Gujarat bridge inspection: મહીસાગર નદી પર ગંભીરા બ્રિજ તૂટી પડ્યા પછી રાજ્ય સરકારને પુલોની સ્થિતિની ચકાસણી કરવાનું સુઝ્યું હતું. માર્ગ મકાન વિભાગે તપાસ કરતાં જાણ થઈ કે, ગુજરાતમાં 166 બ્રિજ પડુ-પડુ અવસ્થામાં છે. તેમાંય નાના કરતાં મોટા પુલો વધુ ભયજનક અને જર્જરિત છે.
ગંભીરા બ્રિજ દુર્ઘટના બાદ કરાઇ પુલની તપાસ
ગંભીરા બ્રિજ તૂટતાં 22 નિર્દોષ લોકોએ જીવ ગુમાવ્યો હતો. આ ઘટના બાદ રાજ્ય સરકારને તમામ પુલોની ચકાસણી કરવા આદેશ કર્યાં હતાં, જેમાં એવું જાણવા મળ્યું કે, અમદાવાદ, નડિયાદ, કચ્છ, મહેસાણા, બનાસકાંઠા, ભરુચ, રાજકોટ, ભાવનગર સહિત અન્ય જિલ્લામાં 1054 મેજર બ્રિજ, 5475 માઇનોર બ્રિજની તપાસ કરવામાં આવી હતી તે પૈકી 74 મેજર બ્રિજ, 51 માઇનર બ્રિજ અને 41 અન્ય પુલોના સીડી સ્ટ્રક્ચર જર્જરિત અવસ્થામાં છે.
150 પુલોના સમારકામ અને પુનઃ બાંધકામની મંજૂરી
જો હજુય પુલોની સ્થિતિ ચકાસવામાં આવી ન હોત તો કદાચ ગંભીરા બ્રિજ જેવી વધુ ઘટના બની હોત.ભયજનક સ્થિતીને જોતાં 178 પુલો પર વાહનોની અવરજવર બંધ કરવામાં આવી છે. આ કારણોસર વાહનચાલકોને વૈકલ્પિક માર્ગનો સહારો લેવો પડ્યો છે. ખાસ કરીને સ્થાનિકોને ખૂબ મુશ્કેલી વેઠવાનો વારો આવ્યો છે. માર્ગ મકાન વિભાગનો દાવો છે કે, 150 પુલોના સમારકામ અને પુનઃ બાંધકામ માટે સરકારે મંજૂરી આપી દીધી છે. જો માર્ગ મકાન વિભાગે પુલોની નિયમિત ચકાસણી કરી હોત તો કદાચ ગંભીરા બ્રિજ દુર્ઘટના ઘટી જ ન હોત. પરંતુ, અધિકારીઓની નિષ્કાળજીના કારણે પુલ તૂટી પડ્યો હતો. કેમ કે, પુલના સમારકામ માટે સ્થાનિકોએ વારંવાર લેખિત રજૂઆત કરી પછી પણ માર્ગ મકાન વિભાગે ગંભીરતા દાખવી ન હતી.

