ત ડીવાયએસપીએ ૫ રાઉન્ડ ફાયરિંગ કર્યું
(એજન્સી)અમદાવાદ, અમદાવાદ નેહરુનગર વિસ્તારમાં બુધવારે જમીનના વિવાદને પગલે એક નિવૃત્ત ડેપ્યુટી સુપ્રિટેન્ડન્ટ ઓફ પોલીસ દ્વારા હવામાં ફાયરિંગ કરવામાં આવતા સમગ્ર વિસ્તારમાં ભારે તંગદિલી વ્યાપી ગઈ હતી. બે જૂથો વચ્ચે ચાલી રહેલા જમીન સંબંધી વિવાદે ઉગ્ર સ્વરૂપ ધારણ કરતા આ ઘટના ઘટી હોવાનું પોલીસની પ્રાથમિક તપાસમાં સામે આવ્યું છે.
પોલીસ સૂત્રો પાસેથી મળતી માહિતી મુજબ, વિવાદિત જમીન પર બંને પક્ષોના આશરે પાંચથી છ લોકો સામસામે આવી ગયા હતા. આ દરમિયાન બંને જૂથો વચ્ચે ઉગ્ર બોલાચાલી અને ઘર્ષણ થયું હતું. આ વિવાદ એટલો વધી ગયો કે ત્યાં હાજર નિવૃત્ત ડીવાયએસપી અશ્વિન ચૌહાણે પોતાની પિસ્તોલ કાઢીને હવામાં એક પછી એક એમ પાંચ રાઉન્ડ ( બે રાઉન્ડ નીચે જમીનમાં અને ત્રણ રાઉન્ડ ઉપર હવામાં) ફાયરિંગ કરી દીધું હતું.
સદનસીબે આ ઘટનામાં કોઈ જાનહાનિ કે કોઈને ગંભીર ઈજા થઈ નથી. ઘટનાનો વીડિયો પણ વાઈરલ થઈ રહ્યો છે, જેમાં નિવૃત્ત ડીવાયએસપી અશ્વિન ચૌહાણ કહી રહ્યા છે કે મારી મંજૂરી વગર આ પ્રોપર્ટીમાં તમે પગ કેવી રીતે મૂક્યો, બહાર નીકળો નહીંતર લાશો પડી જશે, કોર્ટમાં મળીશું, તેમ કહી એક બાદ એક રાઉન્ડ હવામાં ફાયરિંગ કરે છે.
અમદાવાદ શહેરની વચ્ચે ધોળે દિવસે ફાયરિંગની ઘટના બનતા જ આસપાસના લોકોમાં અફરાતફરી મચી ગઈ હતી. ઘટના અંગે કંટ્રોલ રૂમમાં જાણ કરવામાં આવતા જ સેટેલાઇટ પોલીસ સ્ટેશનનો કાફલો તાત્કાલિક ઘટનાસ્થળે દોડી ગયો હતો અને પરિસ્થિતિને કાબૂમાં લીધી હતી. પોલીસે કાયદો અને વ્યવસ્થા જાળવી રાખવા માટે બંને પક્ષના અંદાજે ૧૦ જેટલા લોકોને પૂછપરછ માટે કસ્ટડીમાં લઈ પોલીસ સ્ટેશન ભેગા કર્યા હતા.
નિવૃત્ત ડીવાયએસપી સામે આ ફાયરિંગ કરવા બદલ સેટેલાઇટ પોલીસે ગુનો નોંધી આગળની કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે, જેમાં ફાયરિંગ માટે વપરાયેલી પિસ્તોલને કબજે કરવામાં આવી છે.
પોલીસના ઉચ્ચ અધિકારીઓના જણાવ્યા અનુસાર, હાલ બંને પક્ષોના નિવેદનો નોંધવાની પ્રક્રિયા ચાલી રહી છે અને ઘટનાની સત્યતા તપાસવા માટે આસપાસના વિસ્તારના સીસીટીવી ફૂટેજ પણ ચકાસવામાં આવી રહ્યા છે. આ જમીનની માલિકી અને કબજા અંગેના વિવાદની ઉંડાણપૂર્વક તપાસ ચાલુ છે.

