મધ્ય પૂર્વમાં ચાલી રહેલા તણાવ વચ્ચે ઈરાને અમેરિકા સાથે તરત જ વાતચીત શરૂ કરવાનો સ્પષ્ટ ઈન્કાર કરી દીધો છે. વિદેશ પ્રધાન અબ્બાસ અરાઘચીએ જણાવ્યું હતું કે જ્યાં સુધી વોશિંગ્ટન સમજૂતીના મેમોરેન્ડમ (એમઓયુ) ના ઈરાન દ્વારા નોંધાયેલા ઉલ્લંઘનને સંબોધશે અને વળતર નહીં આપે ત્યાં સુધી તેહરાન વાટાઘાટના ટેબલ પર પાછા ફરશે નહીં. આ વલણ એવા સમયે સામે આવ્યું છે જ્યારે ઈરાન સ્ટ્રેટ ઓફ હોર્મુઝને જ્યાં સુધી અમેરિકા તેની માંગણીઓ પૂરી ન કરે ત્યાં સુધી બંધ રાખવા પર અડગ છે.
અમેરિકા સાથે સીધી વાતચીત નહીં
અરાઘચીએ સ્પષ્ટતા કરી કે ઈરાન આ સમયે અમેરિકા સાથે કોઈ સીધી વાતચીતમાં નથી. તેમના મતે, વાટાઘાટો ફરી શરૂ કરવા માટે શરતો બનાવવાના પ્રયાસમાં મધ્યસ્થી દ્વારા માત્ર સંદેશાઓની આપ-લે કરવામાં આવી રહી છે. તેમણે કહ્યું કે તહેરાનનું વલણ સ્પષ્ટ છે કે જ્યાં સુધી વોશિંગ્ટન એમઓયુનું ઉલ્લંઘન કરવાનું બંધ ન કરે અને તેના કારણે થયેલા નુકસાનની ભરપાઈ ન કરે ત્યાં સુધી વાતચીત પર વિચાર કરવામાં આવશે નહીં. ઈરાન તેને ‘વાટાઘાટ’ નહીં પરંતુ ‘સંદેશોની આપ-લે’ કહી રહ્યું છે.
હોર્મુઝ બંધ રહેશે
બીજી તરફ ઈરાની રિવોલ્યુશનરી ગાર્ડ્સે રવિવારે કહ્યું કે જ્યાં સુધી અમેરિકા તેહરાનની તમામ શરતો સ્વીકારે નહીં ત્યાં સુધી હોર્મુઝને ફરીથી ખોલવામાં આવશે નહીં. ગાર્ડ્સના પ્રવક્તા હુસૈન મોહેબીએ ઈરાનના સરકારી ટેલિવિઝન પર કહ્યું કે અમારી વર્તમાન વ્યૂહરચના હોર્મુઝ પર નિયંત્રણ જાળવી રાખવાની છે જ્યાં સુધી દુશ્મન અમારી તમામ શરતો સ્વીકારે નહીં. તે હવે આપણા માટે માત્ર જળમાર્ગ નહીં પણ યુદ્ધનું મેદાન બની ગયું છે. સુપ્રીમ નેશનલ સિક્યુરિટી કાઉન્સિલે પણ અલગથી કહ્યું કે જ્યાં સુધી યુએસ ‘તેના વર્તનને સુધારે નહીં’ ત્યાં સુધી મહત્વપૂર્ણ જળમાર્ગ બંધ રહેશે.
ઈરાનની છ મુખ્ય માંગણીઓ
કાઉન્સિલ સેક્રેટરી મોહમ્મદ બાઘર જોલગાડેર (જે રિવોલ્યુશનરી ગાર્ડમાં કમાન્ડર પણ છે) એ છ માંગણીઓ રજૂ કરી. આમાં શામેલ છે …
- યુ.એસ. અને તેના સહયોગીઓ દ્વારા ઈરાન સામેના તમામ ખતરાઓનો અંત
- ઈરાન અને તેના સાથીઓ સામે સૈન્ય કાર્યવાહીને કાયમ માટે સમાપ્ત કરવા
- આ વિસ્તારમાંથી યુએસ નેવી અને એરફોર્સને હટાવવી
- ઈરાનના બંદરો પરનો પ્રતિબંધ હટાવો
- યુદ્ધ નુકસાન માટે વળતર
- તમામ પ્રતિબંધો હટાવવા અને સ્થિર ઈરાની સંપત્તિની બિનશરતી મુક્તિ
કાઉન્સિલના નિવેદનમાં કહેવામાં આવ્યું છે કે અમેરિકાએ ઈરાનને ફરી ક્યારેય ધમકી આપવી જોઈએ નહીં અને આ ક્ષેત્રમાં તેના સશસ્ત્ર સાથીઓ સાથે યુદ્ધનો અંત આણવો જોઈએ.

