વૈકલ્પિક ડાયવર્ઝન રૂટ જાહેરઃ રિવરફ્રન્ટના પૂર્વ કિનારે નારણઘાટથી શીતલ એક્વા ફ્લેટ સુધીનો રોડ બંધ
(પ્રતિનિધિ)અમદાવાદ,અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા રૃ.360 કરોડના ખર્ચે સુભાષબ્રિજ નવો બનાવવા અને બંન્ને સાઈડ બે બ્રિજ બનાવવાનો પ્રોજક્ટ હાથ ધરવામાં આવી રહ્યો છે. હાલ સુભાષબ્રિજના વચ્ચેના ભાગ બાદ હવે પૂર્વ તરફના રિવરફ્રન્ટ રોડની પરના ભાગને તોડવાની કામગીરી શરૂ કરવામાં આવનાર છે.
આથી સુરક્ષાના ભાગરૂપે પૂર્વ રિવરફ્રન્ટ પર નારણઘાટથી લઈને શીતલ એક્વા ફ્લેટ સુધીનો આશરે 500 મીટરનો રોડ વાહનચાલકો માટે સંપૂર્ણપણે બંધ કરી દેવાયો છે અને વૈકલ્પિક ડાયવર્ઝન રૂટ જાહેર કરાયો છે.
હાલ બ્રિજના વચ્ચેના ભાગ બાદ હવે પૂર્વ તરફના રિવરફ્રન્ટ રોડની ઉપરના ભાગને તોડવાની કામગીરી શરૂ કરવામાં આવનાર છે. આથી સુરક્ષાના ભાગરૂપે પૂર્વ રિવરફ્રન્ટ પર નારણઘાટથી લઈને શીતલ એક્વા ફ્લેટ સુધીનો આશરે 500 મીટરનો રોડ વાહનચાલકો માટે સંપૂર્ણપણે બંધ કરી દેવાયો છે અને વૈકલ્પિક ડાયવર્ઝન રૂટ જાહેર કરાયો છે. આ રોડ બંધ કરવા માટે સત્તાવાર સમયમર્યાદા જાહેર નથી, કામ ચાલશે ત્યાં સુધી માર્ગ બંધ રહેશે.
અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના બ્રિજ પ્રોજેક્ટ વિભાગ, સાબરમતી રિવરફ્રન્ટ ડેવલપમેન્ટ કોર્પોરેશન લિમિટેડ (SRFDCL) કે શહેર ટ્રાફિક પોલીસ દ્વારા આ માર્ગ બંધ કરવા અંગે હજુ સુધી કોઈ સત્તાવાર જાહેરનામું કે સમયમર્યાદા જાહેર કરવામાં આવી નથી. પરંતુ, સ્થળ પરની સ્થિતિ જોતા સ્પષ્ટ છે કે જ્યાં સુધી બ્રિજ તોડવાની અને ઉપરના ભાગના સ્લેબ રિપેર કરવાની કામગીરી પૂર્ણ નહીં થાય, ત્યાં સુધી આ રોડ બંધ રહેશે અને વાહનચાલકોએ ફરજિયાતપણે ડાયવર્ઝન રૂટનો જ ઉપયોગ કરવો પડશે.
AMC દ્વારા સાબરમતી, ચાંદખેડા, મોટેરાને માધુપુરા, શાહીબાગ વિસ્તારોને જોડતા સુભાષબ્રિજને તોડીને નવો બનાવવા અને બંન્ને સાઈડ બે બ્રિજ તૈયાર કરવામાં આવશે. 2030માં યોજાનાર કોમનવેલ્થ ગેમ્સને ધ્યાનમાં લઈને સુભાષબ્રિજની કામગીરી પૂરજોશમાં ચાલી રહી છે.
ઉલ્લેખનીય છે કે, સુભાષબ્રિજના સ્પાનમાં તિરાડ અને સુભાષબ્રિજનો એક ભાગ બેસી જવાને કારણે કોઈ મોટી દુર્ઘટના ન સર્જાય અને જાનહાનિ ન થાય તે હેતુસર અગમચેતીરૃપે AMC દ્વારા તત્કાળ સુભાષબ્રિજ બંધ કરી દેવામાં આવ્યો હતો.
એરપોર્ટથી જમાલપુર તરફ જવા માટે: એરપોર્ટ તરફથી રિવરફ્રન્ટ રોડ થઈને જે વાહનચાલકોને જમાલપુર તરફ જવું છે, તેમણે નારણઘાટથી બહાર નીકળીને જમણી બાજુ વળી આગળના રિવરફ્રન્ટ કનેક્ટિંગ રોડ પર જવાનું રહેશે.
જમાલપુરથી ડફનાળા (એરપોર્ટ) તરફ જવા માટે: આ તરફથી આવતા વાહનોએ શીતલ એક્વા ફ્લેટ પાસેથી ટર્ન લઈ બહાર નીકળવાનું રહેશે અને સ્વામિનારાયણ મંદિર પાસેથી રિવરફ્રન્ટ તરફ જવાના રોડ પરથી ડફનાળા તરફ જઈ શકાશે.

