ભારતનો ODI અને ટેસ્ટ કેપ્ટન શુભમન ગિલ વિજય હજારે ટ્રોફીમાં પંજાબ તરફથી રમશે. તેને ન્યુઝીલેન્ડ સામેની ટી20 સીરીઝ અને ટી20 વર્લ્ડ કપ માટે ટીમમાં જગ્યા મળી ન હતી. આવતા મહિને તે ન્યુઝીલેન્ડ સામેની વનડે શ્રેણીમાં રમશે પરંતુ તે પહેલા તે ઘરેલુ ક્રિકેટ તરફ વળ્યો છે. પંજાબની ટીમે તેને વિજય હજારે ટ્રોફી માટે તેની 18 સભ્યોની ટીમમાં સામેલ કર્યો છે. ટ્રોફી 24મી ડિસેમ્બરથી શરૂ થઈ રહી છે.
શુભમન ગિલના આવવાથી પંજાબની ટીમ વધુ મજબૂત બની છે. તેના સિવાય અભિષેક શર્મા અને અર્શદીપ સિંહ જેવા નામ છે. વિજય હજારે ટ્રોફીની મેચો દરેક 50-50 ઓવરની હોય છે.
શુભમન ગિલ પાસે આ ડોમેસ્ટિક ટૂર્નામેન્ટમાં ફરી પોતાની લય મેળવવાની તક હશે. પંજાબની ટીમ વિજય હજારે ટ્રોફીમાં તેના અભિયાનની શરૂઆત 24મી ડિસેમ્બરે મહારાષ્ટ્ર સામેની મેચથી કરશે. તે લીગ તબક્કાની તેની તમામ સાત મેચ જયપુરમાં રમશે.
પંજાબની ટીમ આ વખતે વિજય હજારે ટ્રોફી જીતવાની પ્રબળ દાવેદાર છે. ગત સિઝનમાં ટીમ ક્વાર્ટર ફાઈનલમાં જ બહાર થઈ ગઈ હતી. ગિલના આગમનથી પંજાબની બેટિંગ વધુ મજબૂત બની છે. ગિલ અને અભિષેક શર્મા ઉપરાંત ટીમમાં પ્રભસિમરન સિંહ, અનમોલપ્રીત સિંહ, નમન ધીર, રમનદીપ સિંહ, સનવીર સિંહ અને હરપ્રીત સિંહ બ્રાર જેવા બેટ્સમેન છે.

