બાંગ્લાદેશ ક્રિકેટ બોર્ડે આઈસીસીને બીજો પત્ર લખીને ટી20 વર્લ્ડ કપ માટે ભારત આવવા અંગે સુરક્ષાની ચિંતા વ્યક્ત કરી છે અને શ્રીલંકામાં તેની મેચો યોજવાની માંગનો પુનરોચ્ચાર કર્યો છે. વર્લ્ડ કપ 7 ફેબ્રુઆરીથી શરૂ થઈ રહ્યો છે અને બાંગ્લાદેશને કોલકાતામાં ત્રણ અને મુંબઈમાં એક મેચ રમવાની છે. BCCIના નિર્દેશ પર ફાસ્ટ બોલર મુસ્તાફિઝુર રહેમાનને IPLમાંથી બહાર રાખવાના નિર્ણય બાદ બાંગ્લાદેશે વર્લ્ડ કપ રમવા માટે ભારત આવવાનો ઇનકાર કર્યો હતો.
બાંગ્લાદેશ ક્રિકેટ બોર્ડના નજીકના એક સૂત્રએ પીટીઆઈને જણાવ્યું હતું કે, “ખેલ મંત્રાલયના સલાહકાર આસિફ નઝરુલ સાથે ચર્ચા કર્યા પછી, BCBએ ફરીથી ICCને એક પત્ર લખ્યો છે. ICC એ જાણવા માંગે છે કે સુરક્ષાને લઈને તેની શું ચિંતાઓ છે અને BCBએ તેની જાણકારી આપી છે.”
તેમણે પત્રની વિગતો જાહેર કરી ન હતી. ઈન્ટરનેશનલ ક્રિકેટ કાઉન્સિલે અત્યાર સુધી આ અંગે મૌન જાળવી રાખ્યું છે અને બાંગ્લાદેશ ક્રિકેટ બોર્ડને પૂછ્યું છે કે સુરક્ષાને લઈને તેની શું આશંકા છે. સમજાય છે કે બીસીબી પોતે આ મુદ્દે વિભાજિત છે.

