આદિજાતિ વિકાસ અને શિક્ષણ મંત્રી ડો.કુબેરભાઈ ડીંડોર,વન અને પર્યાવરણ રાજ્યમંત્રી મુકેશભાઈ પટેલે વિદ્યાર્થીઓને આવકાર્યા: વિદ્યાર્થીઓ સાથે સંવાદ કરી પ્રોત્સાહિત કર્યા,રોચક અનુભવો જાણ્યા
નવાચાર સમાન શૈક્ષણિક પ્રવાસ બાળકોની કલ્પના અને સપનાને નવી ઉડાન આપે છે
તાપી જિલ્લાની નવીન પહેલ પ્રેરણાદાયી: રાજ્યના અન્ય આદિજાતિ જિલ્લાઓમાં શૈક્ષણિક પ્રેરણા પ્રવાસના નવતર પ્રયોગનું અમલીકરણ કરાશે
:આદિજાતિ,શિક્ષણ મંત્રી ડો.કુબેરભાઈ ડીંડોર
સરકારી શાળાના વિદ્યાર્થીઓ પ્રતિભા અને તેજસ્વિતાનું પ્રેરક ઉદાહરણ પૂરૂ પાડી રહ્યા છે: વન અને પર્યાવરણ રાજ્યમંત્રી મુકેશભાઈ પટેલ
ઈસરોનો પ્રવાસ વિદ્યાર્થીઓ માટે વિજ્ઞાન,ટેકનોલોજી અને અંતરિક્ષ ક્ષેત્રમાં કારકિર્દી બનાવવા પ્રેરણા પૂરી પાડનાર અનુભવ સાબિત થયો
‘તાપી કે તારે’ પ્રોજેક્ટ હેઠળ તાપી જિલ્લાના ૨૮ આદિવાસી બાળકોએ પ્રથમ વખત ચેન્નાઈ ખાતે ઈસરોની મુલાકાત લીધી હતી. ઈસરો પ્રવાસ પૂર્ણ કર્યા બાદ આજે સુરત એરપોર્ટ પર આવી પહોંચ્યા હતા. જ્યાં આદિજાતિ વિકાસ અને શિક્ષણ મંત્રી ડો.કુબેરભાઈ ડીંડોર,વન અને પર્યાવરણ રાજ્યમંત્રી અને તાપી જિલ્લા પ્રભારી મંત્રીશ્રી મુકેશભાઈ પટેલ તમામ વિદ્યાર્થીઓને આવકારવા પહોંચ્યા હતા
અને સુરત એરપોર્ટના કોન્ફરન્સ હોલમાં વિદ્યાર્થીઓ સાથે સંવાદ કરી પ્રોત્સાહિત કર્યા હતા,તેમના રોચક અનુભવો જાણ્યા હતા. તાપીના તારલાઓએ શ્રીહરિકોટા સ્થિત, ‘સ્પેસપોર્ટ ઑફ ઈન્ડિયા’ તરીકે વિશ્વપ્રસિદ્ધ સતિષ ધવન સ્પેસ સેન્ટર (ઈસરો)ની મુલાકાત તેમજ જીવનની પ્રથમ આકાશી ઉડાનના અનુભવોને વાગોળ્યા હતા.
આદિજાતિ વિકાસ વિભાગ અને તાપી જિલ્લા વહીવટીતંત્ર દ્વારા પ્રોજેક્ટ‘વિજ્ઞાન સેતુ- તાપી કે તારે‘અંતર્ગત તાપી જિલ્લાની ૧૫ સરકારી શાળાઓના વિજ્ઞાન પ્રવાહના ૨૮ આદિવાસી બાળકોએ તા.૧૦થી ૧૩ ઓગષ્ટ દરમિયાન ઈસરોના શ્રીહરિકોટા સ્થિત સેટેલાઈટ લોન્ચિંગ સેન્ટરનો શૈક્ષણિક પ્રવાસ કર્યો હતો.
આ પ્રસંગે આદિજાતિ વિકાસ અને શિક્ષણ મંત્રી ડો.કુબેરભાઈ ડીંડોરે જણાવ્યું હતું કે,રાજ્યમાં સૌ પ્રથમવાર વિશેષરૂપે આદિજાતિ બાળકોમાં વૈજ્ઞાનિક અભિગમ વિકસે,વિજ્ઞાન અને ટેકનોલોજી પ્રત્યે આકર્ષણ વધે એ માટે માટે તાપી જિલ્લા વહીવટીતંત્ર દ્વારા કરવામાં આવેલી નવીન પહેલ પ્રેરણાદાયી છે.
શિક્ષણના સંગમ સમાન આ પ્રોજેક્ટ- શૈક્ષણિક પ્રેરણા પ્રવાસના નવતર પ્રયોગનું રાજ્યના અન્ય આદિજાતિ જિલ્લાઓમાં અમલીકરણ થાય એ દિશામાં સક્રિય પ્રયાસો હાથ ધરવામાં આવશે. તાપી જિલ્લાની જેમ આદિજાતિ જિલ્લાઓના બાળકો પણ પ્રેરક શૈક્ષણિક પ્રવાસમાં ભાગ લઈ કારકિર્દીનું નવું ભાથું મેળવે એ માટે આદિજાતિ વિભાગ સક્રિયપણે યોગદાન આપશે.

