રાજ્યપાલ શ્રી આચાર્ય દેવવ્રતજીના ગ્રામ કલ્યાણ કાર્યક્રમને મળી રહ્યો છે અભૂતપૂર્વ જનપ્રતિસાદ
બે દિવસ દરમિયાન રાજ્યપાલશ્રીએ ખેડૂતો,પશુપાલકો,મહિલાઓ,બાળકો તથા વડીલો સાથે સાધ્યો સીધો સંવાદ
ભીષણ ગરમીમાં અંદાજે3 કલાક સુધી એસ.ટી.બસમાં સામાન્ય મુસાફરની જેમ સફર કરીને ગાંધીનગરથી કેશરગંજ પહોંચ્યા હતા રાજયપાલશ્રી
રાજ્યપાલશ્રીની સાંદગીથી ગ્રામજનો થયા પ્રભાવિત
સાબરકાંઠા જિલ્લાના વડાલી તાલુકાના કેશરગંજ ગામે આયોજિત બે દિવસીય‘ગ્રામ કલ્યાણ કાર્યક્રમ‘માં ગુજરાતના રાજ્યપાલશ્રી આચાર્ય દેવવ્રતજીના લોકસંપર્ક અને સાદગીનું એક નવું ઉદાહરણ બન્યો છે. રાજ્યપાલશ્રીના આગમનથી ગ્રામજનોમાં અનેરો ઉત્સાહ જોવા મળ્યો અને કાર્યક્રમને અભૂતપૂર્વ જનપ્રતિસાદ મળ્યો છે.
ભીષણ ગરમીમાં અંદાજે3કલાક સુધી એસ.ટી. બસમાં સામાન્ય મુસાફરની જેમ સફર કરીને ગાંધીનગરથી કેશરગંજ સુધી પહોંચેલા રાજ્યપાલશ્રીને જોઈને ગ્રામજનો આશ્ચર્યચકિત અને અભિભૂત થઈ ગયા હતા. તેમની આ સાદગી અને સરળતાએ ગ્રામજનોના હૃદય જીતી લીધા છે.
આ બે દિવસીય કાર્યક્રમ દરમિયાન રાજ્યપાલશ્રીએ માત્ર મંચ પરથી જ નહીં,પરંતુ ગામમાં ફરીને ખેડૂતો,પશુપાલકો,મહિલાઓ,બાળકો અને વડીલો સાથે સીધો અને આત્મીય સંવાદ સાધ્યો હતો. તેમણે ખેડૂતોને પ્રાકૃતિક ખેતીનું મહત્વ સમજાવ્યું,મહિલાઓના સ્વાસ્થ્ય અને સશક્તિકરણ અંગે ચર્ચાઓ કરી,અને બાળકો સાથે વાતો કરીને તેમને ઉજ્જવળ ભવિષ્ય માટે પ્રોત્સાહિત કર્યા હતા. વડીલોના આશીર્વાદ લેતી વખતે રાજ્યપાલશ્રીની વિનમ્રતાએ સૌને ભાવુક કરી દીધા હતા.
રાજ્યપાલ શ્રી આચાર્ય દેવવ્રતજીએ સંવાદ દરમિયાન જણાવ્યું હતું કે,ભારતની આત્મા ગામડાંમાં વસે છે. જ્યાં સુધી ગામડાં સમૃદ્ધ અને સ્વસ્થ નહીં થાય,ત્યાં સુધી ભારતનું સંપૂર્ણ વિકાસનું સપનું સાકાર નહીં થાય. મારી આ મુસાફરી અને સંવાદનો ઉદ્દેશ્ય માત્ર સરકારી યોજનાઓ પહોંચાડવાનો જ નથી,પણ ગામડાંની આંતરિક શક્તિને ઓળખવાનો અને ફરી ઉજાગર કરવાનો છે.
કેસરગંજના ગ્રામજનોએ જણાવ્યું હતું કે,અમને ક્યારેય નહોતું લાગ્યું કે રાજ્યના સર્વોચ્ચ પદ પર બેઠેલી વ્યક્તિ આટલી સરળતાથી અમારી વચ્ચે આવીને બેસશે,અમારી સાથે જમશે અને ઘરના સભ્યની જેમ અમારી સાથે સંવાદ કરશે.
આ કાર્યક્રમે સાબિત કર્યું છે કે જ્યારે કોઈ નેતૃત્વ જનતાની વચ્ચે રહીને કામ કરે છે,ત્યારે તે ખરા અર્થમાં‘લોક કલ્યાણ‘નું માધ્યમ બને છે. રાજ્યપાલશ્રીની આ મુલાકાત કેસરગંજ અને સમગ્ર સાબરકાંઠા જિલ્લા માટે એક યાદગાર અને પ્રેરણાદાયી ઘટના બની રહી છે.
ઉલ્લેખનીય છે કે,પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઈ મોદીના દેશને આત્મનિર્ભર અને આર્થિક રીતે સશક્ત બનાવવા માટેના‘આર્થિક આત્મરક્ષા’ ના મંત્રને ગુજરાતના રાજ્યપાલ શ્રી આચાર્ય દેવવ્રતજીએ ખરા અર્થમાં ચરિતાર્થ કરી છે. રાજ્યપાલશ્રીએ રાજ્યના પ્રવાસો માટે હેલિકોપ્ટર કે હવાઈ મુસાફરીને બદલે ટ્રેન,એસ.ટી. બસ અને જાહેર પરિવહનનો ઉપયોગ કરવાનો નિર્ણય લીધો છે.

