(પ્રતિનિધિ) અમદાવાદ, અમદાવાદ શહેરમાં સોમવારે મોડી રાત્રે અચાનક વાતાવરણમાં પલટો આવ્યો હતો અને તીવ્ર ગતિએ ફૂંકાયેલા ભારે પવનથી ઠંડક પ્રસરી ગઈ હતી. શહેરમાં ધૂળની ડમરીઓ ઉડવાની સાથે જ શહેરના જુદા જુદા વિસ્તારોમાં છૂટોછવાયો અડધો ઇંચ જેટલો વરસાદ ખાબક્યો હતો.
આ મિની વાવાઝોડાના કારણે શહેરના તમામ ઝોનમાં માર્ગો પર મોટા વૃક્ષો અને ભારે ડાળીઓ તૂટી પડવાની ઘટનાઓ સામે આવી છે. સત્તાવાર માહિતી અનુસાર, સમગ્ર શહેરમાં કુલ 30 જેટલા નાના-મોટા વૃક્ષો ઉખડી ગયા છે, જ્યારે 16 સ્થળોએ મોટી ડાળીઓ તૂટીને રસ્તા પર પડી ગઈ છે.
ભારે પવનની સૌથી વધુ અસર પશ્ચિમ અને પૂર્વ વિસ્તારમાં જોવા મળી હતી. પશ્ચિમ ઝોનમાં વાસણા, પાલડી, નવરંગપુરા, સાબરમતી, સ્ટેડિયમ અને ચાંદખેડા જેવા વિસ્તારોમાં 7 વૃક્ષો અને 7 મોટી ડાળીઓ પડવાની સાથે સૌથી વધુ 14 ફરિયાદો નોંધાઈ હતી.
જ્યારે પૂર્વ ઝોનમાં નિકોલ, વિરાટનગર, વસ્ત્રાલ અને અમરાઈવાડી જેવા વિસ્તારોમાં 8 વૃક્ષો ધરાશાયી થયા હતા. આ સિવાય ઉત્તર-પશ્ચિમ ઝોનમાં બોડકદેવ અને ઘાટલોડિયામાં 5 વૃક્ષો તેમજ ગોતામાં સાયન્સ સિટી રોડ અને કારગિલ રોડ પર 3 જગ્યાએ મોટી ડાળીઓ તૂટી પડી હતી. દક્ષિણ-પશ્ચિમ ઝોનના સરખેજ અને જોધપુર વિસ્તારમાં પણ 5 વૃક્ષો પડ્યા હોવાના અહેવાલ છે.
શહેરના કોટ વિસ્તાર એટલે કે સેન્ટ્રલ ઝોનમાં ખાડિયા અને દરિયાપુરા દરવાજા તેમજ મેટ્રોપોલિટન કોર્ટ ઘીકાંટા પાસે 3 વૃક્ષો પડ્યા હતા. દક્ષિણ ઝોનમાં વટવા અને લાંભામાં 3 વૃક્ષો અને ઇસનપુરા તથા વટવા રોડ પર 5 જગ્યાએ ડાળીઓ તૂટી પડી હતી.
રાત્રિના સમયે અચાનક વૃક્ષો રસ્તા વચ્ચે ખાબકતા મોડી રાત્રે વાહનવ્યવહારને અસર થઈ હતી. ઘટનાની જાણ થતાં જ અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના ગાર્ડન વિભાગની ટીમો મોડી રાત્રે જ એક્શનમાં આવી ગઈ હતી. રસ્તાઓ પર પડેલા વૃક્ષોને ક્રેન અને કટરની મદદથી હટાવવાની કામગીરી યુદ્ધના ધોરણે શરૂ કરવામાં આવી હતી. ગાર્ડન વિભાગે ત્વરિત કામગીરી કરીને કુલ 46 ફરિયાદોમાંથી 41 સ્થળો પરથી વૃક્ષો અને ડાળીઓ હટાવી રસ્તાઓ સાફ કરી દીધા છે.

