(એજન્સી)અમદાવાદ, રાજ્યમાં પેટ્રોલ-ડીઝલ બાદ સીએનજીના ભાવમાં પણ કિલોએ રૂપિયા બેનો વધારો કરાતા અમદાવાદમાં સીએનજીનો ભાવ પ્રતિકિલોએ રૂપિયા ૮૮.૦૨ પહોંચતા રિક્ષાચાલકોએ વિરોધ કર્યો છે.
CNGના ભાવમાં છેલ્લા બે મહિનામાં રૂપિયા ૬નો વધારો થયો છે. સીએનજીના ભાવ વધારાની સૌથી વધુ અસર રિક્ષાચાલકો પર જોવા મળી રહી છે. કારણ કે રિક્ષા ચાલકોએ છેલ્લા ત્રણ વર્ષથી ભાડામાં વધારો કર્યો નથી જ્યારે બીજી તરફ સીએનજીના ભાવમાં સતત વધારો થતા હવે રિક્ષાચાલકો આંદોલનની ચીમકી ઉચ્ચારી રહ્યા છે.
પેટ્રોલ- ડીઝલ બાદ સીએનજીના ભાવમાં પણ વધારો થતાં હવે જીવન જરૂરિયાતની તમામ ચિજ-વસ્તુઓમાં વધારો થશે. અમદાવાદમાં તમામ રિક્ષાઓ સીએનજી સંચાલિત છે. એટલે રિક્ષાચાલકોની ચિંતા વધી ગઈ છે.
ગેસ કંપની દ્વારા સીએનજીના ભાવમાં પ્રતિ કિલો ૨ રૂપિયાનો વધારો કરવામાં આવ્યો છે. અમદાવાદમાં સીએનજીના ભાવ પ્રતિકિલોએ હવે ૮૬.૦૨થી વધીને ૮૮.૦૨ પ્રતિ કિલોએ પહોંચ્યો છે. છેલ્લા બે મહિનાની અંદર અંદાજે ૬ જેટલો વધારો થતા વાહનચાલકોના માસિક ખર્ચમાં સીધી અસર જોવા મળી રહી છે.
એક તરફ પેટ્રોલ અને ડીઝલના ભાવ સતત વધી રહ્યા છે ત્યારે હવે સીએનજીના ભાવમાં પણ વધારો થતાં મધ્યમવર્ગ અને રોજબરોજ વાહન ચલાવતા લોકો માટે ખર્ચનો બોજ વધ્યો છે.
ખાસ કરીને રોજના ૮થી ૧૦ કલાક રસ્તા પર રહેતા રિક્ષાચાલકો માટે હાલની સ્થિતિ વધુ મુશ્કેલ બની રહી છે. કારણ કે સીએનજીના સતત વધતા ભાવ સામે સૌથી વધુ અસર ઓટોરિક્ષા ક્ષેત્ર પર જોવા મળી રહી છે. અમદાવાદમાં હજારો રિક્ષાચાલકો રોજિંદી આવક પર નિર્ભર છે. પરંતુ છેલ્લા ત્રણ વર્ષથી રિક્ષાના ભાડામાં કોઈ વધારો કરવામાં આવ્યો નથી. બીજી તરફ સીએનજી, વાહન મેન્ટેનન્સ, ઈન્સ્યોરન્સ અને સ્પેર પાટ્ર્સના ખર્ચમાં સતત વધારો થઈ રહ્યો છે.

