અમેરિકામાં ભારતીય મૂળના લોકો વિરુદ્ધ વધી રહેલી નફરત અને ધમકીઓ વચ્ચે એક અમેરિકન પત્રકારના નિવેદને મોટો વિવાદ ઊભો કર્યો છે. દક્ષિણપંથી વિચારધારા સાથે જોડાયેલા અમેરિકન પત્રકાર મેટ ફોર્નીએ દાવો કર્યો છે કે આવતા વર્ષે એટલે કે 2026માં અમેરિકામાં ભારતીયોને નિશાન બનાવવામાં આવશે અને હિંદુ મંદિરો પર હુમલા થઈ શકે છે. આ સાથે તેણે જાતિવાદી અને ઝેરી ટીપ્પણી કરી અને કહ્યું કે તમામ ભારતીયોને અમેરિકાથી દેશનિકાલ કરી દેવા જોઈએ. અમેરિકન પત્રકારે કહ્યું છે કે ભારતીય-અમેરિકનોનો જીવ બચાવવા અને દેશમાં સૌહાર્દ જાળવવા માટે દરેકને ભારત પાછા મોકલવા જોઈએ.
મેટ ફોર્નીએ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર એક પોસ્ટમાં જણાવ્યું હતું કે ફોર્નીએ લખ્યું છે કે, “આપણે DEI કરવું જોઈએ: દરેક ભારતીયને દેશનિકાલ કરો.” જો કે ભારે વિરોધ બાદ તેણે આ પોસ્ટ હટાવી દીધી છે. પોતાને “અમેરિકામાં શાંતિ નિર્માતા” તરીકે વર્ણવતા ફોર્નીએ દાવો કર્યો હતો કે આ નફરતનો ઉકેલ ભારતીયોને દેશનિકાલ કરવાનો છે. તેણે પોતાની પોસ્ટમાં “દરેક ભારતીયને દેશનિકાલ કરો” જેવા શબ્દોનો ઉપયોગ કર્યો હતો, જેને ભારતીયો વિરુદ્ધ નફરતનું નિવેદન માનવામાં આવી રહ્યું છે.
અગાઉ પણ ભારત વિરોધી નફરતભર્યા નિવેદનો આપી ચૂક્યા છે
મેટ ફોર્ની એક અમેરિકન કટારલેખક, લેખક અને પત્રકાર છે કે જેમણે X જેવી સોશિયલ મીડિયા સાઇટ્સ પર ભારત વિરોધી ધિક્કારજનક ભાષણ ફેલાવવાનો અને તેને દેશનિકાલ માટે બોલાવવાનો ઇતિહાસ ધરાવે છે. સમાન વર્તનને કારણે તેને અમેરિકન મીડિયા સંસ્થામાંથી પણ નોકરીમાંથી કાઢી મૂકવામાં આવ્યો છે. તાજેતરમાં તેણે ભારતીય-અમેરિકન મહિલા અધિકારીની નિમણૂક પર પણ વાંધાજનક ટિપ્પણી કરી હતી. નિષ્ણાતો અને સંશોધન સંસ્થાઓના જણાવ્યા અનુસાર, અમેરિકામાં તાજેતરના સમયમાં નકારાત્મક રેટરિક વધ્યા છે, ખાસ કરીને ભારતીય મૂળના લોકો અને H-1B વિઝા પ્રોગ્રામને લઈને.
ભારતીયો વિરુદ્ધ દ્વેષપૂર્ણ પોસ્ટ વધી છે
એક રિપોર્ટ અનુસાર, છેલ્લા એક વર્ષમાં સોશિયલ મીડિયા પર ભારતીયો વિરુદ્ધ જાતિવાદી અને દ્વેષપૂર્ણ પોસ્ટની સંખ્યામાં વધારો થયો છે. નવેમ્બર 2025ના CNNના અહેવાલ મુજબ, સેન્ટર ફોર ધ સ્ટડી ઓફ ઓર્ગેનાઈઝ્ડ હેટના સંશોધકોએ છેલ્લા વર્ષમાં X પર ભારત વિરોધી ભાવનામાં વધારો નોંધ્યો છે. અહેવાલ મુજબ, કેન્દ્રએ ઓક્ટોબરમાં ભારતીયો અને ભારતીય-અમેરિકનો વિરુદ્ધ જાતિવાદ અને ઝેનોફોબિયાને પ્રોત્સાહન આપતી લગભગ 2,700 પોસ્ટ્સ રેકોર્ડ કરી હતી.

