મુખ્ય પસંદગીકાર અજીત અગરકર અને T20 કેપ્ટન સૂર્યકુમાર યાદવે આગામી T20 વર્લ્ડ કપ 2026 માટે આજે એટલે કે શનિવાર, 20 ડિસેમ્બરે ભારતીય ટીમની જાહેરાત કરી છે. આ ટીમની જાહેરાતમાં અનેક આશ્ચર્યો છે. જે રીતે શુભમન ગિલની ટીમમાં અચાનક એન્ટ્રી થઈ હતી અને તેને ટીમનો કેપ્ટન બનાવવામાં આવ્યો હતો, તેવી જ રીતે હવે તેને અચાનક ટીમમાંથી બહારનો રસ્તો દેખાડવામાં આવ્યો છે. આ ઉપરાંત ટીમમાં રિંકુ સિંહની પસંદગી અને અક્ષર પટેલને વાઇસ કેપ્ટન બનાવવાનો નિર્ણય પણ આશ્ચર્યજનક છે. સૌથી ચોંકાવનારી બાબત છે ઈશાન કિશનની પસંદગી. ઈશાન લાંબા સમયથી ટીમનો ભાગ નથી. જોકે તેણે સૈયદ મુશ્તાક અલી ટ્રોફીમાં શાનદાર ફોર્મ બતાવ્યું છે.
જ્યારે મુખ્ય પસંદગીકાર અજીત અગરકરને શુભમન ગિલને પડતો મુકવા અંગે પૂછવામાં આવ્યું તો તેણે પ્રેસ કોન્ફરન્સમાં કહ્યું કે આ નિર્ણય ટીમ કોમ્બિનેશનને ધ્યાનમાં રાખીને લેવામાં આવ્યો છે. જો તમારી પાસે ટોપ ઓર્ડરમાં વિકેટ કીપર છે, તો તમે નીચેના અન્ય બેટ્સમેનોને તક આપી શકો છો.
આ સિવાય અજીત અગરકરે પણ શુભમન ગિલના ફોર્મ પર ચિંતા વ્યક્ત કરી હતી. આ વર્ષે ગિલની સરેરાશ ઘણી નિરાશાજનક રહી છે, તે T20માં એક પણ અડધી સદી ફટકારી શક્યો નથી. ટીમમાંથી તેની બહાર થવાનું એક કારણ તેનું ખરાબ ફોર્મ છે.

