રાસાયણિક ખાતરો,જંતુનાશકોના આડેધડ ઉપયોગથી જમીન અને માનવ સ્વાસ્થ્ય પર મોટું જોખમ: કેન્સર જેવા ગંભીર રોગોનું પ્રમાણ વધ્યું:- કૃષિ મંત્રીશ્રી
પ્રાકૃતિક કૃષિને વેગ આપવા આગામી સમયમાં સરકારી કચેરીઓ, કલેક્ટર કચેરી અને મંડળીઓમાં પ્રાકૃતિક ખેતીના ઉત્પાદનો માટે વેચાણ કેન્દ્રો શરૂ કરાશે:- કૃષિ મંત્રીશ્રી
અમદાવાદ, કૃષિ મંત્રી શ્રી જીતુભાઈ વાઘાણીએ ગાંધીનગર જિલ્લાના શેરથા ગામથી રાજ્યવ્યાપી “ખેત બચાવો અભિયાન”ની શરૂઆત કરાવી હતી. આ અભિયાન સમગ્ર રાજ્યમાં ૧ જૂનથી ૩૦ જૂન,૨૦૨૬ દરમિયાન યોજાશે. આ યોજના અંતર્ગત રાજ્યભરના કૃષિ વૈજ્ઞાનિકો,કૃષિ વિભાગના અધિકારીઓ અને કર્મચારીઓ ગામે-ગામ જઈને ખેડૂતોને ‘ખેત બચાવો અભિયાન’ વિશે વિગતવાર માહિતગાર કરશે.
કૃષિ મંત્રી શ્રી જીતુભાઈ વાઘાણીએ ખેડૂતો અને પશુપાલકોને સંબોધતા જણાવ્યું હતું કે,ખેતી એ આપણા પૂર્વજોનો વારસો અને આપણો આત્મા છે. જો આજે આપણી ખેતીની જમીનને નહીં બચાવીએ,તો આવતીકાલે માનવજાત પણ નહીં બચે. આ અભિયાન માત્ર સરકારનો કાર્યક્રમ નથી,પરંતુ આપણી ભવિષ્યની પેઢીને સુરક્ષિત કરવાનો એક ભગીરથ પ્રયાસ છે.
મંત્રીશ્રીએ ચિંતા વ્યક્ત કરતાં જણાવ્યું હતું કે,ડી.એ.પી. અને યુરિયા જેવાં રાસાયણિક ખાતરો તેમજ જંતુનાશક દવાઓના અતિરેક ઉપયોગને કારણે ધીરે-ધીરે જમીનની ફળદ્રુપતા નાશ પામી રહી છે. જમીનના માધ્યમથી આ રાસાયણિક તત્વો પશુઓ અને માતાના દૂધ સુધી પહોંચી ગયાં છે,જેને કારણે નિર્દોષ બાળકો ગંભીર રોગોનો પણ ભોગ બની રહ્યાં છે. આજે કેન્સર જેવા અસાધ્ય રોગોના કેસ વધી રહ્યા છે,જેનું મુખ્ય કારણ આપણી દૂષિત ખાણી-પીણી છે. ૫૦ વર્ષ પહેલાં આપણા વડીલોને કોઈ રોગ નહોતા,જ્યારે આજે નાની ઉંમરે જ લોકો બ્લડપ્રેસર,સુગર અને કિડનીની બીમારીઓથી પીડાઈ રહ્યા છે.
કૃષિ મંત્રીશ્રીએ ગ્રામજનોને હૃદયપૂર્વક અપીલ કરતાં જણાવ્યું હતું કે,જો ૧૦૦ ટકા શક્ય ન હોય તો શરૂઆતમાં પોતાની જમીનના ૨૫ ટકા ભાગમાં પ્રાકૃતિક ખેતીનો પ્રયોગ અવશ્ય કરવો જોઈએ. પ્રાકૃતિક ખેતીથી ફાયદો જણાયા બાદ જ બીજી જમીનમાં આ પદ્ધતિ અપનાવવી જોઈએ. વધુમાં,ખેડૂતોએ રાસાયણિક ખાતરોનો ઉપયોગ માત્ર જરૂરિયાત પૂરતો અને સપ્રમાણ કરવા પણ મંત્રીશ્રીએ આગ્રહભરી વિનંતી કરી હતી.
વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદી અને રાજ્યપાલ શ્રી આચાર્ય દેવવ્રતજી હંમેશા પ્રાકૃતિક ખેતી પર ભાર મૂકે છે,કારણ કે તેઓ રાસાયણિક ખેતીને કારણે ભવિષ્યમાં આવનારા સંકટને સ્પષ્ટ જોઈ રહ્યા છે. આજે ગુજરાતમાં મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલના માર્ગદર્શન હેઠળ અત્યાર સુધીમાં ૮ લાખ ખેડૂતો પ્રાકૃતિક ખેતી અપનાવી ચૂક્યા છે,અને ચાલુ વર્ષે વધુ ૫ લાખ ખેડૂતોને આ અભિયાન સાથે જોડવાનો રાજ્ય સરકારનો સંકલ્પ છે. આ ઉપરાંત,કૃષિ વિભાગની ટીમ દ્વારા અત્યાર સુધીમાં અંદાજે ૨૦ લાખ ખેડૂતોને પ્રાકૃતિક ખેતી અંગેની તાલીમ પણ આપવામાં આવી છે.
રાજ્ય સરકારે ખેડૂતોને પોતાના પ્રાકૃતિક ઉત્પાદનો વેચવામાં તકલીફ ન પડે તે માટે સર્ટિફિકેશન અને ઓનલાઈન વેચાણની સુવિધા ઊભી કરી છે. મંત્રીશ્રીએ કાર્યક્રમમાં ઉપસ્થિત કલેક્ટર અને અન્ય ઉચ્ચ અધિકારીઓને સૂચના આપતાં જણાવ્યું હતું કે,કલેક્ટર કચેરી,જિલ્લા પંચાયત,મામલતદાર કચેરીઓ અને દૂધ મંડળીઓ ખાતે અઠવાડિયામાં બે દિવસ પ્રાકૃતિક ખેતીના શાકભાજી,અનાજ અને ફળોના વેચાણ કેન્દ્રો શરૂ કરવામાં આવે. આ સાથે જ તેમણે ઉચ્ચ અધિકારીઓને પણ પોતાના બંગલાના પટાંગણમાં પ્રાકૃતિક ખેતીના પ્રયોગો શરૂ કરી અન્યો માટે પ્રેરણારૂપ બનવા અનુરોધ કર્યો હતો.
‘બેટી બચાવો,બેટી પઢાવો’ અભિયાનની જેમ જ ‘ખેત બચાવો અભિયાન’ને પણ એક જન આંદોલન બનાવવા માટે ગુજરાતના તમામ ખેડૂત ભાઈઓને કૃષિ મંત્રી શ્રી જીતુભાઈ વાઘાણીએ આ પ્રસંગે આહ્વાન કર્યું હતું.
આ પ્રસંગે નગરજનોને ‘વિશ્વ દૂધ દિવસ’ની શુભકામનાઓ પાઠવતા કૃષિ અને પશુપાલન મંત્રી શ્રી જીતુભાઈ વાઘાણીએ જણાવ્યું હતું કે,આજે સમગ્ર વિશ્વના કુલ દૂધ ઉત્પાદનમાંથી ૨૫ ટકા ઉત્પાદન ભારતમાં થાય છે,અને તેમાં પણ આપણું ગુજરાત સમગ્ર દેશમાં અગ્રેસર છે. વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદી અને મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલના નેતૃત્વમાં સરકારનો એવો સંકલ્પ છે કે,ખેડૂતો ખેતીની સાથે પશુપાલન પણ અપનાવે,જેથી તેમની આવકમાં મોટો વધારો થાય,દેશને શુદ્ધ દૂધ મળી રહે તેમજ એક તંદુરસ્ત સમાજનું નિર્માણ થાય.
આ પ્રસંગે કૃષિ વિભાગના અગ્ર સચિવ શ્રી આર.સી. મીણાએ જણાવ્યું હતું કે,સરકાર ખેડૂતોને આર્થિક ટેકો આપવા માટે રાહત દરે ખાતર ઉપલબ્ધ કરાવે છે,પરંતુ તેનો આડેધડ ઉપયોગ જમીનની ફળદ્રુપતાને પણ ભારે નુકસાન પહોંચાડી રહ્યો છે. જેમ દવાનો ઓવરડોઝ શરીરને બીમાર કરે છે,તેમ જ ખાતરોનો વધુ પડતો ઉપયોગ ખેતરને નુકસાન કરે છે. આથી ખેડૂતોએ નેનો યુરિયા અને નેનો ડી.એ.પી. જેવા આધુનિક વિકલ્પો અપનાવવા જોઈએ તેવો અગ્ર સચિવશ્રીએ અનુરોધ કર્યો હતો. તેમણે ઉમેર્યું કે,આ અભિયાન હેઠળ રાજ્યના તમામ ગામોમાં કૃષિ વૈજ્ઞાનિકો અને અધિકારીઓ રૂબરૂ જઈને ખેડૂતોને ગુણવત્તાયુક્ત બિયારણ તેમજ ખાતરના સપ્રમાણ ઉપયોગ અંગે માર્ગદર્શન આપશે.

