સીરિયાની રાજધાની, દમાસ્કસની એક અદાલતે મંગળવારે દેશના પૂર્વ રાષ્ટ્રપતિ બશર અલ-અસદને દોષિત ઠેરવ્યો અને પૂર્વયોજિત હત્યાના ગંભીર આરોપમાં મૃત્યુદંડની સજા સંભળાવી. તેના નિર્ણયમાં, કોર્ટે અસદ તેમજ દારા પ્રાંતના રાજકીય સુરક્ષા વિભાગના ભૂતપૂર્વ વડા આતિફ નજીબને પણ પૂર્વયોજિત હત્યા અને ત્રાસના આરોપમાં મૃત્યુદંડની સજા સંભળાવી હતી. આ નિર્ણય અસદ શાસન દરમિયાન વિપક્ષી કાર્યકરો, વિરોધીઓ અને નાગરિકો પર કથિત રીતે આચરવામાં આવેલા અત્યાચારોથી સંબંધિત છે.
કોર્ટે સ્પષ્ટ કહ્યું કે બંને આરોપીઓએ સત્તામાં રહીને જાણીજોઈને અને વ્યવસ્થિત રીતે લોકોને માર્યા અને ત્રાસ આપ્યો. નજીબ પર 2011ના વિરોધ પ્રદર્શનો દરમિયાન ખાસ કરીને દારા પ્રાંતમાં સુરક્ષા દળો દ્વારા કરવામાં આવેલી ક્રૂર કાર્યવાહીમાં સક્રિય ભૂમિકા ભજવવાનો આરોપ હતો. દારા એ વિસ્તાર હતો જ્યાંથી અસદ શાસન વિરુદ્ધ પ્રથમ મોટા પાયે જન આંદોલન શરૂ થયું હતું.
2000માં રાષ્ટ્રપતિ બન્યા
બશર અલ-અસદનો સત્તામાં ઉદય એ સીરિયાના રાજકારણમાં એક મહત્વપૂર્ણ અધ્યાય રહ્યો છે. પિતા હાફેઝ અલ-અસદના મૃત્યુ બાદ 2000માં તેઓ રાષ્ટ્રપતિ બન્યા હતા. તે સમયે ઘણા નિરીક્ષકોએ તેમને એક યુવાન, આધુનિક વિચારધારાવાળા અને સુધારાવાદી નેતા તરીકે જોયા હતા. તેમણે કેટલાક આર્થિક ઉદારીકરણ અને મર્યાદિત રાજકીય નિખાલસતાના સંકેતો દર્શાવ્યા હતા. પરંતુ 2011 માં, જ્યારે આરબ સ્પ્રિંગના પગલે સમગ્ર દેશમાં તેમના શાસન વિરુદ્ધ વિશાળ શાંતિપૂર્ણ પ્રદર્શનો ફાટી નીકળ્યા, ત્યારે અસદે લશ્કર, ગુપ્તચર એજન્સીઓ અને સુરક્ષા દળોનો ઉપયોગ કરીને તેમને સખત રીતે કચડી નાખ્યા. સુરક્ષા દળોએ દેખાવકારો પર ગોળીબાર કર્યો, સામૂહિક ધરપકડ કરી અને ઘણા વિસ્તારોને ઘેરી લીધા.
સીરિયા ગૃહયુદ્ધમાં ફસાઈ ગયું
આ ક્રેકડાઉને વિરોધને વધુ વેગ આપ્યો અને સીરિયા ધીમે ધીમે લાંબા, જટિલ અને અત્યંત વિનાશક ગૃહયુદ્ધમાં ઉતરી ગયું. યુદ્ધ દરમિયાન, લાખો નાગરિકો માર્યા ગયા હતા, કરોડો લોકોને તેમના ઘર છોડીને શરણાર્થી બનવાની ફરજ પડી હતી અને દેશનું ઇન્ફ્રાસ્ટ્રક્ચર લગભગ સંપૂર્ણપણે નાશ પામ્યું હતું. આંતરરાષ્ટ્રીય સંસ્થાઓ અને માનવાધિકાર જૂથોએ અસદ શાસન પર તેના પોતાના લોકો સામે રાસાયણિક શસ્ત્રોનો ઉપયોગ, અંધાધૂંધ બોમ્બ ધડાકા, સામૂહિક કબરો, જેલોમાં ત્રાસ અને યુદ્ધ અપરાધોનો ગંભીર આરોપ મૂક્યો છે.
રશિયામાં રહેતા ભૂતપૂર્વ રાષ્ટ્રપતિ
ડિસેમ્બર 2024 માં પરિસ્થિતિ અચાનક બદલાઈ ગઈ. સીરિયન બળવાખોર દળોએ ઝડપથી આગળ વધીને દમાસ્કસ પર કબજો કર્યો, જેના કારણે અસદ સરકારનું પતન થયું. 8 ડિસેમ્બર, 2024ની રાત્રે, બશર અલ-અસદ રશિયન સેનાની મદદથી ગુપ્ત રીતે સીરિયામાંથી ભાગી ગયા હતા. રશિયાના રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુતિને તેમને અને તેમના પરિવારને રાજકીય આશ્રય આપ્યો હતો. ત્યારથી અસદ પરિવાર મોસ્કોમાં રાજકીય શરણાર્થીઓ તરીકે રહે છે.

