અમૂલ ડેરી અને જિલ્લા વહીવટી તંત્રનો સંયુક્ત અભિગમ : દૂધના દાનથી બાળ પોષણનો નવતર ઉદ્દયમ-“ગામનો નિર્ધાર,સહકારથી સાકાર” અભિયાનને ખેડા જિલ્લામાં મળી રહી છે સફળતા
માતર,નડિયાદ,વસો,મહેમદાવાદ અને કઠલાલમાં અભિયાન વિશે દૂધમંડળીઓને સમજૂત કરાયા
–દૂધ ઉત્પાદકોના સહકારથી ખેડા જિલ્લામાં કુપોષિત બાળકો માટે ઉભર્યું માનવતા આધારિત પોષણ અભિયાન
“આશીર્વાદ પાત્ર” દ્વારા દૈનિક દૂધ દાન—ખેડા જિલ્લાનું અનોખું સામાજિક પોષણ મોડેલ
ખેડા જિલ્લામાં તા. ૧૪ નવેમ્બરના રોજ શરૂ થયેલ “ગામનો નિર્ધાર,સહકારથી સાકાર” અભિયાન અમૂલ ડેરી અને જિલ્લા વહીવટી તંત્રના સહયોગથી શરૂ કરવામાં આવ્યું છે. ખેડા જિલ્લાના કુપોષિત બાળકોને સુપોષિત બનાવવાના ઉમદા વિચાર સાથે ખેડા જિલ્લા કલેક્ટરશ્રી અમિત પ્રકાશ યાદવના માર્ગદર્શન હેઠળ અમૂલ ડેરીના ચેરમેન શ્રી વિપુલભાઈ પટેલ દ્વારા એક નવી પહેલ શરૂ કરવામાં આવી છે.
આ પહેલને જિલ્લાભરની દૂધ મંડળીઓ અને નાગરિકો તરફથી અભૂતપૂર્વ સહકાર મળી રહ્યો છે. અત્યાર સુધીમાં માતર,નડિયાદ,વસો,મહેમદાવાદ અને કઠલાલમાં અભિયાન વિશે સંબંધિત ધારાસભ્યશ્રી અને અમૂલ ડેરીના ચેરમેન શ્રીની ઉપસ્થિતિમાં દૂધમંડળીઓને સમજૂત કરવામાં આવ્યા છે.

“ગામનો નિર્ધાર,સહકારથી સાકાર” અભિયાન અંતર્ગત જ્યારે ગામના પશુપાલક ભાઈ-બહેન દૂધ ડેરી પર જમા કરવા આવે છે ત્યારે ત્યાં રાખેલ ‘આશીર્વાદ પાત્ર’ માં તેઓ પોતાની ઈચ્છા શક્તિ મુજબ ૧૦,૩૦,૫૦ મિલી કે વધુ પ્રમાણમાં દૂધનું દાન કરે છે.
આ દૂધ સીધું આંગણવાડીના કુપોષિત બાળકોને મળી રહે તે માટે આંગણવાડી બહેનો દ્વારા તેનું આયોજનબદ્ધ વિતરણ કરવામાં આવે છે. ગામમાં વધુમાં વધુ લોકો જન્મતિથિ,લગ્નતિથિ અથવા કોઈ ઉત્સવ ઉજવણી સમયે પણ આવા કુપોષિત બાળકોને માટે ગોળ,કઠોળ,શિંગ,ખજૂર વગેરે આંગણવાડી પર આપી આવા ઉમદા કાર્યમાં જોડાઈ શકે છે.
જિલ્લા કલેકટરશ્રીએ તેમના વિચારને રજૂ કરતા જણાવ્યું કે,કુપોષણ એ કેન્સર કરતા પણ ખૂબ મુશ્કેલ સમસ્યા છે. કુપોષણ દૂર કરવું એ સૌ ગામના આગેવાનોની,તમામ જનસમુદાયની તથા ગામના લોકોની નૈતિક ફરજ અને જવાબદારી છે. જેના એક પ્રયાસ રૂપે ગામની દૂધ મંડળીઓ સહકારની ભાવનાથી દૂધનો ખૂબ નાનો ભાગ
બાળકો માટે દૈનિક નિયમિત રીતે આપે તો આવનારા સમયમાં ગામમાંથી કુપોષણ નિવારી શકાય. આંગણવાડી બહેનો જ્યારે આપના દ્વારે આવે તો ત્યારે તેને માન આપી અભિયાનમાં સહકાર આપવા જિલ્લા કલેક્ટરશ્રીએ તમામ ઉપસ્થિતને વિનંતી કરી. વધુમાં આ અભિયાનમાં સરકારી કર્મચારીઓ પણ જોડાય અને તેઓ પણ આંગણવાડીના બાળકો માટે વારે તહેવારે જો દાન કરે તો સમાજમાં તેની ખૂબ જ હકારાત્મક અસર થશે. આ અભિયાનને સહકારની સાથે સાથે તમામ નાગરિકોનો પ્રેમ મળે તે પણ ખૂબ જ જરૂરી છે

