ગુજરાતમાં ગરમી : ગાંધીનગરના ‘ઇન્દ્રોડા પ્રકૃતિ ઉદ્યાન’માં અબોલ વન્યજીવોને હીટ સ્ટ્રોકથી બચાવવા વન વિભાગનું વિશેષ આયોજન
૧૫ જમ્બો કૂલર્સ,૨૦ હાઇ-ટેક સ્પ્રીન્ક્લર્સ અને વિટામિનયુક્ત આહારની વ્યવસ્થા: કાળઝાળ ગરમી વચ્ચે પશુ-પક્ષીઓના આવાસમાં તાપમાન ૪ ડિગ્રી સુધી ઘટાડાયું
સમગ્ર રાજ્યમાં ગ્લોબલ વોર્મિંગના કારણે વાતાવરણમાં ગરમીનો પારો સતત ઊંચકાઈ રહ્યો છે,ત્યારે અસહ્ય તાપ અને લૂ-ગરમ પવનોથી અબોલ વન્ય-જીવોના રક્ષણ માટે ગાંધીનગર સ્થિત પ્રખ્યાત‘ઇન્દ્રોડા પ્રકૃતિ ઉદ્યાન‘ (ઝૂ) ખાતે વન વિભાગ દ્વારા વિશેષ આયોજન’ હાથ ધરવામાં આવ્યું છે.
વન અને પર્યાવરણ મંત્રી શ્રી અર્જુન મોઢવાડીયા તેમજ રાજ્ય મંત્રી શ્રી પ્રવીણ માળીના માર્ગદર્શન હેઠળ ‘ગીર’ (GEER)ફાઉન્ડેશન દ્વારા સંચાલિત આ પ્રાણી સંગ્રહાલયમાં એપ્રિલ માસથી જ વ્યવસ્થાઓ ગોઠવવામાં આવી છે,જે આગામી ચોમાસાની શરૂઆત સુધી કાર્યરત રહેશે.

આધુનિક અને કુદરતી સંસાધનોની મદદથી ‘માઇક્રો ક્લાઇમેટ’ ઊભું કરાયું
ઇન્દ્રોડા પાર્કમાં હાલમાં ૩ સિંહ,૨ વાઘ,૩ દીપડા,મીઠા પાણીના મગર,શાહુડી,દુર્લભ પક્ષીઓ અને સરીસૃપો સહિત કુલ ૬૦૦ કરતાં વધારે વન્યજીવો વસવાટ કરે છે. આ તમામ જીવોને હીટ-વેવથી સુરક્ષિત રાખવા માટે આવાસ વિસ્તારોમાં આધુનિક તેમજ કુદરતી વ્યવસ્થાઓ ગોઠવવામાં આવી છે:
જમ્બો ટેન્ટ એર કૂલર્સ:માંસાહારી વન્યજીવોના આવાસ અને સર્પગૃહમાં કુલ ૧૫ નંગ જમ્બો એર કૂલર્સ ફિટ કરાયા છે. બપોરના આકરા તાપ દરમિયાન આ કૂલર્સ ચાલુ રાખીને તાપમાન નિયંત્રિત કરાય છે. સર્પગૃહમાં આ વ્યવસ્થાના લીધે ત્યાં આવતા મુલાકાતીઓને પણ અસહ્ય ગરમી સામે રાહત મળે છે.
પોપ-અપ સ્પ્રીંક્લર્સ :તીવ્ર ગરમીના કલાકો દરમિયાન વન્યજીવોને ઠંડક આપવા માટે ખાસ ૨૦ હાઇ-પ્રેશર ફુવારા ગોઠવવામાં આવ્યા છે,જે બપોરે ૧:૦૦ થી ૫:૦૦ વાગ્યા દરમિયાન સતત કાર્યરત રહી ખુલ્લા વિસ્તારોમાં કુદરતી ઠંડક પ્રસરાવે છે.
ખસના પડદા અને એગ્રોનેટ શેડ:માંસાહારી વન્યજીવોના આવાસ,સર્પગૃહ અને પક્ષી ગૃહમાં વિવિધ સ્થાનો પર પરંપરાગત ખસના પડદા લગાવી તેના પર સમયાંતરે પાણીનો છંટકાવ કરવામાં આવે છે,જેનાથી પસાર થતો ગરમ પવન ઠંડા પવનમાં પરિવર્તિત થાય છે. આ ઉપરાંત સીધા તડકાથી બચવા માટે‘એગ્રોનેટ‘ના વિશેષ શેડ ઊભા કરાયા છે.
આ તમામ પ્રયાસોને પગલે વન્યજીવોના આવાસમાં સામાન્ય તાપમાન કરતાં ૨°Cથી ૪°Cજેટલો નોંધપાત્ર ઘટાડો થયો છે,જે પ્રાણીઓને અનુકૂળ ‘માઇક્રો ક્લાઇમેટ’ પૂરું પાડે છે.

