પાકિસ્તાન અધિકૃત કાશ્મીર (POK)માં લોકોના આંદોલનને બળ વડે કચડી રહેલી પાકિસ્તાની સેનાને મોટો ઝટકો લાગ્યો છે. પાકિસ્તાન આર્મીનું એમઆઈ-17 હેલિકોપ્ટર બુધવારે મુઝફ્ફરાબાદથી ટેકઓફ કરતી વખતે ક્રેશ થયું હતું. આ દુર્ઘટના માટે પાકિસ્તાની સેનાએ ટેકનિકલ ખામીને જવાબદાર ગણાવી છે. આ દુર્ઘટનામાં હેલિકોપ્ટરમાં સવાર તમામ પાકિસ્તાની સૈનિકોના મોત થયા છે.
પાકિસ્તાની અખબાર ડૉનના અહેવાલ અનુસાર, ISPRએ ઘટના અંગે ટૂંકી માહિતી આપતાં કહ્યું, “હેલિકોપ્ટરમાં સવાર તમામ લોકોનાં મોત નીપજ્યાં છે. કોઈ પણ બચ્યું નથી. ઘટનાની જાણ થતાં જ રાહત કર્મીઓ ઘટનાસ્થળે પહોંચી ગયા છે. કારણ જાણવા માટે તપાસ બોર્ડની રચના કરવામાં આવી છે.”
અસીમ મુનીરે દુઃખ વ્યક્ત કર્યું
પાકિસ્તાન આર્મી ચીફ ફિલ્ડ માર્શલ અસીમ મુનીરે પણ આ ઘટના બાદ માર્યા ગયેલા સૈનિકો પ્રત્યે સંવેદના વ્યક્ત કરી હતી. ISPRએ એક નિવેદનમાં જણાવ્યું હતું કે, આર્મી ચીફ અને આર્મીના તમામ રેન્ક આ દુ:ખદ ઘટનામાં જાન ગુમાવવા બદલ શોક વ્યક્ત કરે છે.
તમને જણાવી દઈએ કે, પાકિસ્તાનમાં તાજેતરના સમયમાં વારંવાર હવાઈ દુર્ઘટના થઈ રહી છે. સપ્ટેમ્બર 2025માં પાકિસ્તાની આર્મીનું એક હેલિકોપ્ટર ક્રેશ થયું હતું જેમાં બે પાઈલટ અને ત્રણ ટેકનિશિયન માર્યા ગયા હતા. આ સિવાય ઓગસ્ટ 2025માં પણ ખરાબ હવામાનને કારણે એક હેલિકોપ્ટર ક્રેશ થયું હતું, જેમાં બે પાયલટ સહિત ત્રણ લોકોના મોત થયા હતા. આ પહેલા પણ પાકિસ્તાનની સેના હેલિકોપ્ટર દુર્ઘટનાના કારણે પરેશાન રહી છે.

