નિષ્ણાતોએ કહ્યું, મોંઘવારીના જોખમોમાંથી રાહત મળશે, એનર્જી માર્કેટ રહેશે સ્થિર, નવી દિલ્હી, એજન્સી. અમેરિકા અને ઈરાન વચ્ચેના 107 દિવસના સંઘર્ષનો અંત અને સ્ટ્રેટ ઓફ હોર્મુઝ ફરીથી ખોલવાથી પશ્ચિમ એશિયામાં ભારતની નિકાસમાં વધારો થશે. આ સિવાય મેન્યુફેક્ચરિંગ એક્ટિવિટી વધશે અને રૂપિયાને સ્થિર કરવામાં મદદ મળશે. દેશના નિકાસકારો અને નિષ્ણાતોએ આ આશા વ્યક્ત કરી છે.
મોંઘવારીના ભયમાંથી રાહત મળશે
નિષ્ણાતોએ જણાવ્યું હતું કે જો આ સમજૂતી સફળતાપૂર્વક અમલમાં આવશે તો તેનાથી ભારતના આયાત બિલ પરનું દબાણ ઘટશે, ફુગાવાની અસરમાં ઘટાડો થશે અને વેપાર માટે સારું વાતાવરણ ઊભું થશે.
ઇકોનોમિક થિંક ટેન્ક જીટીઆરઆઇએ જણાવ્યું હતું કે ભારત માટે આ સમજૂતી ઊર્જાની વધતી કિંમતો, રૂપિયા પરનું દબાણ અને સંઘર્ષ દરમિયાન વધી ગયેલા ફુગાવાના જોખમોમાંથી રાહતની આશા લાવે છે. ભારત ક્રૂડ ઓઈલ, એલપીજી અને એલએનજી સપ્લાય માટે મોટાભાગે પશ્ચિમ એશિયા પર નિર્ભર છે. જીટીઆરઆઈના સ્થાપક અજય શ્રીવાસ્તવે જણાવ્યું હતું કે આ કરાર ભારત માટે તાત્કાલિક આર્થિક રાહત લાવે છે, કારણ કે સંઘર્ષે પશ્ચિમ એશિયા પર ભારતની નિર્ભરતાને છતી કરી છે. ક્રૂડ ઓઈલની લગભગ 50 ટકા આયાત, લગભગ 70 ટકા એલપીજી સપ્લાય અને લગભગ 90 ટકા એલએનજી ત્યાંથી મેળવવામાં આવે છે.
એનર્જી માર્કેટમાં સ્થિરતા રહેશે
અજય શ્રીવાસ્તવે કહ્યું કે સ્ટ્રેટ ઓફ હોર્મુઝ ફરી ખુલવાથી માર્કેટમાં સ્થિરતા આવશે. આનાથી તેલ અને ગેસની કિંમતો પર દબાણ ઘટશે, રૂપિયો મજબૂત થશે અને ભારતના વિકાસનો અંદાજ સુધરશે તેવી અપેક્ષા છે.

