Love Marriage Rights: ભારતનું બંધારણ દરેક પુખ્ત નાગરિકને એવી વ્યક્તિગત સ્વતંત્રતા આપે છે જે તેના સમગ્ર જીવનને અસર કરે છે. આર્ટિકલ 21 અંતર્ગત જીવન અને વ્યક્તિગત સ્વતંત્રતાનો અધિકાર સ્પષ્ટ રીતે જણાવે છે કે પુખ્ત વયનો વ્યક્તિ પોતાનો જીવનસાથી પોતાની પસંદગીથી પસંદ કરી શકે છે. વિરોધાભાસ તો એ છે કે 18 વર્ષની ઉંમરે વ્યક્તિ જનપ્રતિનિધિથી લઈને સંસદ સુધી મત આપી શકે, પરંતુ પોતાના લગ્નના નિર્ણય માટે સમાજ તેને અપરિપક્વ માને છે. આ માનસિકતા માત્ર સામાજિક દંભ નથી, પરંતુ બંધારણના સ્વીકારેલા મૂલ્યોની અવગણના પણ છે.
સમાજનું દબાણ કાયદા કરતાં ઉપર ગણાય છે તેવો ખોટો ભ્રમ
તાજેતરમાં એક સમાજના પ્રતિનિધિ મંડળે રાજ્ય સરકારને મળીને પ્રેમલગ્ન માટે માતા-પિતાની મંજૂરી ફરજીયાત કરવાની માંગણી કરી હતી. અહીં પ્રશ્ન એ ઉભો થાય છે કે શું સમાજની માન્યતાઓ બંધારણના અધિકારો કરતાં વધુ મહત્વ ધરાવે છે? સર્વોચ્ચ અદાલતે કેરાલાના પ્રસિદ્ધ હડિયા કેસમાં સ્પષ્ટ નિર્ણય આપ્યો હતો કે પુખ્ત વ્યક્તિ પોતાની મરજીથી જીવનસાથી પસંદ કરી શકે છે. છતાંય, પ્રેમલગ્નનો વિરોધ એક કાયદાકીય મુદ્દો નહિ પરંતુ સામાજિક અસુરક્ષા, રાજકીય સંખ્યાબળ અને જૂની માન્યતાઓમાંથી ઉપજેલો ભય છે.
ભારતીય સંસ્કૃતિના મૂળમાં પ્રેમનું સ્થાન સર્વોચ્ચ
ભારતની સાંસ્કૃતિક પરંપરામાં પ્રેમને માત્ર સ્વીકારવામાં જ નથી આવ્યો, પરંતુ તેને આધ્યાત્મિક ઊંચાઈ સુધી પહોંચાડનાર અનેક ઉદાહરણો છે. રાધા–કૃષ્ણનો દૈવી પ્રેમ શતાબ્દીઓથી આ સંસ્કૃતિનો આધાર રહ્યો છે અને તેને પવિત્રતા સાથે સ્વીકારવામાં આવ્યો છે. શ્રીકૃષ્ણે પોતાની બહેન સુભદ્રાનું પ્રેમલગ્ન અર્જુન સાથે સ્વયંભૂ સુખાકારી માટે ગોઠવ્યું હતું. મીરાબાઈની ભક્તિનો આધાર પણ પોતાના પસંદગીના દેવ પ્રત્યેનો નિષ્ઠાભર્યો પ્રેમ જ હતો. દુષ્યંત–શકુંતલા જેવી પ્રેમકથાઓ ભારતીય સાહિત્યના ગૌરવરૂપ છે, જ્યારે પૃથ્વીરાજ–સંયોગિતાની ગાથા ઇતિહાસમાં સુવર્ણ અક્ષરે લખાયેલી છે. ત્યારે પ્રશ્ન એ થાય છે કે જયારે પ્રાચીન સંસ્કૃતિમાં પ્રેમને દિવ્ય માનવામાં આવ્યો, તો આજના સમયમાં એને શંકાની નજરે કેમ જોવામાં આવે?
લગ્નસંબંધોની મુશ્કેલીઓ પ્રેમલગ્નને દોષ આપી સમજાવવી ખોટી માન્યતા
સમાજમાં એવી માન્યતા ફેલાયેલી છે કે પ્રેમલગ્નોમાં વિવાદ વધુ હોય છે, પરંતુ આંકડા આ દાવાને ખોટો સાબિત કરે છે. સમગ્ર ભારતમાં 11 લાખથી વધુ ડિવોર્સ અને પરિવારિક વાદવિવાદના કેસ પેન્ડિંગ છે. ગુજરાતમાં જ 2025ની શરૂઆત સુધી લગભગ 53 હજાર લગ્નવિષયક કેસ પ્રલંબિત છે અને દરરોજ 170થી વધુ નવા કેસ ફેમિલી કોર્ટમાં દાખલ થાય છે. રસપ્રદ વાત તો એ છે કે 45 થી 55 વર્ષની વયના દંપતિઓમાં પણ ડિવોર્સના કેસો સતત વધી રહ્યા છે, જે દર્શાવે છે કે સમસ્યા લગ્નના સ્વરૂપમાં નહીં પરંતુ સંબંધોની સમજણ અને વ્યવહારિકતામાં વધુ છે.
પ્રેમલગ્નનો વિરોધ મુખ્યત્વે સામાજિક અસંતુલનની ચિંતા
ઘણા સમાજોમાં વસ્તીગણના અનુસાર દીકરાઓની સંખ્યા વધારે હોય છે અને દીકરીઓ ઓછી. આવી પરિસ્થિતિમાં સમાજને એ ભય રહે છે કે દીકરી જો અન્ય સમાજ અથવા સમુદાયમાં લગ્ન કરશે તો પોતાની સમાજમાં દીકરાઓ વધારે કુંવારા રહી જશે, જેના કારણે સામાજિક અને રાજકીય વજન ઘટી શકે છે. આ ડર પ્રેમના વિરોધ કરતાં પણ વધારે સમાજના સંતુલન ખોરવાઈ જવાના ભય પર આધારિત છે અને તેને નૈતિક મુદ્દાના રૂપમાં રજૂ કરવું યોગ્ય નથી.
યોગ્ય ઉકેલ કાયદાકીય નિયંત્રણોમાં નહિ પણ પારિવારિક સંવાદમાં છે
દીકરીઓ સમાજની બહાર પ્રેમલગ્ન કેમ કરે છે તેનો મૂળ પ્રશ્ન ઘરમાં રહેલી અંતરાળ સમસ્યાઓ સાથે જોડાયેલો છે. માતા-પિતા ઘણી વાર સંતાનો સાથે ખુલ્લી ચર્ચા કરતા નથી અને તેમની ભાવનાઓનું મૂલ્ય સમજતા નથી. બીજી બાજુ, પ્રેમી યુવાન સહાનુભૂતિપૂર્વક સાંભળે, સમજ બતાવે, સમય આપે — જેનાથી યુવતીને તેના શબ્દો વધારે સાચા લાગે છે. અહીં ઉકેલ કાયદાના સખત નિયમોમાં નથી, પરંતુ પરિવારમાં વિશ્વાસ, સંવાદ અને સમજણના માળખાને મજબૂત બનાવવામાં છે. પ્રેમને કાયદાથી કાબૂમાં લેવાનો પ્રયત્ન બંધારણને નુકસાન પહોંચાડે છે અને સમાજમાં વધુ વિખવાદ ઊભો કરે છે.

